લજ્જા એ જ સ્ત્રીઓનું એક માત્ર આભૂષણ છે. દેવની મૂર્તિને ચરણે ધરવામાં આવે ત્યારે પુષ્પ ધન્યતા અનુભવે છે. નહીં તો પછી ફૂલ છોડ ઉપ૨ ક૨માઈ જાય એ જ ઈચ્છવા યોગ્ય છે. આવાં ફૂલોનો ગજરો બનાવી હું કોઈ અક્કડને સૂંઘતાં અને ‘વાહ! કેવી સુગંધ!’ એમ કહેતાં સાંભળું છું, ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે.
સ્ત્રીઓએ આમ સહેલાઈથી મિજાજ ગુમાવી બેસવો ન જોઈએ. તેઓએ સહનશીલ થતાં શીખવું જોઈએ. નાનપણમાં મા-બાપ તેમના રક્ષણકર્તા છે અને યુવાનીમાં તેમના પતિ. મોટે ભાગે સ્ત્રીઓ બહુ લાગણીપ્રધાન હોય છે. એકાદ શબ્દથી તેઓ મન પરનો કાબૂ ખોઈ બેસે છે અને આ જમાનામાં શબ્દો તો બહુ સસ્તા થઈ ગયા છે! સ્ત્રીઓએ ધી૨જ કેળવવી જોઈએ અને મુશ્કેલીઓ હોય છતાં મા-બાપ અથવા પતિ સાથે સમાધાનથી વર્તવું જોઈએ.
એક દિવસ એક સ્ત્રીભક્તે પોતાની કન્યાને પરણવાની આજ્ઞા કરવા માતાજીને વિનંતી કરી. આ સાંભળી માતાજીએ જવાબમાં કહ્યું: ‘‘જિંદગીભર બીજાની ગુલામી કરવી અને તેની મરજી અનુસાર નાચવું, એ શું દુઃખરૂપ નથી? એ ખરું છે કે બ્રહ્મચારિણી તરીકેના જીવનમાં થોડું જોખમ રહેલું છે, તેમ છતાં જો કોઈને સંસારી જીવન ગાળવાની ઈચ્છા ન હોય, તો તેના પર બળજબરી કરી તેને જિંદગીભરની દુનિયાદારીમાં ધકેલી ન દેવી જોઈએ. જે કન્યાઓને સંપૂર્ણ ત્યાગના આદર્શ ઉપ૨ અનુરાગ થયો હોય તેમને બ્રહ્મચારિણીનું જીવન ગાળવાને ઉત્સાહ આપવો જોઈએ.”
બેટા! તું ખૂબ નસીબદાર છે કે તને માનવજન્મ મળ્યો છે. ઈશ્વર ઉપર પ્રગાઢ ભક્તિ રાખીને ખૂબ મહેનત કરવી જોઈએ. પ્રયત્ન વિના કંઈ કેવી રીતે મેળવી શકાય! ઘરનું કામકાજ દિવસભર હોય તો પણ પ્રાર્થના માટે થોડો સમય ફાજલ પાડવો જોઈએ. હું દક્ષિણેશ્વરમાં રહેતી એ દિવસોમાં કામનો પાર ન હતો તેમ છતાં મારાં પ્રાર્થના, ધ્યાન ચાલુ જ રહેતાં. મારી ભાભી માનસિક ઉદ્વેગની વાત કરે છે, તો તે પણ એમ જ કરે. વહેલી સવારે ત્રણ વાગે ઊઠે અને ધ્યાનમાં બેસી જાય, અને પછી જોઉં કે આમ કરવા છતાં મનમાં ચિન્તાબિન્તા રહે છે! પરંતુ તે એમ કરવાની નથી, પણ તે પોતાનાં દુઃખનાં રોદણાં રડ્યા ક૨વાની! એનું દુઃખ શું છે? બેટા, મેં તો મનનો ઉદ્વેગ કદી જાણ્યો નથી.
પતિ, પુત્ર અને દેહ – બધું માયા છે. એ બધાં માયાનાં બંધન છે. જ્યાં સુધી તમે એમાંથી છૂટો નહીં, ત્યાં સુધી તમને મોક્ષ મળે નહીં. દેહ પરનો મોહ, દેહાત્મભાવ પણ છેવટે જવો જ જોઈએ. બેટા! આ શરીર શું છે? (બળી ગયા પછી) એ તો માત્ર ત્રણ શેર રાખ જ છે, તો પછી તેને માટે આટલો ગર્વ શો? શરી૨ ગમે તેટલું મોટું હોય, પરંતુ તેનું છેલ્લું પરિણામ તો માત્ર ત્રણ શે૨ રાખોડી જ છે અને તેમ છતાં તેના પર માણસોના મોહનો પાર નથી!
સાસરે જતી એક બાઈને માતાજીએ કહ્યું હતું કે, ‘‘કોઈની સાથે બહુ પરિચયમાં આવતી નહીં. કુટુંબનાં સામાજિક પ્રસંગોમાં બહુ ભાગ લેતી નહીં. એમ કહેતી રહેજે કે, ‘હે મન! તું તારામાં જ મગ્ન રહે.’ બીજાની પંચાતમાં પડવું નહીં. ધીમે ધીમે ધ્યાન અને પ્રાર્થનાનો સમય વધારતી જજે.”
જો કોઈ માનવીને ચાહશો તો તેને માટે દુઃખ ભોગવવું પડશે. જે માત્ર ઈશ્વરને જ ચાહે તેનું જીવતર ધન્ય છે. ઈશ્વરને ચાહે તેમાં દુઃખ નહીં.
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘માતૃવાણી’ ( શ્રીમા શારદાદેવીના ઉપદેશ)માંથી સંકલિત)
Your Content Goes Here




