દેવર્ષિ નારદ નામના પ્રભુના ભક્ત, શાસ્ત્રોના જાણકાર મહાન ઋષિ હતા. વાંચતાં વાંચતાં ‘માયા’ એ શબ્દ આવ્યો; એનો અર્થ સમજાતો નહોતો. આ માયા એટલે શું? એ સમજવા પાને પાનું જોઈ નાખ્યું. પણ બધું નકામું. છેવટે ચોપડી ધડ દઈને બંધ કરી, ‘મને માયાનો અર્થ નથી સમજાતો અને ન સમજાય ત્યાં સુધી મન ભમ્યે રાખશે.’ આમ મનમાં વિચારીને કેટકેટલાં થોથાં ઉથલાવ્યાં, શાસ્ત્રકારોને મળ્યા પણ એમના ઉત્તરથી નારદને સંતોષ કે શાંતિ ન મળ્યાં. ‘હવે શું કરવું?’ ‘મને કોણ સમજાવે?’ એમ વિચારતા રહ્યા. અંતે હરખથી ઊભા થઈ ગયા અને બોલી ઊઠ્યા : ‘વારુ, મારા ગુરુ ભગવાન શ્રીકૃષ્ણ પાસે જાઉં, તેમને તો ‘માયા’ના અર્થની ચોક્કસ ખબર હશે જ.’ અને નારદજી તો ઉપડ્યા દ્વારકા, કૃષ્ણને મળવા.

શ્રી ભગવાને નારદજીનું ભાવભીનું સ્વાગત કર્યું. નારદઋષિજીને ભેટ્યા અને કહ્યું : ‘તમે મારે ત્યાં પધાર્યા એ મારું અહોભાગ્ય! પણ તમારું મન કોઈ અશાંતિ અનુભવતું હોય તેવું લાગે છે. કંઈ મૂંઝવણમાં પડ્યા છો?’

ભગવાન શ્રીકૃષ્ણને ચરણે માથું નમાવીને નારદજી બોલ્યા : ‘મારા પ્રભુ, આપ તો જાણો છો કે મનમાં શાંતિ નથી. મારે એક સવાલનો ઉકેલ જોઈએ છે.’

‘નારદજી, તમારે વળી શી સમસ્યા?’

બે હાથ જોડીને નારદજી બોલ્યા, ‘માયાનો અર્થ મને સમજાતો નથી. આપ કૃપા કરીને ‘માયા’ એટલે શું એ મને સમજાવો, અને મને બતાવો કે એ શું છે, પ્રભુ!’

કૃષ્ણ ખડખડાટ હસ્યા અને કહ્યું : ‘આમાં મૂંઝાઈ શું ગયા, નારદજી? વારુ, માયા શું છે તે તો સમજાઈ જશે, પણ બેશક, અત્યારે તો નહીં. તમે થાક્યા પાક્યા આવ્યા છો. અહીં રહો; થોડા દિવસ આરામ લો. પછી વાત.’ આ સાંભળીને નારદજી બોલ્યા: “આપના સહવાસમાં રહેવું એ મારું પરમ સદ્ભાગ્ય છે, પ્રભુ!”

આમ દિવસો પસાર થયા, પણ જવાબ ન મળ્યો. નારદજીનું મન બન્યું અધીર, પણ કૃષ્ણને યાદે ય કેમ અપાવવું એ વધારાની મૂંઝવણ.

એક દિવસે કૃષ્ણે નારદજીને દૂર યાત્રાએ આવવા કહ્યું. બંને સવારે ઊપડ્યા. કેટલાક માઈલ ચાલ્યા પછી કૃષ્ણે કહ્યું : ‘નારદજી, મને બહુ તરસ લાગી છે; થોડું પાણી લાવી આપશો?’

‘હમણાં લાવી આપું’ કહીને નારદજી તો ઉપડ્યા. થોડે દૂર એક ગામમાં એક ઘરનું બારણું ખખડાવ્યું. બારણું ખુલતાંની સાથે એક નમણી સુંદ૨ નારી સામે આવીને ઊભી રહી. ‘અરે, કેવું દિવ્ય રૂપ – સૌન્દર્ય!’ નારદ મનોમન બોલ્યા, અને એકીટશે જોઈ રહ્યા. યુવતી તો શરમથી લાલચોળ થઈ ગઈ. નયન નીચાં ઢાળીને મધુર અવાજે બોલી: ‘આપ અંદર આવો, મહારાજ, આપની હું શી સેવા કરું, કહો?’ રૂપવતીની મોહિનીથી અંજાઈને નારદજી અંદર ગયા, બેઠા, પણ એક શબ્દેય બોલી ન શક્યા. નારદજી પોતે અહીં શા માટે આવ્યા હતા, ત્યાં કૃષ્ણ રાહ જોતા બેઠા હશે, આ બધું જ ભૂલી ગયા. બસ એક જ વિચારમાં ડૂબી ગયા. ‘કેવી નાજુક સુંદર સ્ત્રી! એ મારી પત્ની બની જાય તો કેવું સારું! આ સૌન્દર્યવતી સિવાય મારા જીવવાનો ય શો અર્થ?’

