વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું છે. (TQM – Total Quality Management) ટીક્યુએમ અને (Zero Defect) ઝીરો ડિફેક્ટ એ શબ્દો આધુનિકતાના – પ્રગતિના – પર્યાયવાચી બની ગયા છે. વ્યક્તિગત કાર્યક્ષમતા અને ઉત્પાદકતા આ માટે મહત્ત્વનો ભાગ ભજવે છે અને મનની એકાગ્રતા કેળવ્યા વગર આ શક્ય નથી.

શૈક્ષણિક ક્ષેત્રે સફળતા મેળવવા માટે પણ મનની એકાગ્રતા અત્યંત આવશ્યક છે. વૈદિક કાળથી જ આપણા દેશમાં ગુરુકુળોમાં, વિશ્વવિદ્યાલયોમાં એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ અનિવાર્ય હતું. આજે આપણી મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં એકાગ્રતાનું આ મહત્ત્વનું શિક્ષણ અપાતું નથી એ દુર્ભાગ્યની વાત છે. પણ ધીરે ધીરે લોકોમાં આ વિશે જાગ્રતિ આવી રહી છે; ખાસ તો વિદેશમાં આ વિશેની ઉત્સુકતા વધી રહી છે, એ જાણ્યા પછી આપણા દેશના શિક્ષણવિદો આ વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છે.

હૉલૅન્ડની એક ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ વિશે પ્રયોગ કરવામાં આવ્યો. કેટલાક વિદ્યાર્થીઓને એક વર્ષ માટે શ્રી અંધારે એસ. જોઆ દ્વારા એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ અપાયું અને પછી તેમણે મેળવેલ સિદ્ધિઓની તુલના અન્ય વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિઓ સાથે કરવામાં આવી. જાણવા મળ્યું કે જે વિદ્યાર્થીઓએ એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ મેળવ્યું હતું તેઓએ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવ્યા, ભણવામાં તે આગળ રહ્યા, એટલું જ નહિ, ઇતર પ્રવૃત્તિઓમાં – ખેલકૂદ વગેરેમાં પણ તેઓ આગળ રહ્યા. ઈંગ્લૅન્ડમાં અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં પણ હવે એકાગ્રતા અને ધ્યાનનું શિક્ષણ પ્રાયોગિક ધોરણે શાળાઓમાં અપાઈ રહ્યું છે. અમેરિકામાં, હાર્વર્ડ યુનિવર્સિટીમાં ધ્યાનના અભ્યાસથી જે લાભો મળ્યા છે તેનું વર્ણન ડૉ. હર્બર્ટ બૅન્સનના પુસ્તક ‘ધ રિલૅક્સૅશન રિસ્પૉન્સ’માં મળે છે.

આધ્યાત્મિક ક્ષેત્રે સફળતા માટે તો એકાગ્રતા અનિવાર્ય છે. ભક્તિમાર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટદેવ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક અને અનાસક્તિપૂર્વક સેવાકાર્યો કરવા પડે છે, જ્ઞાનયોગીને એકાગ્રતાપૂર્વક બ્રહ્મચિંતન કરવું પડે છે, અને રાજયોગીનું તો લક્ષ્ય જ છે – સંપૂર્ણ એકાગ્રતા – ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ. ખ્રિસ્તી, યહૂદી, હિંદુ, બૌદ્ધ અને મુસ્લિમ રહસ્યવાદીઓના જીવનનો અભ્યાસ કરવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે એકાગ્રતાની શક્તિના વિકાસ દ્વારા જ તેઓએ સર્વોચ્ચ આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ કરી હતી.

આમ જીવનની પ્રત્યેક સફળતા માટે એકાગ્રતાની આવશ્યકતા છે. સફળતા મેળવવા માટે કોણે કેટલો સમય કાર્ય કર્યું એ મહત્ત્વનું નથી પણ કેવી રીતે, કેટલી એકાગ્રતાથી કર્યું એ મહત્ત્વનું છે. એકાગ્રતાપૂર્વક કાર્ય કરવાથી ઓછામાં ઓછા સમયમાં અને વધુ સારું અને વધુ ફળ મળે છે અને આવી રીતે સમયનું આયોજન (Time Management) વધુ સારી રીતે થઈ શકે છે.

