(શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ હતા. (૧૯૮૯ થી ૧૯૯૮) અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ હતા. (૧૯૪૫ થી ૧૯૬૬) તેઓશ્રીની મહાસમાધિ બાદ ૨૨ ઓગસ્ટ, ૧૯૯૮ના રોજ આયોજિત સ્મૃતિ-સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના તત્કાલીન મહાસચિવ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આપેલ ભાષણનો ડૉ. મુન્નીબહેન માંડવિયાએ કરેલ ગુજરાતી સારાંશ અત્રે પ્રસ્તુત છે. અનુવાદિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. – સં)

પરમ પૂજ્યપાદ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ અને મિશનના બારમા પરમાધ્યક્ષ આ લોકનો ત્યાગ કરીને ચાલ્યા ગયા, ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં લીન થઈ ગયા. જેમણે પણ તેમના સાંનિધ્યનો લાભ લીધો છે, તેમનો પ્રેમ મેળવ્યો છે, તેઓ ઘણા સમય સુધી તેમની ખોટનો અનુભવ કરશે. અમને આમ તો ખબર હતી કે તેમની ઉંમર ૯૭ વર્ષની થઈ ગઈ છે, તેમજ વારંવાર તબિયત ખરાબ થાય છે, એટલે તેઓ ગમે ત્યારે આપણને છોડીને ચાલ્યા જશે.

પરંતુ એક કહેવત છે કે ‘મન તો સમજે છે, પણ પ્રાણ સમજતા નથી.’ તેથી એક ક્ષણ આશા રહી જાય છે. અમને પણ આશા હતી કે પૂજ્યપાદ મહારાજ ઓછામાં ઓછાં બે-ત્રણ વર્ષ તો જીવિત રહીને ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂરું કરશે. રામકૃષ્ણ મઠ અને મિશનમાં હજુ સુધી કોઈએ પરમાધ્યક્ષ પદે રહીને ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં નહોતાં. પૂજ્ય મહારાજ ૧૦૦ વર્ષ પૂરાં કરશે તેવી આશા હતી. તેઓ જ્યાં સુધી આપણી વચ્ચે રહે ત્યાં સુધી સંઘનું કલ્યાણ છે. તેમને કંઈ કરવું ન પડે, તેમની હાજરી જ પૂરતી છે.

અમને લોકોને એક બળ, એક ભરોસો મળતો. ઘણી વાર જુદી જુદી સમસ્યાઓમાંથી અમારે પસાર થવું પડતું ત્યારે તેમની પાસે જઈને અમે ઉકેલ મેળવતા. આજે પૂજ્ય મહારાજ આપણી વચ્ચે નથી. પણ ખરેખર એવું છે? ના. તેમણે પણ કહ્યું છે, ‘શ્રીરામકૃષ્ણ પરમગુરુ છે.’ તેઓ ગુરુના ચરણોમાં આપણને સમર્પિત કરી ગયા છે.

પૂજ્ય મહારાજ સારદાનંદજીના મંત્રશિષ્ય હતા. સારદાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના મહાસચિવ હતા, ઠાકુરના પાર્ષદોમાં વિશિષ્ટ હતા તથા તેમને શ્રીમાના ભારવાહક કહેવાય છે. સારદાનંદજી મહારાજને સ્વામી વિવેકાનંદ કહેતા, ‘શરત્‌, બાલૂમાં રહેતી માછલીના લોહી જેવું તારું લોહી છે.’ અર્થાત્‌ તેઓ ક્યારેય ગુસ્સે થતા નહીં. સ્વામીજી ક્યાંય સુધી ખીજાયા કરે પણ તેઓ નિર્વિકાર. તેમના શિષ્ય હતા સ્વામી ભૂતેશાનંદજી મહારાજ. તેઓ પણ તેમના જેવા જ હતા, ક્યારેય ગુસ્સો ન કરતા. તેમને કોઈએ ક્યારેય ગુસ્સો કરતા જોયા ન હતા.

મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી) પાસેથી તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો હતો. મહાપુરુષ મહારાજ કહેતા, ‘હું કોઈનો ગુરુ નથી. હું કોઈને દીક્ષા પણ આપતો નથી. હું માત્ર બધાને ઠાકુરના ચરણોમાં સમર્પિત કરું છું.’ આપણી ગુરુપરંપરા જ આવી છે. આવો ભાવ હતો ભૂતેશાનંદજી મહારાજનો. આ રીતે અત્યાર સુધીમાં જેટલા સંઘાધ્યક્ષ થઈ ગયા છે તેમાં ભૂતેશાનંદજી મહારાજે સૌથી વધારે મંત્રદીક્ષા આપી છે, સવા લાખથી પણ વધારે.

૭૫ વર્ષની ઉંમરમાં તેઓ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બન્યા હતા. ૨૩ વર્ષના દીર્ઘકાળ દરમિયાન તેમણે ભક્તો ઉપર કૃપા કરી. ઓગસ્ટ મહિનામાં પણ દીક્ષાનો દિવસ નક્કી કર્યો હતો. પરંતુ દીક્ષા થઈ નહીં. તેઓ ફક્ત ૫ દિવસમાં અચાનક ચાલ્યા ગયા. થોડા દિવસો પહેલાં પણ તેમની તબિયત કંઈ બહુ ખરાબ નહોતી. જો આમ અચાનક હેમરેજને કારણે રક્તસ્રાવ ન થયો હોત તો તેઓ આટલા જલદી ન ચાલ્યા જાત. ટ્રસ્ટીમંડળની બેઠક ૨૧ જૂને થઈ હતી. તે સમયે પણ તેઓ બૌદ્ધિક સ્તરે સંપૂર્ણ સતેજ હતા, એકદમ સચેતન.

પરંતુ કાળની ગતિ અનિવાર્ય છે. તેને કોઈ રોકી શકે નહીં. એક પછી એક જશે અને બીજા આવશે. આ સંસારમાં એક સંગ્રામ ચાલી રહ્યો છે. આ સંગ્રામમાં એક વ્યક્તિ પડી ગઈ અને બીજી વ્યક્તિ હાથમાં રહેલ પતાકાને લઈને આગળ વધે છે. આ સંસારમાં આપણે બધાએ આગળ વધતા રહેવાનું છે, જ્યાં સુધી ભગવાનના પાદપદ્મોમાં પહોંચીએ નહીં ત્યાં સુધી. મહારાજજી પાસે જે લોકો આવ્યા, તેમણે આગળ વધવા માટે બળ, શક્તિ, સંપત્તિ મેળવી છે.

મહારાજજીએ જે લોકોને દીક્ષા આપી છે, ઉપદેશ આપ્યો છે, તેમણે જીવનમાં આગળ વધવા માટેનો ખોરાક મેળવી લીધો છે. જેને જે માર્ગની જરૂર હતી, તે મહારાજજી પાસેથી મળ્યો છે. આ જ તો સાચા ગુરુનું કાર્ય છે. એ માર્ગ પર આપણે પોતે ચાલવાનું છે, પરંતુ માર્ગ તો ગુરુ જ બતાવે છે.

આ માર્ગ એટલે મંત્ર. એ અહેતુક પ્રેમ. આ માર્ગમાં આપણે આગળ વધવાનું છે. તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા છે, એ એક સત્ય છે. પરંતુ તેથી આપણે રોવા-ધોવાનું નથી. તેમણે બતાવેલ માર્ગ પર આગળ વધવાનું છે.

મહારાજજી અત્યંત બુદ્ધિવાદી હતા. એક જ આધારમાં યુક્તિવાદિતા તેમજ પ્રેમ એકસાથે જેોવા મળતાં નથી. જે લોકો બુદ્ધિશાળી હોય છે, તેઓ સામાન્ય રીતે કઠોર હોય છે. પરંતુ અહીં તેવું નથી. મહારાજજી બુદ્ધિવાદી તો છે જ પણ સાથે સાથે બધાને પ્રેમ પણ કરે છે, બધાને પોતાના બનાવી લે છે. આ એક આશ્ચર્ય છે.