સુંદરી તો બહાર ગઈ અને પિતાને ઘરમાં મોકલ્યા.

ધોળા વાળવાળા વૃદ્ધે નારદજીનું સ્વાગત કરતાં કહ્યું : ‘આ ગરીબની ઝૂંપડીમાં પધારો મહારાજ. આપના જેવા અતિથિથી મારું આંગણું પાવન થયું. આપને ઠીક પડે ત્યાં સુધી અહીં રહો.’

નારદજીને આવા આતિથ્યની તો કલ્પનાયે નહોતી અને યજમાનના શબ્દોથી તેઓ ખુશખુશાલ થઈ ગયા.

નારદજીને પેલી યુવતી સાથે વાત કરવાની ઘણી તક મળી ગઈ. દરરોજ મળતાં, વાતચીત કરતાં. આમ કરતાં બંને પડ્યાં પ્રેમમાં. એક દિવસ નારદજીએ કહ્યું : ‘તમે મારી સહધર્મિણી બનશો?’

યુવતી તો શરમાઈ ગઈ. નજ૨ ઢાળીને પગના અંગૂઠાથી જમીન ખોતરતાં બોલી : ‘મહારાજ, મારા પિતા સહમત હોય તો હું આપની ધર્માંગિની બનવા તૈયાર છું.’

‘હું હમણાં જ જઈને વાત કરું છું.’ આમ કહીને તેઓ યુવતીના પિતા સાથે વાત કરવા અંદર ગયા. પોતાના હૈયાની વાત હોઠે આવી ગઈ, પણ વૃદ્ધને મળતાં જ જીભના લોચા વળવા લાગ્યા. શરમાતાં શરમાતાં નારદજી બોલ્યા : ‘મારે…એક વાત…કરવી છે.’

વૃદ્ધે હસતાં હસતાં કહ્યું : ‘ભલે, પહેલાં આપ શાંતિથી બેસો.’

નારદજી તો બેઠા. હાથ મસળવા લાગ્યા. માથું ખંજવાળતાં માંડ માંડ બોલ્યા : ‘વારુ, હું આપને… વિ… નં…તી કરું છું. આપ હા પાડશો?…આપની પુત્રીનો હાથ હું માગું છું.’

વૃદ્ધ જોરથી હસ્યા અને કહ્યું : ‘અરે ઋષિજી, આપની વાત તો હું સમજ્યો. જો મારી દીકરી સમ્મત હોય તો મારા આશીર્વાદ આપની સાથે રહેશે.’

નારદજી બોલી ઊઠ્યા : ‘આપનો આભાર, મહારાજ.’

વૃદ્ધે કહ્યું : ‘પણ મારી એક વિનંતી છે.’

નારદજી બોલ્યા : ‘બોલો, શી વિનંતી છે?’

વૃદ્ધે કહ્યું : ‘મારી ઈચ્છા છે કે લગ્ન પછી આપ અહીં મારી સાથે રહો.’ નારદજીએ તો તરત જ રાજીખુશીથી વૃદ્ધના સૂચનને સ્વીકાર્યું.

એક શુભદિને નારદનાં લગ્ન પેલી યુવતી સાથે થયાં. નારદજી તો ખુશખુશાલ. આમ બાર વર્ષ વીતી ગયાં. તેમના સસરાનું અવસાન થયું. નારદજીને એનો બધો વારસોય મળ્યો. નારદજી મનોમન ‘હું સુખી છું,’ તેમ માનવા લાગ્યા. સુખી જીવન, પોતાનાં સંતાનો સાથે વાડી-વજીફાનાં સુખ માણવા લાગ્યા.

એક રાત્રે એક ગર્જનાથી ઓચિંતા જ નારદજીની ઊંઘ ઊડી ગઈ. ‘અરે, આ તો વરસાદના કડાકા ભડાકા’ – આમ કહીને બારીની બહાર નજર કરીને બોલ્યા : ‘ભલે મેઘ ગાજે, કડાકા થાય, વરસાદે ય ભલે વરસતો. પણ બંદાને તો આ ઘરમાં આનંદ આનંદ છે. મારી વહાલી પત્ની અને સુંદર મજાનાં બાળકો સાથે હું તો છું સલામત.’