ઘણા વિદ્યાર્થીઓ દરરોજ કલાકો સુધી ભણે છે તો પણ સારા માર્કસ મેળવતા નથી, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ તેનાથી ઓછા કલાકો ભણી વધુ સારું પરિણામ મેળવે છે. તેનું કારણ છે – એકાગ્રતાનું અંતર. કેટલાક સાધકો દરરોજ કલાકો સુધી પૂજાપાઠ કરે છે, ધ્યાન કરે છે, પણ બેધ્યાન બનીને; તેથી આધ્યાત્મિક પ્રગતિ સાધી શકતા નથી, જ્યારે અન્ય સાધકો થોડો સમય નિયમિત સાધના કરીને પણ અદ્‌ભુત પ્રગતિ કરે છે તેનું કારણ છે – મનની એકાગ્રતા.

મનોવિજ્ઞાન – પ્રાચ્ય અને પાશ્ચાત્ય

ઘણાં વિદ્યાર્થી ભાઈ-બહેનોની ફરિયાદ હોય છે કે તેઓ ભણવા તો બેસે છે પણ ભણવામાં મન લાગતું નથી, ‘મૂડ’ આવતો નથી, મન એકાગ્ર થતું નથી. ઘણા સાધકો પૂછે છે – ‘ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે મનમાં આડાઅવળા કેટલાય વિચારો આવે છે, મન સ્થિર થતું જ નથી, એકાગ્ર થતું નથી, એનું શું કારણ?’ એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયોની ચર્ચા કરતાં પહેલાં આપણે આ કારણો જાણી લેવાં જોઈએ. આપણે આ ચર્ચા પાશ્ચાત્ય તેમજ પ્રાચ્ય મનોવિજ્ઞાન – બંનેનાં સંદર્ભમાં કરીશું.

આપણું મન સ્વભાવથી જ ચંચળ છે. મનની અશુદ્ધિ તેને વધુ ચંચળ બનાવે છે. આધુનિક મનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે ચેતન મન (Conscious Mind) તો મનનો નાનો અંશ છે, આની પાછળ અચેતન મન (Unconscious Mind) છે. આ ભંડારઘરમાં – અચેતન મનમાં – અનેક સંસ્કારો છુપાયેલા હોય છે, જેઓ અજાણતાં એકાગ્રતાના અભ્યાસમાં વિક્ષેપ નાખતા હોય છે. સાગરમાં હિમશિલા (Iceberg) તરતી હોય છે, તેનો આઠમો ભાગ જ દૃષ્ટિગોચર થાય છે, બાકીનો ભાગ પાણીમાં ડૂબેલો હોવાથી દેખાતો નથી, તેથી ‘ટાયટૅનિક’ જેવા વિશાળકાય જહાજો ટકરાઈને ભાંગીને ભૂકો થઈ જાય છે. એ જ રીતે અચેતન મનમાં ઘણી શક્તિઓ પડેલી છે જેનો સદુપયોગ કરી મહાન સિદ્ધિઓ હાંસલ થઈ શકે. હિંદુ શાસ્ત્રોના મત પ્રમાણે આ સંસ્કારો સારા અને નરસા બંને પ્રકારના છે અને ફક્ત આ જન્મના નહિ, પૂર્વજન્મના સંસ્કારો પણ અચેતન મનમાં પડેલા છે. આધુનિક પાશ્ચાત્ય મનોવિજ્ઞાનમાં મનોવિશ્લેષણ (Psycho-analysis) પદ્ધતિનો આરંભ કરનાર ડૉ. સિગમન ફ્રૉયડ એમ માને છે કે આ અચેતન મન ખરાબ વૃત્તિઓનું જ ભંડારઘર છે અને દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે બાળપણના અનુભવો કારણભૂત છે. માનવ અચેતન મન પર ગહન સંશોધન કરી તેમણે માનવજાતની મહાન સેવા બજાવી છે, પણ પોતાના કેટલાક ભૂલભરેલા અટપટા સિદ્ધાંતોને છેવટ સુધી છોડવાનો ઇન્કાર કરીને માનવજાતને નુકસાન પણ એટલું જ પહોંચાડ્યું છે. એટલા માટે જ તેમના પોતાના સાથીઓ – ઍૅડલર અને ડૉ. યુંગ તેમને છોડીને ચાલ્યા ગયા હતા. ફ્રૉયડના વિચારોની મહાનતા અને ખામીઓ વિશેના પુસ્તકમાં સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ઍૅરિક ફ્રોમ લખે છે – ‘ફ્રૉયડ એક શિક્ષકમાંથી પોતાના જ વિશ્વાસુ પણ અયોગ્ય શિષ્યોના કેદી બની ગયા.’

