પ્રભુ! અમારાં રજકણ નાનાં મન
તમે જરી બુંદ ન વરસો ત્યાં મ્હોરે વનનાં વન
તમે પરન્તુ વરસો એવું આભલું ફાટંફાટ,
કેમ ઝીલવા? અમને એના ઉર્વિ સમા ઉચાટ
રૂંવે રૂંવે મધુવન અણુએ અણુએ આલિંગન.
હોવું સઘળું જશે ઓગળી હમણાં, એવું થાય,
અનંત આવ્યો અતિથિ થઈ ત્યાં સંકડાશ ક્યાં જાય!
તૂટું તૂટું બધી દીવાલો, સમય સાવ રે સન્ન!
જનમ જનમથી સંગોપી તે માયા મૂડી જાશે?
સંગોપ્યું તે સઘળું હમણા પરવશ ખુલ્લું થાશે!
જશે આબરુ? આ તે કેવાં ઈજ્જતનાં ઇજન!
ભલે પધારો, અમે તમારી અનહદમાં સંતાશું,
તમે સમાશો કેમ? અમે તો તમમાં સહજ સમાશું,
કદી આથમે નહીં અમારે ભલો ઊગશે દંન.
– લાભશંકર રાવળ
Your Content Goes Here




