આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં

આપણે તો દર્પણના માનવી.

સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ

આપણે તો તર્પણના માનવી!

લાગણીની ભાષામાં લખીએ સંબંધને

મમતાની માછલીઓ પાળીએ,

માણસનો દરિયો હોય મોજાં હોય,

છીપ હોય, મોતી પણ પામીએ.

ઈર્ષાના વનમાંહી વરસે જો હેત

તો બર્ફીલા રણના માનવી.

આપણે તો દર્પણના માનવી!

પાંદડાંની પાસેથી ઉછીની મેળવીએ

એવી લીલાશભરી હૂંફ,

સ્મિતની આ ઝાકળને સાચવીએ એમ

કે વાગે ન સૂરજની ફૂંક.

હૈયામાં રોપીએ જો ફૂલોની મ્હેક

તો મઘમઘતી ક્ષણના માનવી

આપણે તો દર્પણના માનવી!

– નીતિન મહેતા

Total Views: 269

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.