સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી વિજ્ઞાનાનંદજી સ્વામીજીનો ઘણો આદર કરતા હતા. બેલુરના નવા બંધાયેલ મઠના બીજા માળે સ્વામીજીના ઓરડાની બાજુના ઓરડામાં એમની પથારી રહેતી. રાત્રે પગના અવાજથી રખેને સ્વામીજીને ખલેલ કે અગવડ પડશે એ ભયથી તેઓ પગ દબાવી દબાવીને ચાલતા. તેમના ઓરડા સામેના ગંગા તરફના વરંડામાં સ્વામીજી લટાર મારતા. એક રાત્રે તેઓ આ રીતે ફરતાં ફરતાં મોડે સુધી ભજન ગણગણતા ગાઈ રહ્યા હતા: ‘(આમાર) મા ત્વં હિ તારા તુમિ ત્રિગુણધરા પરાત્પરા’ વગેરે બધી સ્મૃતિકથા સ્વામી વિજ્ઞાનાનંદજીના મનમાં એટલી જાગ્રત હતી કે પછીના સમયમાં પણ તેઓ એ સ્થળે સ્વામીજીની હાજરીનો અનુભવ કરીને કહેતા: ‘સ્વામીજી હજુ પણ પોતાના ઘરમાં છે એમને અગવડ ન થાય એટલે હું તો એમના ઓરડાની પાસેથી નીકળતી વખતે ધીરે ધીરે પગ દબાવીને ચાલું છું… જો કોઈ કુતૂહલથી પૂછતું : ‘શું સ્વામીજીને આપ હજુ પણ જુઓ છો?’ ઉત્તરમાં એમના મુખેથી શબ્દો નીકળતા : ‘તેઓ તો બિરાજમાન છે જ. પછી હું શા માટે ન જોઈ શકું?’
Your Content Goes Here