ઘણા વિષયો, ક્ષેત્રોમાં તેઓ પ્રવીણ હતા, પ્રતિભાવાન હતા. પણ સૌથી વધુ વ્યાપક હતો તેમનો અહેતુક પ્રેમ, તેમનો અકૃત્રિમ સ્નેહ. બધાએ તેમના સ્નેહનો અનુભવ કર્યો છે. જે કોઈ તેમની પાસે આવ્યા તે લોકો તેમના ભક્ત બની ગયા. એક કહેવત છે, ‘રોકવા માટે આવ્યા, પણ સ્તુતિ કરવા રહી ગયા.’ એટલે કે નિંદા કરવા આવ્યા પણ વખાણ કરવા લાગ્યા. મહારાજની નિંદા કરવા કોઈ આવતા નહીં.

મહારાજ મહાન શાસ્ત્રજ્ઞાની હતા. શાસ્ત્રચર્ચા તેમને બહુ પસંદ હતી. અંતિમ દિવસો સુધી તેમની પાસે ભાગવતનો પાઠ થતો હતો. બપોરના સમયે એક સાધુ તેમને ભાગવતનો પાઠ વાંચીને સંભળાવતા હતા અને વચ્ચે વચ્ચે તેઓ તેનો અર્થ અને વિવરણ પણ કરતા.

મેં જોયું છે કે ગુરુદેવના દેહત્યાગ પછી ઘણા લોકો મઠમાં આવવાનું બંધ કરી દે છે. પહેલાં રોજ મઠમાં આવતા. પરંતુ જેવા ગુરુદેવ ચાલ્યા ગયા કે મઠમાં આવવાનું બંધ થઈ જાય છે, આ એક મોટી ભૂલ છે. આ મઠમાં તેમનો વાસ છે. વિચાર કરો, ઈ.સ. ૧૯૨૩થી તેમણે મઠમાં યોગદાન આપ્યું હતું અને આ ઈ.સ. ૧૯૯૮ છે. તેથી ૭૫ વર્ષ તેમણે અહીં વિતાવ્યાં છે. અહીં ન આવવું એટલે તેમની સાથે સંપર્ક તૂટી જવો. આવું ન ચાલે, આપણે આ સંપર્ક હંમેશાં રાખવાનો છે. ઠાકુર, મા, સ્વામીજી તેમજ ઠાકુરના પાર્ષદગણ તથા ગુરુપરંપરાના માધ્યમથી ઠાકુરની આધ્યાત્મિક શક્તિ પ્રવાહિત થાય છે.

આ ગુરુપરંપરાનું મૂળ તત્ત્વ છે. આ ગુરુપરંપરાના માધ્યમથી આ શક્તિ આપણને મળે છે. તેથી એવું તો ક્યારેય વિચારવું નહીં કે તેઓ તો ચાલ્યા ગયા, હવે અહીં આવવાથી શું વળવાનું? અહીં આવવું પડશે. ઠાકુર અહીં વિદ્યમાન છે. સ્વામીજીએ ઠાકુરની પ્રતિષ્ઠા અહીં કરી છે. ઠાકુરે કહ્યું હતું, ‘નરેન મને જ્યાં લઈ જશે ત્યાં હું જઈશ અને રહીશ.’ અહીં ઠાકુર છે, મા છે, આ મહાપીઠનું સ્થાન છે. મહારાજ આપ લોકોને જગદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણ સમક્ષ સમર્પિત કરી ગયા છે. તેથી આ સંપર્ક સાવધાનીપૂર્વક જાળવી રાખવાનો છે.

આ સંપર્ક રાખવાથી તમને લોકોને મહારાજને ગુમાવી દેવાનો શોક છે, તે ધીરે ધીરે નીકળી જશે. ઠાકુર-માને પકડી રાખવાથી જીવનમાં શાંતિ અને પરમાનંદની પ્રાપ્તિ થશે. હું ઠાકુરના પાદપદ્મોમાં એ જ પ્રાર્થના કરું છું કે બધાને શાંતિ, આનંદ આપે.

Total Views: 20

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.