ફ્રૉયડ અને ઍૅડલરના સિદ્ધાંત મુજબ કાં તો જાતીયવૃત્તિ અથવા તો પ્રભુત્વ વૃત્તિ જ સૌથી વધુ મૂળભૂત કે આગળ પડતી સહજવૃત્તિ છે અથવા તો તે જ માનવપ્રકૃતિનું મૂળભૂત સત્ય છે. આ અંગે આધુનિક મનોવૈજ્ઞાનિક ડૉ. વિલિયમ બ્રાઉન માને છે કે જાતીયવૃત્તિ કે પ્રભુત્વની વૃત્તિ માનવીનાં વર્તન અને કાર્યોને સમજાવવા પર્યાપ્ત ગણી શકાય નહિ. ‘સાયન્સ ઍૅન્ડ પર્સનાલિટી’માં અવલોકન કરતાં ડૉ. બ્રાઉન જણાવે છે કે એક મૂળભૂત સહજવૃત્તિને શોધી કાઢવાના પ્રયત્નમાં ફ્રૉયડ અને ઍૅડલર નિષ્ફળ નીવડ્યા છે.

સ્વામી અખિલાનંદજીએ પ્રાચ્ય અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યા બાદ આ વિષય પર કેટલાંક મહત્ત્વપૂર્ણ પુસ્તકો લખ્યાં. તેમાંના એક પુસ્તકમાં તેઓ લખે છે, ‘માણસ મૂળભૂત રીતે વિનાશક વૃત્તિ ધરાવે છે એવા મંતવ્ય મુજબ આત્મહત્યા, લડાઈ અને અન્ય વિનાશક વૃત્તિઓ સાધારણ મનની અભિવ્યક્તિ ગણાય નહિ. ફ્રૉયડ તથા અન્ય વિશ્લેષણવાદીઓ વિકૃતિશાસ્ત્રને લગતા કિસ્સાઓના અભ્યાસને આધારે બિનજરૂરી અને અસંગત રીતે સામાન્યીકરણ કરી રહ્યા એમ જણાય છે. ધાર્મિક આત્મનિષેધ કે ત્યાગની પાછળ પણ મૃત્યુ જેવી વિનાશક વૃત્તિ શોધવી હવે તદ્દન અતાર્કિક અને છિછરો પ્રયાસ જ જણાય છે. હિંદુ મનોવૈજ્ઞાનિકોનો દૃષ્ટિકોણ આથી વિરુદ્ધ છે. તેઓ એવા નિષ્કર્ષ પર આવે છે કે માનવ મનની અંદર શાશ્વત સુખ અને અનંત અસ્તિત્વની ઝંખના રહેલી છે.’

આધુનિક મનોવૈજ્ઞાનિક પ્રૉ. વિલિયમ જૅમ્સ સ્વીકારે છે કે, ‘હિન્દુસ્તાનનું યોગદર્શન નિ:શંકપણે અત્યંત આદરણીય અને ત્યાગ વૈરાગ્ય – પ્રેરક છે. તેનાં પરિણામો અત્યંત વિપુલ પ્રાયોગિક પુરાવાઓ આપે છે.’

પ્રાચ્ય અને પાશ્ચાત્ય મનોવિજ્ઞાનનું તુલનાત્મક અધ્યયન કરવાથી એકાગ્રતા અને મનોનિગ્રહ વિશે મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સાંપડે છે. તેમાંના થોડા સંક્ષેપમાં આ રીતે રજૂ કરી શકાય –

૧. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકોએ હજારો વર્ષોથી એકાગ્રતાનું સંપૂર્ણ વિજ્ઞાન વિકસાવ્યું છે. મહર્ષિ પતંજલિએ પોતાના યોગસૂત્રોમાં એકાગ્રતાના વિજ્ઞાન વિશે સવિસ્તાર માહિતી આપી છે. ઉપનિષદો, ગીતા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોમાં પણ આ વિશે ઘણી માહિતી મળે છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો એકાગ્રતાને સમગ્રપણે સમજી શક્યા નથી. તેઓએ પ્રયોગશાળામાં આ વિશે જે અનેક પ્રયોગો કર્યા છે તે મહત્ત્વના છે. પણ આ બધા કાળજી (Attention) વિશે છે જે એકાગ્રતા (Concentration)નું માત્ર પ્રથમ સોપાન છે.

૨. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો ચેતનાની ચાર અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરીય – સ્વીકારે છે. મોટા ભાગના પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો તુરીય અવસ્થા અથવા (Superconscious Mind) પરચેતનમનના અભ્યાસની ઉપેક્ષા કરે છે અથવા તો તેને રોગનિદાનલક્ષી (Pathological) ગણે છે.

