આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર?
ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર.

પાછલા પરોઢિયે સપનામાં જોયાં મેં પંડયથી પરાયાં પાંચ વહાણ,
હલેસાં હોય તો હંકારી જાઉં આ તો પડછાયે તોળાતાં તાણ.

ગુરુજી, નહીં જાવું મેરુ મઝધાર મને લઈ ચાલો કાંઠે એક વાર,
આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર?

તાણા છોડીને છોડું અંધારું એમ પછી વાંચું હું પળના રે વેદ,
આખુંય આભ ભલે ઘેરાતું હોય મારે પીંછામાં પામવા છે ભેદ.

હોય જળના રે કુંભ ભલે હેમના મને આલો એક બુંદ ઓડકાર
ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર.

મહેન્દ્ર જોષી

Total Views: 332

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.