જગતમાં મહાન વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના પેલા મહાન સમ્રાટ અશોકે વર્ણવી છે. ફરી એક વાર ભારતે વિશ્વનો વિજય કરવો જ જોઈએ, આ મારા જીવનનું સ્વપ્ર છે; અને હું ઇચ્છું છું કે, આજે અહીં મને સાંભળી રહેલા તમ દરેકેદરેકના મનમાં એ સ્વપ્ન હોય અને જ્યાં સુધી તમે એ સ્વપ્ન સફળ ન કરો ત્યાં સુધી અટકો નહીં. લોકો તો તમને રોજ કહેવાના છે કે આપણે પ્રથમ આપણાં ઘર સંભાળીએ અને પછી બહાર કામ કરવા જઈએ, પણ હું તમને સાફ શબ્દોમાં કહું છું કે જ્યારે તમે બીજાને માટે કામ કરો, ત્યારે જ તમારું કામ સૌથી ઉત્તમ રીતે થાય છે. તમારા પોતા માટેનું સર્વોત્તમ કાર્ય તમે ત્યારે કર્યું કહેવાય, જ્યારે તમે દરિયાપારના દેશોમાં જઈને ત્યાંની પરદેશી ભાષાઓમાં તમારા વિચારોનો પ્રસાર કરવાનો પ્રયાસ કરીને બીજાઓને માટે કાર્ય કર્યું હોય અને આ સભા પોતે જ પ્રમાણરૂપ છે કે, તમારા વિચારોથી બીજા દેશોને પ્રકાશ આપવાનો પ્રયત્ન તમારા પોતાના દેશને કેવી સહાય કરે છે! જો મેં મારા વિચારો માત્ર ભારત પૂરતા જ ગોંધી રાખ્યા હોત તો મારા ઈંગ્લેન્ડ અને અમેરિકા જવાથી આ દેશમાં જે અસર પડી છે તેના ચોથા ભાગનીયે અસર અહીં ન પડી હોત.
આપણી સમક્ષ આ મહાન આદર્શ છે અને દરેકે ભારત દ્વારા વિશ્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે; એનાથી જરાય ઓછું નહીં. આપણે સૌએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને પોતાનાં લશ્કરોથી દેશને ભરી દે, કુછ પરવા નહીં, ઓ ભારત તું ખડો થઈ જા, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્વ પર વિજય મેળવ! યાદ રાખો, સહુ પ્રથમ આ ભૂમિ પર કરાયેલી ઘોષણા મુજબ પ્રેમ ધિક્કારને જીતવાનો જ છે; ધિક્કાર પોતાને જ જીતી ન શકે. જડવાદ અને તેનાથી ઉત્પન્ન થતાં સર્વ દુઃખો જડવાદથી જીતી શકાય જ નહીં. લશ્કરો જ્યારે બીજાં લશ્કરોને જીતવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફક્ત એ સંખ્યામાં જ વધે છે અને માણસોને માણસો મિટાવી પશુ બનાવે છે. આધ્યાત્મિકતાએ પશ્ચિમ પર વિજય મેળવવો જ જોઈએ. ધીમે ધીમે તેમને ખબર પડતી જાય છે કે, રાષ્ટ્ર તરીકે જીવતા રહેવા માટે તેમને આ આધ્યાત્મિકતાની જરૂર છે. એ લોકો એની રાહ જુએ છે, એને માટે આતુર છે. એ જરૂરિયાત ક્યાંથી પુરાવાની છે. ભારતના મહાન ઋષિઓના સંદેશાઓ લઈને દુનિયાના દરેકેદરેક દેશમાં જવા તૈયાર હોય એવા માણસો ક્યાં છે? આ સંદેશો જગતને ખૂણે ખૂણે પહોંચી જાય એટલા સારુ સર્વસ્વનો ભોગ આપનારા યુવાનો ક્યાં છે? સત્યના પ્રચારમાં સહાય કરવા સારુ આવા વીર આત્માઓની આવશ્યકતા છે. વેદાંતના મહાન સત્યોનો પ્રચાર કરવામાં સહાયરૂપ થવા સારુ, પરદેશ જવા માટે આવા વીર કાર્યકરોની જરૂર છે. જગત એ માંગી રહ્યું છે. એ વિના દુનિયાનો નાશ થઈ જશે. આખી પશ્ચિમી દુનિયા એક જ્વાળામુખી ઉપર બેઠેલી છે; એ જ્વાળામુખી આવતી કાલે ભભૂકી ઊઠે, ફાટીને ટુકડેટુકડા થઈ જાય એવું છે! એ લોકો દુનિયાનો ખૂણેખૂણો ઢૂંઢી વળ્યા છે, પરંતુ એમને ક્યાંય વિસામો નથી સાંપડ્યો. ભોગના કેફનો જામ પૂરેપૂરો ભરીને એમણે પી જોયો છે અને એની વ્યર્થતા અનુભવી છે. કાર્ય કરવાનો સાચો સમય અત્યારે છે; અત્યારે જ ભારતના આધ્યાત્મિક વિચારો પશ્ચિમમાં ઊંડે સુધી પ્રવેશ કરશે. એટલા માટે નવયુવકો! આ યાદ રાખવાનું હું તમને ખાસ કહું છું. આપણે બહાર જવું જ જોઈએ, આપણી આધ્યાત્મિકતા અને ફિલસૂફીથી આપણે વિશ્વનો વિજય કરવો જોઈએ; બીજો વિકલ્પ જ નથી. આપણે કાં તો કરવું ને કાં મરવું. રાષ્ટ્રીય જીવનની, જાગૃત અને જોમવંત રાષ્ટ્રીય જીવનની એક માત્ર શરત છે ભારતીય વિચારો વડે વિશ્વનો વિજય કરો!
– સ્વામી વિવેકાનંદ
(‘ભારતમાં આપેલાં ભાષણો’ (૧૯૮૭) પૃ.સં. ૧૫૦-૧૫૧)
Your Content Goes Here