૩. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકોએ પોતાનાં તારણો સામાન્ય Normal અથવા પ્રતિભાસંપન્ન ઉત્તમ Super-normal મનના અભ્યાસ દ્વારા કર્યા છે, જ્યારે, ચાર્કોટ, જનેટ, ફ્રૉયડ, ઍૅડલર, હ્યુંગ અને પશ્ચિમના અન્ય મનોવિશ્લેષણવાદીઓએ મોટા ભાગે માનસિક રોગોથી પીડાતા એવા અસામાન્ય Abnormal મનુષ્યના મનના અભ્યાસ દ્વારા પોતાનાં તારણો મેળવ્યાં છે. આવી રીતે તારવેલા નિષ્કર્ષોને સામાન્ય Normal મનને લાગુ કરવાનો પ્રયાસ જોખમકારક નીવડી શકે.

૪. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો પૂર્વજન્મમાં માને છે, તેથી અચેતન મનમાં પૂર્વજન્મોના સંસ્કારો પરિબળને મહત્ત્વપૂર્ણ માને છે. મોટા ભાગના પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો આ જન્મમાં મેળવેલ સંસ્કાર, વિશેષ રૂપે બાળપણના અનુભવો અને સંસ્કારોને અચેતન મનમાં સંઘરાયેલા માને છે. જો કે ડૉ. હ્યુંગ જેવા કેટલાક મનોવૈજ્ઞાનિકો વંશગત અચેતન Racial unconsciousને મહત્ત્વ આપે છે.

૫. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો ‘આત્મા’ Selfમાં માને છે જે ચેતના Consciousનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. ‘મન’ એ સૂક્ષ્મ જડપદાર્થ છે, પોતે ચેતનવંતુ નથી. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો મન અને ચેતનાને અભિન્ન માને છે, તેથી જ સંપૂર્ણ આત્મસંયમ Self-Controlને અશક્ય માને છે. પ્રાચ્ય મનોવૈજ્ઞાનિકો માને છે કે મનુષ્ય પોતાના પુરુષાર્થ દ્વારા પોતાના મનના સંસ્કારો બદલી નાખી પોતાના જીવનની દિશા બદલી નાખી શકે છે.

અહીં એ જાણવું રસપ્રદ રહેશે કે ઍૅરિક ફ્રૉમ, અબ્રાહમ મૉસ્લો, કાર્લ રૉજર્સ, કારેન હાર્ની જેવા કેટલાક પાશ્ચાત્ય આધુનિક મનોવૈજ્ઞાનિકો હવે ‘માનવતાવાદી મનોવિજ્ઞાન’ Humanistic Psychologyમાં માને છે અને પ્રાચ્ય મનોવિજ્ઞાનની મહાનતાનો સ્વીકાર કરી તેના સિદ્ધાંતો ધીરે ધીરે અપનાવી રહ્યા છે.

મનોનિગ્રહ – કઠિન પણ શક્ય

મનને કાબૂમાં રાખવું કેટલું કઠિન છે? સ્વામી વિવેકાનંદજી દ્વારા તેને હડકાયા વાંદરા સાથે સરખાવવામાં આવ્યું છે, એ બરાબર જ છે. એક હતો વાંદરો – સ્વભાવે જ ચંચળ જેમ બધા વાંદરા હોય છે તેમ. એટલું બસ ન હોય તેમ કોઈએ તેમને ખૂબ દારૂ પાયો, એટલે એ વાંદરાની સ્થિતિ તો ચંચળતાની ટોંચે પહોંચી, અને તે પછી દુ:ખની માત્રા પર કળશ ચડાવવા માટે તેનામાં ભૂતનો સંચાર થયો. પછી, એ વાંદરાની કાબૂ બહારની ચંચળતાને કઈ ભાષામાં વર્ણવી શકે? માણસનું મન વાંદરા જેવું છે, સ્વભાવે જ નિરંતર ચંચળ. પછી એ ઇચ્છારૂપી દારૂ ઢીંચીને ટેં થાય એટલે એની ચંચળતાની માત્રા ખૂબ વધી જાય; ઇચ્છાએ તેને કબજામાં લીધો એટલે પછી, આવે બીજાઓની ફતેહથી થતી ઈર્ષ્યાના વીંછીનો ડંખ; અને છેલ્લે અભિમાનનું ભૂત તેના મનમાં ભરાઈ બેસે, એટલે એ પોતાને સર્વશ્રેષ્ઠ માને. આવા મનને કાબૂમાં લેવું કેટલું કઠણ છે!

કઠણ હોવા છતાં આ કાર્ય અશક્ય નથી. નિરાશ થવાની જરૂર નથી. મહાન વ્યક્તિઓ માટે પણ મનને વશ કરવું કઠણ હતું, તો આપણા માટે તો સ્વાભાવિક રીતે આ કાર્ય વધારે કઠણ હોય જ. પણ મનને વશ કરવાના ઉપાયો જાણીને તે પ્રમાણે કરવાથી અશક્ય પણ ધીરે ધીરે શક્ય બનશે.

