(ગીતાપ્રેસ, ગોરખપુર દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તિકા ‘પ્રેરક-કહાનિયાઁ’માંથી શ્રી ચંદ્રકાંતભાઈ દવેએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)
હીરાની કિંમત
એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના કામમાં બહુ જ ચતુર હતો. દૈવયોગે યુવાવયે જ તેનું મૃત્યુ થયું. તની પાછળ તેની પત્ની અને નાનું બાળક રહ્યા. લોકોએ એમના પૈસા દબાવી લીધા. ધન નષ્ટ થયું. એ સ્ત્રી પાસે એના પતિએ આપેલો એક હીરો હતો. એ હીરો અતિ કિંમતી હતો. જ્યારે તેનો પુત્ર પંદરવીસ વર્ષનો થયો ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું: ‘જો બેટા! તારા પિતાજીએ આ હીરો આપ્યો હતો. એમણે આ હીરાની કિંમત કહી ન હોતી. આ હીરો અમૂલ્ય હોવાનું કહ્યું હતું. દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર આ હીરાનું મૂલ્ય આંકશે, હીરાની કિંમત નહિ કરે. આ હીરો લઈ તું જા અને તેની કિંમતની આકરણી કરી આવ. પરંતુ કોઈ જગાએ હીરો દેવાનો નહિ.
એ છોકરો બજારમાં ગયો. એ પહેલાં એક શાક વેંચવાવાળી પાસે ગયો અને હીરો બતાવીને, તેની કેટલી કિંમત આપશે તેવું પૂછ્યું. શાકવાળીએ કહ્યું કે બે મૂળા લઈ જા, આ તો બાળકોને રમવા માટે આ સરસ વસ્તુ છે. છોકરાએ કહ્યું કે હીરો નથી આપવો. આગળ ચાલતા ચાલતાં કેટલાય લોકોને તેણે હીરાની કિંમત પૂછી તો કોઈએ બે રૂપિયા, તો કોઈએ ત્રણ રૂપિયા કહ્યા. આગળ જતા એક સોની પાસે ગયો તો હીરાની કિંમત દસ-વીસ પચ્ચાસ રૂપિયા સુધીની થઈ ગઈ. ત્યાર પછી એક ઝવેરી પાસે જતાં તો એ હીરાની કિંમત પાંચસો, સાતસો, એક હજાર રૂપિયા થઈ ગઈ. છોકરો, જેમ જેમ સારા હીરા પરખુઓ પાસે ગયો તેમ તેમ તેની કિંમત વધારે ને વધારે વધતી ગઈ. તે એક ખૂબ જ હીરાની પરખ કરે તેવાની પાસે ગયો. તેણે હીરાની એક લાખ રૂપિયા સુધીની કિંમત કહી. છોકરાને નવાઈ લાગી કે આ હીરો તો બહુ વિચિત્ર છે. લોકોને પૂછતાં પૂછતાં તે એક અતિ વયોવૃદ્ધ ઝવેરી પાસે પહોંચ્યો. એ વૃદ્ધ ઝવેરી ઘણો જ પ્રામાણિક અને હીરાનો બહુ જ સારો પરખનારો હીરા પરખુ હતો. છોકરાએ તે હીરો તેને બતાવ્યો તો તેણે એ છોકરા સામું જોઈને પૂછ્યું: ‘આ હીરો તારી પાસે આવ્યો ક્યાંથી?’ છોકરાએ કહ્યું કે એ તો મારા પિતાજી પાસેથી મને મળ્યો છે. એમણે મને આપ્યો હતો. એમણે કહ્યું: ‘તારા પિતાજી કોણ?’ છોકરાએ પોતાના પિતાજીનું નામ કહ્યું અને કહ્યું: ‘તેઓ હીરાના વેપારી હતા.’
‘એમનું નામ તો અમે અગાઉ અનેકવાર સાંભળેલું. ઘણા સમયથી એમના વિશે કાંઈ સાંભળવા મળ્યું નથી. તેનું કારણ શું છે?’ છોકરાએ કહ્યું: ‘એમનું દેહાવસાન થયું છે.’ ‘અરે! એ તો બહુ જ જાણીતા કુશળ પરીક્ષક, હીરા પરખુ હતા.’
