– જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી નાખે છે.
– તમારા મનનો બોજો શ્રીરામકૃષ્ણ સમક્ષ ધરી દો. આંસુ સારતાં સારતાં તમારી તકલીફની વાતો તેમને કરો. તો તમારી ઈચ્છિત વસ્તુ તેઓ તમારા હાથમાં મૂકે છે, એવું તમને માલૂમ પડશે.
– કદી ડરતા નહીં. તેઓ સદા તમારી સંભાળ રાખે છે. તેમનું કામ કરો અને સાધના ચાલુ રાખો. રોજેરોજ થોડું થોડું કામ કરીએ તો મનમાંથી નકામા વિચારો નાસી જાય છે.
– ભગવાન સમક્ષ તમારું શોકસંતપ્ત હૃદય ખુલ્લું કરો. આંસુ સારો અને સરળ ભાવે કહો: “પ્રભુ! મને આપના તરફ આકર્ષો, મને મનની શાંતિ આપો.” આમ કરવાથી ધીરે ધીરે તમને માનસિક શાંતિ મળશે.
– ઈશ્વર આપણો પોતાનો છે. આ તો શાશ્વત સંબંધ છે. તેમને માટે જેટલા પ્રમાણમાં લાગણીની આતુરતા હોય, તેટલા પ્રમાણમાં તેમનો સાક્ષાત્કાર થાય છે. બીવું નહીં. તમારું કોઈ રક્ષણ કરી રહ્યું છે, એ વાત સદા યાદ રાખો.
– મારું બાળક કાદવથી ખરડાઈ ગયું હોય, અથવા તેને ધૂળ ચોટી ગઈ હોય, તો તેને સાફ કરવાની અને પછી મારા ખોળામાં લેવાની શું મારી ફરજ નથી?
– ડરશો નહિ. માનવજીવન દુ:ખથી ભરેલું છે, અને ભગવાનનું નામ લઈને માનવીએ ધીરજથી બધું સહેવાનું છે. કોઈ પણ, અરે માનવદેહમાં ઈશ્વર પણ, શરીર અને મનની યાતનાથી બચી શકે તેમ નથી. અવતારો, સંતો અને સાધુઓને પણ દુ:ખની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. કારણ કે તેઓ સાધારણ માણસોનાં બંને પ્રકારનાં પાપો -કરવાનાં કર્મો નહીં કરવાથી અને નહીં કરવાનાં કર્મો કરવાથી લાગતાં પાપો-પોતાના ઉપર લઈ લે છે. એ રીતે માનવજાતના ભલા માટે પોતાનું બલિદાન આપે છે.
(માતૃવાણી (૧૯૮૯) પૃ. સં. ૫૪-૫૮)
Your Content Goes Here




