રામકૃષ્ણ મિશન, પોરબંદર
રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં ૧ થી ૫ જૂન, દરરોજ સવારે ૮.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા સુધી સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. ૮૫ જેટલાં બાળકો નિયમિત ઉપસ્થિત રહેતાં. શિબિરમાં વેદમંત્રગાન, સ્તુતિ, ભજન, બાળગીત સાથે મૂલ્યલક્ષી કેળવણીના પાઠો રહ્યા હતા. આ ઉપરાંત શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને અન્ય મહાપુરુષોના જીવનપ્રસંગોની વાત બાળકોને કરવામાં આવી. બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા ચિત્ર, સંગીત, વક્તૃત્વ, સુલેખન, સ્ક્રીન પેઈન્ટીંગ, સિરામિક, હસ્ત ઉદ્યોગનું શિક્ષણ અપાયું હતું. કેરમ, ચેસ જેવી વર્ગખંડની રમતો અને યોગાસનોનું શિક્ષણ પણ અપાયું હતું. વાચનની ટેવ કેળવાય તે માટે સંસ્થાના બાળ પુસ્તકાલયનો લાભ લીધો હતો. ૬ જૂનની પૂર્ણાહૂતિના કાર્યક્રમમાં પોરબંદરના ઉદ્યોગપતિ શ્રી પદુભાઈ રાઈચુરા, ગુરુકુળ મહિલા કોલેજના આચાર્યશ્રી દેવેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં બાળગીતો, અભિનયગીતો અને વક્તવ્યો રજૂ થયાં હતાં. બાળકોના સુંદર પ્રતિભાવો પણ મળ્યા હતા. મુખ્ય મહેમાનોના વરદ્ હસ્તે પ્રમાણપત્રોનું વિતરણ થયું હતું. ૭ જૂનના રોજ આર્થિક રીતે નબળા અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓને નોટબૂક તથા પુસ્તકોનું વિતરણ થયું હતું. જે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદના વરદ્ હસ્તે અપાયાં હતાં.
Your Content Goes Here