‘હું એમનો જ પુત્ર છું’, કહો આ હીરાની કેટલી કિંમત આપશો?’
‘એની કોઈ કિંમત ન થાય, હીરો તો અમૂલ્ય છે, મારી પાસે જેટલું ધન, સંપત્તિ છે એ આપું તો પણ તેની પૂરી કિંમત ના આપી શકું’, તે વૃદ્ધ વેપારીએ કહ્યું: ‘પણ અમારે તો ખાવાના સાંસા છે. અમે શું કરીએ?’ એ છોકરાએ કહ્યું. એ વૃદ્ધ ઝવેરીએ કહ્યું: ‘એ તો તમે જાણો. હું હીરાની કિંમત કઈ રીતે જાણી શકું? કહી શકું? એની કિંમત કહેવાથી તો હીરાનો તિરસ્કાર અને અપમાન થાય. હા એક વાત છે, તું જેટલા લઈશ તેટલા રૂપિયા હું તને આપી દઈશ.’
‘એ કેવી રીતે?’ છોકરાએ પૂછ્યું. વૃદ્ધ ઝવેરીએ કહ્યું: ‘અમારી ત્રણ દુકાનો છે, અમારી પહેલી દુકાનમાં તને પંદર મિનિટ મળશે. પંદર મિનિટમાં દુકાનમાંની જેટલી વસ્તુઓ તું બહાર કાઢી શકીશ, એ તારી થઈ જશે. વસ્તુ લેવાવાળા અને રાખવાવાળા બધા તૈયાર રહેશે. તું દુકાનમાંથી વસ્તુ ફેંકી દેજે. પંદર મિનિટ પછી તું દુકાનમાં નહિ રહી શકે.’
છોકરાએ કહ્યું: વાત તો બહુ સારી છે. છોકરાને દુકાન બતાવવામાં આવી. એ દુકાનમાં ગયો ને જોયું કે દુકાન તો સજાવેલી છે. તેમાં લાખો રૂપિયાના એક-એક હીરા રાખેલા છે. કેટલાએ બોક્સ પડ્યા છે, જે ચમકારા મારતા હતા. હીરા તો ઠીક પણ આવા ચમકતા બોક્સ પણ એણે ક્યારેય જોયા ન હતા. એ તો એ જોઈને જ આભો બની ગયો. અની સાથે એક માણસ, પણ ઘડીયારમાં સમય જોતો સાથે હતો. એણે કહ્યું જો પાંચ મિનિટ તો થઈ ગઈ. છોકરો જોતો જોતો વિચારતો રહ્યો કે પંદર મિનિટ પછી તો દુકાનમાં રહેવા નહિ દે તેથી સારી રીતે બધી ચીજો જોઈ તો લઉં. જોત જોતામાં પંદર મિનિટ થઈ જતાં પેલા માણસે કહ્યું કે સમય પૂરો થઈ ગયો. હવે બહાર નીકળી જા. હવે અંદરની કોઈ પણ ચીજને તે અડકી પણ નહિ શકે, એક દાણો પણ હવે તે નહિ લઈ શકે. છોકરો બહાર નીકળી ગયો.