ગીતા(૬.૩૪)માં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે –

चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्द्दृढम् ।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ॥

‘હે કૃષ્ણ! મન ચંચળ, વિહ્‌વળ કરનાર, બળવાન અને દૃઢ છે; મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું.’ અર્જુન જેવા મહારથીને મોઢેથી આ શબ્દો સાંભળીને શ્રી કૃષ્ણ તેને ઠપકો આપતા નથી પણ તેની વાતનું અનુમોદન કરીને મનને વશ કરવાનો મહામંત્ર આપે છે –

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् ।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ॥

(ગીતા – ૬.૩૫)

‘હે મહાબાહો! ખરેખર, મન ચંચળ છે અને તેને વશ કરવું મુશ્કેલ છે, તો પણ હે કૌન્તેય, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે.’

મનોનિગ્રહના ઉપાયો – અભ્યાસ અને વૈરાગ્ય

સાડા ત્રણ અક્ષરના એ જાદુઈ મંત્ર ‘અભ્યાસ’ દ્વારા અશક્ય લાગતાં એવાં કાર્ય પણ શક્ય બને છે.

૧૫ નવેમ્બર ૧૮૮૨ના રોજ શ્રીરામકૃષ્ણદેવ ભક્તો સાથે કોલકાતામાં વિલ્સન સર્કસ જોવા ગયા. સર્કસમાં કેટલીયેવાર સુધી તરેહ તરેહના ખેલો તેમણે જોયા. ગોળ રિંગમાંથી ઘોડો દોડી રહ્યો છે. ઘોડાની પીઠ પર છોકરી એક પગે ઊભેલી છે. વળી વચ્ચે વચ્ચે સામે મોટી મોટી લોઢાની રિંગો નીચે થઈને દોડે છે, ત્યારે એ છોકરી ઘોડાની પીઠ પરથી કૂદકો મારીને રિંગની અંદર થઈને ફરી પાછી ઘોડાની પીઠ ઉપર એક પગે ઊભી થઈ રહે છે. સર્કસ પૂરું થયા પછી શ્રીરામકૃષ્ણદેવ મેદાનમાં ગાડીની પાસે ઊભા ઊભા વાતો કરવા લાગ્યા: ‘જોયું ને? છોકરી કેવી એક પગે ઘોડા ઉપર ઊભી હતી, અને ઘોડો જોશથી દોડ્યો જાય છે! કેટલું કઠણ! કેટલાય દિવસ સુધી અભ્યાસ કર્યો હશે ત્યારે એમ કરી શકતી હશે ને?’ અભ્યાસ દ્વારા અશક્ય જેવાં કાર્યો પણ શક્ય બને છે. મનને વશ કરવું જાણે ઘોડા પર સવારી કરવા જેવું છે. આ ઘોડો આપણને પહેલા તો પોતાની પીઠ પર બેસવા જ નથી દેતો, વારંવાર પછાડી દે છે. માંડ માંડ સવાર થયા તો, કાં તો નિષ્ક્રિય થઈ બેસી રહે છે અથવા ચંચળ થઈ ફગાવી દે છે. પણ, અભ્યાસ દ્વારા ધીરે ધીરે મનના આ ઘોડાની પીઠ પર એક પગે ઊભું રહેવું પણ શક્ય બને છે.

પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવી નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મજા માણીશું, તેમણે ખૂબ દારૂ ઢીંચ્યો અને નાવમાં બેઠા. જલદીથી પેલે પાર પહોંચવા માટે આખી રાત હલેસા માર્યા. છેવટે તેઓને લાગ્યું કે, હવે કિનારો આવ્યો છે. જ્યારે દારૂનો નશો થોડો ઓછો થયો ત્યારે સવારના અજવાળામાં તેઓએ આશ્ચર્યથી જોયું કે, નાવ તો જે ઘાટ પરથી તેઓ ચડ્યા હતા ત્યાં જ હતી! આમ કેમ બન્યું? છેવટે ખબર પડી કે, આટલાં બધાં હલેસાં માર્યા છતાં નાવ તો એક તસુ પણ આગળ વધી નહોતી, કારણ કે દારૂના નશામાં તેઓ લંગર ઉઠાવવાનું જ ભૂલી ગયા હતા! આપણા બધાની પણ આવી જ અવસ્થા છે. મનને એકાગ્ર કરવાના, વશ કરવાના પ્રયત્નો તો ખૂબ કરીએ છીએ, હલેસાં તો ખૂબ મારીએ છીએ, પણ મનની એકાગ્રતારૂપ નાવ એક તસુ પણ આગળ ચાલતી નથી. કારણ કે સાંસારિક કાર્યોના નશામાં આપણે આસક્તિનું લંગર ખોલવાનું જ ભૂલી જઈએ છીએ. જ્યાં સુધી અનિચ્છનીય વસ્તુઓ પ્રત્ત્યેની આસક્તિનાં બંધન આપણે નહિ છોડીએ, અનાસક્તિ અને વૈરાગ્યનો ભાવ આપણા જીવનમાં નહિ આવે ત્યાં સુધી ઇચ્છનીય વસ્તુઓમાં ચિત્તને ચોટાડવું, મનને એકાગ્ર કરવું આપણા માટે અશક્ય બની જશે.