અને આમ કરતાં ઊંઘ આવી ગઈ. પણ એનું સુખ ક્ષણભરનું રહ્યું. પૂર ચઢી આવ્યું. નદીઓમાં ઘોડાપૂર આવ્યાં. ગામમાં પાણી ભરાયાં, ઘરો પડ્યાં. સ્ત્રી-પુરુષો, પ્રાણીઓ ધસમસતા પૂરના સપાટે ચડ્યાં અને માંડ્યાં તણાવા. કેટલાંય ડૂબી ગયાં. બધું પૂરપ્રલયમાં તણાઈ ગયું. નારદજી બાળકોની ચીસાચીસ સાંભળીને જાગી ગયા. પથારીમાંથી બહાર નીકળીને બારણું ખોલ્યું. જાગીને જોયું તો ભયજનક દૃશ્યથી ચહેરો ઝાંખો થઈ ગયો. તેઓ પોકારી ઊઠ્યા : ‘હે પ્રભુ, મારા કુટુંબને, મારા ઘરને બચાવો, ભગવાન, બચાવો.’ પરંતુ નારદજીનો આ પોકાર, ઘરમાં ઘૂસી આવતાં પૂરનાં પાણીના અવાજમાં ડૂબી ગયો.

નારદજીને અંતે એ ઘર છોડીને ભાગવું પડ્યું. એક હાથે પત્નીને પકડી, બીજા હાથે બે બાળકોને ઝાલ્યાં. ત્રીજું ખભે લીધું; નારદજી પૂરના પાણીમાંથી બચવા ભરપૂર પ્રયાસ કરવા લાગ્યા. કમનસીબે પાણી જ્યાં ઘૂમરિયું ખાતું હતું તેવા ભયાનક સ્થળે તેઓ આવી પહોંચ્યા. પાણીનો પ્રવાહ પ્રલય જેવો બન્યો. તેમના ખભેથી બાળક પડી ગયું અને તણાઇ ગયું. નારદજી હતાશ બનીને નિસાસા સાથે ચીસ પાડી ઊઠ્યા. પેલા બાળકને બચાવવા જતાં બીજાં બેની પકડેય ઢીલી પડી ગઈ અને એય પાણીમાં ગાયબ. બિચારા બાપડા બનીને ગુસ્સાભર્યા શબ્દોની પ્રાર્થનાની ઝડી વસી ગઈ ના૨દજીના મુખેથી. નારદે ગુસ્સાથી ધ્રૂજતાં ધ્રૂજતાં પ્રાર્થનાઓ કરી, આક્રંદભરી કાકલૂદીઓ એળે ગઈ. પતિ-પત્ની એકબીજાને વળગીને લોઢમાંથી બચવા મથતાં રહ્યાં.

છેવટે લાચારીથી પાણીનાં ઊછળતાં પૂર, લોઢમાં નારદજી પત્નીને પણ તણાતી જોઈ રહ્યા. પણ, અરે, ભગવાન, પોતાની પત્નીને બધી શક્તિ એકઠી કરીને પકડી રાખી હતી તે ય આ ક્રૂર પાણીના પ્રવાહમાં અંતે તણાવા લાગી અને પાણીના પ્રવાહે નારદજીને કિનારે ફેંકી દીધા. અને ડૂસકાં સાથે નદી કિનારે નારદજી કરુણ વિલાપ કરવા લાગ્યા.

આક્રન્દ કરતાં તેઓ બોલી ઊઠ્યા : ‘હે ભગવાન, મેં શું કર્યું કે મને આવી સજા કરી? હવે આ કાયાનો ય શો ખપ?’ નાદરજી રડતાં રડતાં બબડ્યા : ‘નિષ્ઠુર વિધાતા, હે પ્રભુ, હવે મને લઈ લે, મારી નાખ મને એટલે પત્યું.’

ઓચિંતાના તેમની પાછળથી મૃદુ શબ્દો તેમના કાને પડ્યાઃ ‘ઋષિજી, પાણી ક્યાં છે? તમે અરધા કલાકથી મારા માટે પાણી લેવા ગયા હતા ને?’

‘અરધો જ કલાક!’ નારદજી તો દંગ થઈને ઊભા રહ્યા.

‘આમ કોણ કહે છે?’ એમ કહીને બૂમ પાડી ઊઠ્યા : ‘હે પ્રભુ, આપ આમ કહો છો? બાર બાર વર્ષ વીતી ગયાં, આ બધો વિનાશ થઈ ગયો અને આપ કહો છો કે માત્ર અર્ધો જ કલાક!’

કૃષ્ણે સ્મિત સાથે કહ્યું : ‘નારદજી, ‘માયા’ એટલે શું એ તમારે જાણવું હતું ને? આ છે ‘માયા’.

બોધ :

માયા એવી મહાન શક્તિ છે કે માનવને જીવનનો મર્મ અને ઉદ્દેશ્ય ભુલાવી દે છે. માનવીએ માયાથી બચવું જોઈએ અને હર પળે તેનાથી સચેત રહીને ચાલવું જોઈએ.

(‘વિવેકાનંદની સચિત્ર બોધકથાઓ’)

Total Views: 962

2 Comments

  1. Kajallodhia May 6, 2023 at 2:02 am - Reply

    ખુબ જ સરસ બોધ કથા! પણ માયાપતી જ આપણને માયાથી બચાવી શકે.

  2. Kajallodhia May 6, 2023 at 2:01 am - Reply

    ખુબ જ સરસ બોધ કથા! પણ માયાપતી જ આપણને માયાથી બચાવી શકે

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.