વૃદ્ધ ઝવેરીએ તેને બીજી દુકાન દેખાડી અને કહ્યું કે તેને તેમાં પચ્ચીસ મિનિટનો સમય ત્યાં રહેવા અપાશે. એ સમયમાં તે જે અને જેટલી ચીજવસ્તુઓ બહાર ફેંકી દઈ શકશે, એ તમામ તેને મળશે, તેની થઈ જશે. છોકરો એ દુકાનમાં પ્રવેશ્યો. તેમાં તો પહેલી દુકાન કરતાં પણ વધારે સજાવટ હતી. એ જોઈને તો એ અચંબો પામી ગયો કે આ તો કોઈ અજાયબદાર છે. કેટલી વિલક્ષણ વસ્તુઓ છે. છોકરાએ પૂછ્યું કે આ દુકાન શું આગળ ખૂબ લાંબી છે? માણસે કહ્યું કે હા, દુકાન ઘણી લાંબી અને ખૂબ સુંદર છે. છોકરો આગળ ચાલતો ગયો ને જોયું કે દુકાન તો અધિક ને અધિક સુંદર છે. સાથેનો માણસ ઘડિયાળ જોતો કહેતો હતો કે જો પાંચ મિનિટ થઈ. દસ મિનિટ થઈ ગઈ. છોકરાએ વિચાર્યું કે અત્યારે જોઈ તો લઉં પછી તો અહીં રહેવા નહિ દે. આ રીતે જોતા જોતા તો પચ્ચીસ મિનિટ થઈ ગઈ એટલે તેને બહાર નીકળી જવા કહેવાયું. હવે તે એક પણ વસ્તુને અડકી નહિ શકે. હવે એ છોકરાને ત્રીજી દુકાન બતાવવામાં આવી. કહેવામાં આવ્યું કે એ દુકાનમાં તેને એક કલાકનો સમય આપવામાં આવશે. પ્રથમ દુકાનમાં વસ્તુઓ ઘણી કિંમતી હતી, પણ સજાવટ ઓછી હતી. બીજી દુકાનમાં સજાવટ તો ઘણી વધારે હતી પરંતુ વસ્તુઓ ઓછી કિંમતની હતી. ત્રીજી દુકાન તો અતિશય લાંબી હતી. તેમાં ખાવા પીવાની પહેરવા-ઓઢવાની વગેરે સેંકડો ચીજવસ્તુઓ હતી. મોટર, સ્કૂટર, સાઈકલ વગેરે જુદી જુદી વસ્તુઓ હતી. અવનવા નાચ-ગાન ચાલી રહ્યા હતા. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ – જેવી પાંચ વિષયોજેવી અવનવી વસ્તુઓ ત્યાં હતી. છોકરો આ બધી વસ્તુઓમાં જ લીન થઈ ગયો. એ તો ગાડીમાં, ઘોડાગાડીમાં, હિંચકાઓ પર ઝૂલતો; કોઈવાર નાટક જોવે છે તો કોઈવાર સિનેમા, એણે તો ત્યાં એવી વસ્તુઓ જોઈ, જે અગાઉ એણેક્યારેય જોઈ નહોતી કે તેના વિશે સાંભળ્યું નહોતું. સાથે રહેલા માણસે કહ્યું કે જો પહેલી દુકાન ગઈ, બીજી પણ ગઈ અને હવે ત્રીજી દુકાન પણ જઈ રહી છે. હવે બહુ ઓછો સમય બાકી રહ્યો છે. હવે જલદીથી પાછો વળી જા. આ દુકાનમાંથી નીકળતા-નીકળતા તો સમય પૂરો થઈ ગયો. દુકાનમાંથી નીકળતી વખતે ત્યાં પડેલો એક કોથળો તેણે ઉપાડી લીધો. દુકાનમાંથી બહાર આવીને કોથળામાં જોયું તો ખોટા-સિક્કાઓ, લોખંડી પટ્ટીઓ અને પથરા ભરેલા હતા.
વૃદ્ધ માલિકે પોતાના નોકરોને સૂચના આપી રાખી હતી કે એ જે જે વસ્તુઓ દુકાનમાંથી લે, તેની જાણ તેમણે કરવી; (મને આપતા રહેવી) છેવટે નોકરોએ માલિકને ખબર આપ્યા કે તેણે દુકાનમાંથી કશું લીધું નથી. માલિકે કહ્યું કે તેને અહીંથી કાઢી મૂકો, એનું મોઢું સુધ્ધાં તેને જોવું નથી. આ કોઈ કામનો માણસ નથી. છોકરો ખાલી હાથે ત્યાંથી પાછો ફર્યો.