એક વિદ્યાર્થી દસમા ધોરણમાં ખૂબ જ સારા માર્કસ મેળવીને ઉત્તીર્ણ થયો. પણ બારમા ધોરણની પરીક્ષામાં વારંવાર નાપાસ થવા લાગ્યો. વાલીઓને, શિક્ષકોને, તેના મિત્રોને બધાને આશ્ચર્ય થયું કે આટલો તેજસ્વી વિદ્યાર્થી અચાનક આમ મનની એકાગ્રતા કેમ ગુમાવી બેઠો? પછીથી જાણવા મળ્યું કે આ સમય દરમિયાન તેને વિડીયો ફિલ્મ જોવાની એવી આદત લાગી ગઈ હતી કે દરરોજ ગંદી ફિલ્મો જોવામાં તેનો સારો એવો સમય જતો. બાકીનો સમય જ્યારે તે ભણવામાં લગાડતો તે પણ ફિલ્મોના ચિંતનમાં જ પસાર થતો, ભણવામાં તેનું ચિત્ત ચોટતું નહિ. આવી પરિસ્થિતિમાં તે કેવી રીતે સફળ થઈ શકે? જ્યાં સુધી તે વિવેકબુદ્ધિ દ્વારા વિચાર કરી, સંકલ્પ કરી, વિડીયો ફિલ્મો પ્રત્યે વૈરાગ્યનો ભાવ નહિ કેળવે ત્યાં સુધી તેના માટે એકાગ્રતા કેળવવી અશક્ય બની જશે.

એક ખેડૂત ખૂબ પરિશ્રમપૂર્વક પોતાના ખેતરમાં પાણી સીંચતો. દરરોજ તે કૂવામાંથી પાણી ઉલેચીને ખેતરમાં પાણી પાતો પણ ખેડૂતને આશ્ચર્ય થયું કે તોયે પાક સુકાઈ જાય છે! છેવટે તેને કારણ જાણવા મળ્યું. ખેતરની પાળમાં ઉંદરે ઘણાં છિદ્રો કર્યાં હતાં. આ છિદ્રો વાટે બધું પાણી બહાર નીકળી જતું હતું.

આમ એકાગ્રતા કેળવવા માટે, મનને વશ કરવા માટે, અભ્યાસની સાથે સાથે વૈરાગ્યની આવશ્યકતા છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને મનને વશ કરવા માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતાની વાત કરે છે. મહર્ષિ પતંજલિ પણ ચિત્તવૃત્તિઓના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્યની આવશ્યકતાની વાત કરે છે –

अभ्यासवैराग्याभ्याम् तन्निरोधः। (પાતંજલ યોગસૂત્ર – ૧/૧૨) આ સૂત્ર પરના ભાષ્યમાં વ્યાસદેવ કહે છે કે, ચિત્તરૂપી નદી બે દિશાઓમાં વહે છે; એક વિષયની દિશામાં થઈને પાપની તરફ અને બીજી વિવેકની દિશામાં થઈને કલ્યાણ તરફ. વૈરાગ્ય દ્વારા ચિત્તનદીને પાપ તરફ વહેતી અટકાવવામાં આવે છે અને અભ્યાસ દ્વારા તેને કલ્યાણ તરફ વહેવડાવવામાં આવે છે. વૈરાગ્યના અભાવમાં અભ્યાસ આંધળો છે અને અભ્યાસના અભાવમાં વૈરાગ્ય લૂલો છે. વૈરાગ્ય સાધનાને દિશા પ્રદાન કરે છે અને અભ્યાસ શક્તિ પ્રદાન કરે છે. રાવણ, કુંભકર્ણ, હિરણ્યકશિપુ વગેરે અસુરો અને હિટલર, મુસોલિની જેવી વ્યક્તિઓ આ વાતનું પ્રમાણ છે કે વૈરાગ્ય વગરની એકાગ્રતા કેટલી ખતરનાક નીવડી શકે છે!

