ચૈતન્ય દેવ સર્વદા પ્રાચીન પરંપરાગત સિદ્ધાંતો અને આચાર વ્યવહારના પક્ષધર હતા. પ્રયાગમાં એમની સાથે મળીને અને વાર્તાલાપ કરીને આચાર્ય વલ્લભભટ્ટ એમના પ્રત્યે ખૂબ આકર્ષાયા. એક વખત ચૈતન્યદેવ પુરીમાં હતા ત્યારે રથયાત્રાના અવસરે ભટ્ટજી ત્યાં આવ્યા. તેઓ ચૈતન્યદેવની પાસે આવતા જતા અને એમની સાથે શાસ્ત્ર અને ઈશ્વરીય તત્ત્વ વિશે ચર્ચા કરતા. ચૈતન્યદેવના મુખેથી ભક્તિતત્ત્વ અને ભાગવત્ તત્ત્વના ઉચ્ચ સિદ્ધાંતો સાંભળીને, રથયાત્રા જેવા અવસરે એમનામાં પ્રભુભક્તિની અદ્‌ભુત અભિવ્યક્તિ અને એમની અલૌકિક ભાવાવસ્થાથી તેઓ ખૂબ આકર્ષાયા. એક વખત વાતવાતમાં ભટ્ટજીએ કહ્યું, ‘વર્તમાનકાળમાં એક માત્ર આપ જ ભક્તિમાર્ગના પથપ્રદર્શક છો.’ એમની આ પ્રશંસા સાંભળીને ચૈતન્યદેવે વિનમ્ર ભાવે કહ્યું, ‘હું તો એક માયાવાદી સંન્યાસી છું… હું ભક્તિમાર્ગ વિશે કંઈ જાણતો નથી. આચાર્ય અદ્વૈતના સંપર્કમાં આવીને સર્વ પ્રથમ મારું મન ભક્તિ તરફ આકર્ષાયું. શ્રીવાસ, મુકુન્દ, મુરારી, ગદાધર જેવા ભકતો સાથે મળીને ભકિતરસના માધુર્યનું આસ્વાદન કરી શક્યો છું. નિત્યાનંદના સંસર્ગથી મને ભક્તિની ગંભીરતા તથા તેના ભાવરાજ્યનો પરિચય મળ્યો છે. પદ્દર્શનવત્તા મહાપંડિત સાર્વભૌમે મને ભક્તિ-ભગવત્ તત્ત્વનું શિક્ષણ આપ્યું છે. રસિક ચૂડામણિ રામાનંદરાય પાસેથી રસમાર્ગની ભજન પ્રણાલી જાણી છે. પ્રેમિક શિરોમણિ સ્વરૂપ પાસેથી હું વ્રજગોપીઓના કામગંધ વિહોણા શુદ્ધપ્રેમ એટલે કે મધુરરસનું આસ્વાદન કરતાં શીખ્યો છું. દરરોજ ત્રણ લાખ હરિનામ કીર્તન કરનાર ભકતકુલતિલક હરિદાસ ઠાકુર પાસેથી મને નામમહિમાનું જ્ઞાન મળ્યું છે. ‘ ચૈતન્યદેવના મુખે એમના અંતરંગ પાર્ષદોનો મહિમા સાંભળીને વલ્લભાચાર્ય મુગ્ધ બન્યા… ચૈતન્યદેવે ક્રમશઃ બધા સાથે એમનો પરિચય કરાવ્યો… ચૈતન્યદેવની જેમજ એમના પાર્ષદોમાં પણ અનુપમ ત્યાગ, તપસ્યા અને ભગવદ્ભક્તિ જોઈને ભટ્ટજી મુગ્ધ થઈ ગયા.

અદ્વૈતવાદી આચાર્ય શ્રીધર સ્વામીએ લખેલ શ્રીમદ્ ભાગવતની ટીકાનો તેઓ આદર કરતા. એની મદદથી બીજાને ભાગવતનું તાત્પર્ય સમજાવતા. શ્રીધર સ્વામી ભક્તિમાર્ગના પ્રચારક તેમજ ગીતા ને ભાગવા સુપ્રસિદ્ધ ટીકાકાર હતા. આચાર્ય શંકરના સિદ્ધાંતને આધારરુપ માનીને વ્યાખ્યા કરતી વખતે એમણે પોતાની ટીકાઓમાં બધે સ્થળે નિર્ગુણ અદ્વૈત તત્ત્વની સ્થાપના કરી છે. કઠિન ભાષા, ગૂઢ તત્ત્વજ્ઞાન સામાન્ય માણસ સમજી ન શકે એટલે શ્રીધરે સહજ સહજ ભાષામાં એમની શ્રુતિસ્મૃતિ સંમત વ્યાખ્યા કરી છે. એટલે એમની ટીકા બધાને પ્રિય છે. ચૈતન્યદેવ કહેતા, ‘જે વ્યક્તિ શ્રીધર સ્વામીની વ્યાખ્યાને નથી માનતો એની ગણના ગણિકાઓમાં થવી જોઈએ.’ ‘પોતાના પાંડિત્યનો અહંકાર કરવો સારો નથી. શાસ્ત્ર, સંપ્રદાય તથા પ્રાચીન આચાર્યોના મતનું ખંડન કરીને પોતાના પાંડિત્યના બળે સ્વેચ્છાનુસાર શાસ્ત્રોની વ્યાખ્યા કરવાથી લોકો એને સ્વીકારવાના નથી. શ્રીધર સ્વામી પ્રમાણે ભાગવતની વ્યાખ્યા કરો અને ભગવદ્ ભજનમાં મન લગાડો. એનાથી આપણું પોતાનું અને બીજાનું ભલું થશે.

Total Views: 297

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.