જે ભાઈ-બહેન આ વાર્તા વાંચી રહ્યા હશે, એના મનમાં તો એમ થતું હશે કે આપણને એવી દુકાન મળે ને તો આંખો મીંચીને સારી-સારી વસ્તુઓ તેઓ બહાર ફેંકી દે. હકીકતમાં તો આપણું મનુષ્યજીવન જ એ દુકાન છે. આપણા જીવનના પ્રથમ પંદર વર્ષ એ પેલી દુકાન છે. પચ્ચીસ વર્ષ એ બીજી દુકાન છે; અને અંતિમ સાંઈઠ વર્ષ ત્રીજી દુકાન. જીવનના પ્રથમ પંદર વર્ષ રમવા-કુદવામાં વીતી જાય છે. તેના પછીના પચ્ચીસ વર્ષ ગધાપચ્ચીસી કહેવાય છે. જેમાં મનુષ્ય સ્ત્રી, ધન, વિ.ના ચક્કરમાં ફસાઈ જાય છે. ભજન કરવાનો તેને સમય જ મળતો નથી. અગર જો તે એ સમયે સાધનભજન કરે તો સાધનપચ્ચીસી થઈ જાય. જે કોઈ આ પચ્ચીસ વર્ષોમાં સાધન-ભજન ના કરે, તે વૃદ્ધાવસ્થામાં પણ સાધનભજન ન કરી શકે. ચાલીસ વર્ષની અવસ્થામાં આવતાં જ તેને પોતાનાં પુત્ર-પુત્રીઓનાં લગ્ન વિવાહની ચિંતા સતાવવા લાગે છે. એમના વિવાહ કર્યા પછી તો કુટુંબ બહોળું થઈ જાય છે. કુટુંબની જવાબદારી વધી જાય છે. પછી ભજન કરવાનો સમય જ ક્યાંથી મળે? આ પ્રકારની ઉપાધિઓમાં ફસાઈને મનુષ્ય પોતાનું આ અમૂલ્ય જીવન વેડફી નાખે છે.
કંજુસાઈનું પરિણામ
એક ગરીબ બ્રાહ્મણ હતો. તેને પોતાની પુત્રીના લગ્ન કરવાના હતા. તેણે વિચાર્યું કે કથા કરવાથી થોડા પૈસા મળશે અને પોતાનું કામ થઈ જશે. એવો વિચાર કરીને તેણે ભગવાન રામના મંદિરમાં બેસીને કથાની શરૂઆત કરી. એણે વિચાર્યું કે કોઈ શ્રોતા આવે કે ન આવે પણ ભગવાન તો મારી કથા સાંભળશે જ.
પંડિતજીની કથામાં થોડા શ્રોતાઓ આવવા લાગ્યા. એક ખૂબ જ કંજુસ શેઠ હતો. એક દિવસ એ મંદિરમાં આવ્યો. જ્યારે તે મંદિરની પરિક્રમા કરી રહ્યો હતો ત્યારે મંદિરમાંથી તેને અવાજ સંભળાયો. એને એવું લાગ્યું કે મંદિરની અંદર કોઈ બે વ્યક્તિઓ આપસમાં વાતચીત કરી રહી છે. શેઠે કાન ધરીને સાંભળ્યું. ભગવાન રામ હનુમાનજીને કહી રહ્યા હતા કે ‘આ ગરીબ બ્રાહ્મણ માટે એક સો રૂપિયાની વ્યવસ્થા કરી દે, જેથી કન્યાદાન વ્યવસ્થિત રીતે થઈ શકે.’ હનુમાનજીએ કહ્યું કે ‘મહારાજ, તેને સો રૂપિયા મળી જશે.’ શેઠે આ વાત સાંભળી એટલે કથા પૂરી થતાં તે પંડિતજીને મળ્યો અને કહ્યું કે મહારાજ કથામાં રૂપિયા મળી રહે છે કે નહિ. પંડિતજીએ કહ્યું કે શ્રોતાઓ તો ઘણા ઓછા આવે છે, રૂપિયા ક્યાંથી મળે? શેઠે કહ્યું કે મારી એક શરત છે કે કથામાં જેટલા રૂપિયા મળે એ મને આપી દેવાના, હું તમને પચ્ચાસ રૂપિયા આપી દઈશ. પંડિતજીએ તેની શરત સ્વીકારી લીધી. તેણે વિચાર્યું કે કથામાં આટલા રૂપિયા તો મળશે નહિ; પરંતુ શેઠજી પાસેથી પચ્ચાસ રૂપિયા મળી જશે એ જ સારું રહેશે. જુના જમાનામાં પચ્ચાસ રૂપિયા પણ બહુ જ વધારે ગણાતા. આ બાજુ શેઠની દાનત એવી હતી કે હનુમાનજી ભગવાનની આજ્ઞાનું પાલન કરવા માટે એને સો રૂપિયા તો જરૂર અપાવશે જ. એ સો રૂપિયા મને મળી જશે અને પચાસ રૂપિયા હું બ્રાહ્મણને આપી દઈશ, એટલે બાકીના પચાસ રૂપિયા તો મને મળી જ જવાના છે. જે લોભી હોય છે, તે હંમેશાં રૂપિયાનો જ વિચાર કરે છે. એથી શેઠે ભગવાન રામ અને હનુમાનજીની વાત સાંભળી છતાં પણ તેમનામાં ભગવાન પ્રત્યેની ભક્તિનો ભાવ જાગ્યો નહિ, ઊલટાનો લોભને જ વળગી રહ્યો.
કથાની પૂર્ણાહૂતિ થતાં જ શેઠ બ્રાહ્મણ પાસે આવ્યા. તેને એવી આશા હતી કે આજે તો બ્રાહ્મણને સો રૂપિયા દક્ષિણાના મળ્યા જ હશે. પંડિતજીએ કહ્યું કે આજે તો બહુ જ ઓછી દક્ષિણા મળી છે. માત્ર પાંચ-સાત રૂપિયા જ આવ્યા છે. હવે શેઠ બિચારો શું કરે? તેણે પોતાના વાયદા મુજબ પંડિતજીને પચાસ રૂપિયા આપી દીધા. શેઠ તો મંદિરની બહાર આવી ગુસ્સે ભરાણા.
શેઠને હનુમાનજી પર ગુસ્સો આવ્યો કે તેમણે પંડિતજીને સો રૂપિયા ન અપાવ્યા અને ભગવાન પાસે જૂઠું બોલ્યા. એ તો મંદિરમાં ગયો અને હનુમાનજીની મૂર્તિ પર ઘૂસ્તો માર્યો. એની સાથે જ શેઠનો હાથ મૂર્તિ સાથે ચોંટી ગયો. હવે શેઠે ઘણું જોર કર્યું છતાંય તેનો હાથ છૂટ્યો નહિ. જેને હનુમાનજી પકડે, તે કઈ રીતે છૂટી શકે? શેઠ ને ફરી અવાજ સંભળાયો. એણે ધ્યાનથી સાંભળ્યું.
ભગવાન રામ હનુમાનજીને પૂછી રહ્યા હતા કે તેમણે બ્રાહ્મણને સો રૂપિયા અપાવ્યા કે નહિ? હનુમાનજીએ જવાબ આપ્યો કે પચાસ રૂપિયા તો અપાવી દીધા છે, બાકીના પચાસ રૂપિયા માટે શેઠને પકડી રાખ્યા છે. એ પચ્ચાસ રૂપિયા આપશે તો જ તેને છોડીશ. શેઠે વિચાર્યું કે લોકો મંદિરમાં આવીને તેની સ્થિતિ જોશે તો તેમની બે-ઇજ્જતી થશે. તેણે ગુસ્સાથી કહ્યું ‘હનુમાનજી મહારાજ! મને છોડો. હું પચાસ રૂપિયા આપીશ.’ હનુમાનજીએ શેઠનો હાથ છોડી દીધો. શેઠે જઈને પંડિતજીને પચાસ રૂપિયા આપી દીધા.
Your Content Goes Here