અભ્યાસ કોને કહેવાય? પતંજલિ કહે છે – तत्र स्थितौ यत्नोऽभ्यासः। (પાતંજલ યોગસૂત્ર – ૧/૧૩) મનને સતત ચિત્તવૃત્તિ નિરોધની સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કરવો એ જ અભ્યાસ છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે-

यतो यतो निश्चरति मनश्चञ्चलमस्थिरम् ।
ततस्ततो नियम्यैतदात्मन्येव वशं नयेत् ॥ २६ ॥

(ગીતા – ૬.૨૬)

‘અસ્થિર અને ચંચલ મન જે જે વિષય માટે બહાર જાય, તે તે વિષયમાંથી તેને હટાવીને તેને વશ કરીને આત્મામાં જ સ્થાપિત કરો.’

આ પ્રકારના અભ્યાસથી શુભ ટેવો થાય છે અને ટેવોનો આ સમૂહ જ ચરિત્ર કહેવાય છે. ટેવો ઊંડી થઈને સંસ્કારોનું રૂપ ધારણ કરે છે અને તેઓ અચેતન સ્તર પરથી આપણા જીવનને સન્માર્ગે લઈ જાય છે.

અભ્યાસમાં દૃઢ થવા માટે પતંજલિ ત્રણ શરતો મૂકે છે: દીર્ઘકાળ, નૈરતર્ય અને સત્કર. दीर्घकालनैरतर्यसत्कारासेवितोदृढभूमिः। (પાતંજલ યોગસૂત્ર – ૧/૧૪) મનને વશ કરવા માટે નિરંતર દીર્ઘકાળ સુધી આદરપૂર્વક પ્રયત્ન કરવો પડશે.

સ્વામી વિવેકાનંદજીના શિષ્ય સ્વામી વિરજાનંદજી (રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ) ‘પરમપદને પંથે’ પુસ્તકમાં મનને વશ કરવાનો અચૂક ઉપાય બતાવે છે – ‘વાતમાં કહે છે ને કે, ‘કામ વિનાનું મન એ શેતાનનું કારખાનું!’ એ સાવ સાચી વાત. તેને વશ કરવું હોય તો જોર કરીને તેને નિયમોના બંધનમાં બાંધવું જોઈએ. વિચાર કરીને એવો એક routine દૈનિક કાર્યક્રમ કરવો કે જેનું પાલન કરી શકાય. અને દૃઢ સંકલ્પ રાખવો કે, ગમે તે અવસ્થામાં પડોને, બીજું ગમે તે કામ આવી પડેને, પણ જે નિયમ બાંધ્યો છે તે ગમે તેમ કરીને પાળવો જ. એ પ્રકારની નિષ્ઠા અને દૃઢતા જોઈએ. આહાર-વિહાર, ભણવુંગણવું, વ્યાયામ, નિદ્રા, કામકાજ, ધ્યાનભજન એટલે સુધી કે ખુશીમજા, રમતગમત એ બધાં કામોનો એક નક્કી કરેલો સમય રહે. આડીઅવળી રીતે ફાવે તેવી રીતે દિવસ ગાળવાથી જીવન વૃથા જવાનું. નિયમ બાંધીને મનને દૃઢ ભાવે હુકમ કરીને કહેવું: ‘અરે, બાપલા તું ઇચ્છે કે ન ઇચ્છે, તારે આ બધા નિયમો માનીને જ ચાલવાનું છે.’ થોડાક દિવસ મન વાંકુ થઈને બેસશે, કોઈ રીતે અંકુશમાં આવવાનું નહિ, આમતેમ નાસભાગ કરવાનું. પરંતુ ત્યારે કોઈ રીતે છોડવું નહિ, એને પકડીને પરાણે કામમાં લગાડવું, સાથે સાથે તેને સમજાવવું. હિંસક પશુને વશ કરવું અને મનને વશ કરવું એક જ સરખું. અસીમ ધૈર્ય, ખંત અને ઇચ્છાશક્તિ જોઈએ. જ્યારે મન જોશે કે અરે બાપરે! કોઈ રીતે બંધન તૂટે એમ નથી, ત્યારે પછી એ પોતાનું અક્કડપણું છોડવાનું, ને ડાહ્યુંડમરું થઈને જેમ કહેશો તેમ કરશે. આને કહેવાય અભ્યાસયોગ. એના વિના મનને વશ કરવાનો બીજો કોઈ ઉપાય નથી એમ નક્કી જાણજો.’

એકાગ્રતા અને નિયમિતતા

આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા મેળવવામાં સહાયરૂપ નીવડશે.

કેટલાંય વિદ્યાર્થી ભાઈ-બહેનોને જ્યારે પૂછવામાં આવે છે – ‘તમે દરરોજ કેટલા વાગ્યે ઊઠો છો?’ ઉત્તર મળે છે – ‘કંઈ નક્કી નહિ’. ‘કેટલા વાગે સૂવો છો?’ ઉત્તર મળે છે – ‘નક્કી નહિ’. જેઓને ઊઠવાનો, સૂવાનો, ભણવાનો, મનોરંજનનો, ખાવાપીવાનો વગેરેનો સમય નક્કી નથી, તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનો જ્યારે પૂછે, ‘મનની એકાગ્રતા ક્યારે આવશે?’ ત્યારે તેનો ઉત્તર છે – ‘નક્કી નહિ’. એકાગ્રતા ‘નક્કી’ આવે તે માટે એક દિનચર્યા (routine ) નક્કી કરવી આવશ્યક છે, ચોવીસ કલાક માટેનું એક સમય-પત્રક નક્કી કરવું આવશ્યક છે.

ધ્યાનમાં સાધકોને એકાગ્રતા આવતી નથી તેનું એક મહત્ત્વપૂર્ણ કારણ છે – નિયમિત અભ્યાસનો અભાવ. આજે અર્ધી કલાક ધ્યાન કર્યું, આવતી કાલે એક કલાક ધ્યાન કર્યું, પછી થોડા દિવસો બિલકુલ ધ્યાન ન કર્યું, એમ અનિયમિત રીતે ધ્યાનમાં બેસવાથી એકાગ્રતા આવતી નથી. આ માટે તો ઇચ્છા હોય કે ન હોય, દૃઢ સંકલ્પશક્તિનો ઉપયોગ કરીને દરરોજ નિયત સમય માટે ધ્યાનનો અભ્યાસ કરવો ઘટે. શ્રીરામકૃષ્ણદેવ મુસલમાનોની નિયમિત નમાઝ પઢવાની ટેવને બિરદાવીને નિયમિત સાધનાનું મહત્ત્વ સમજાવતા.

ઘણા લોકો માને છે કે સમય-પત્રક પ્રમાણે ચાલવાથી જીવન કંટાળાજનક Monotonous બની જશે. આ કંટાળાથી બચવા માટે સમય-પત્રક વ્યવહારુ બનાવવું જોઈએ. આવશ્યકતા પ્રમાણે તેમાં ફેરબદલ કરી શકાય. રજાઓના દિવસો માટે જુદા પ્રકારનું સમય-પત્રક બનાવી જીવનમાં નવીનતા – વિવિધતા લાવી શકાય. ઓછામાં ઓછું સૂવાનો, જાગવાનો, અભ્યાસનો અને સાધનાનો સમય તો નિશ્ચિત કરી લેવો જોઈએ. 

કોઈ પણ પ્રવૃત્તિ શરૂ કરતાં પહેલાં તેમાં મનને પરોવવા માટે થોડો સમય જરૂરી હોય છે, જેમ કે ક્રિકેટ રમતી વખતં બેટ્‌સમેન સેટલ થઈ જાય પછી જ પોતાના શૉટ રમી શકે છે. દરરોજ નિયત સમયે એક પ્રવૃત્તિ કરવાથી મન આ પ્રવૃત્તિમાં પરોવવા માનસિક રીતે તૈયાર જ હોય છે, મૂડ બનાવવાની આવશ્યકતા રહેતી નથી.

મનની ગતિ તરંગાકાર હોય છે. સત્ત્વ, રજસ અને તમસ – આ ત્રણ ગુણોથી બનેલું મન ક્યારેક સત્ત્વશીલ હોય ત્યારે અંતર્મુખ બને છે અને ક્યારેક રજોગુણ અને તમોગુણના અતિરેકથી નિમ્નગામી અને બહિર્મુખી બને છે. જ્યારે મન સત્ત્વગુણી હોય ત્યારે તે અવસરનો લાભ ઊઠાવી ધ્યાનનો વધુ અભ્યાસ કરી શકાય. સવાર અને સાંજના સંધિકાળે વિશેષરૂપે બ્રાહ્મમુહૂર્તમાં (સૂર્યોદયના એક કલાક પહેલાં) વાતાવરણમાં શુદ્ધ તરંગો વહેતા હોય છે ત્યારે મન સત્ત્વગુણી બને છે અને સરળતાથી એકાગ્ર બને છે.

(ક્રમશ:)

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.