ભારતના આદર્શ – શ્રીરામકૃષ્ણ
ભારત રાષ્ટ્રીય ઉત્થાન સાધવા ચાહતું હોય, તો જાણજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું પડશે. શ્રીરામકૃષ્ણનો પ્રચા૨ તમે કે હું, બીજું કોઈ કરે એનું કશું મહત્ત્વ નથી. પરંતુ હું એમને તમારી સમક્ષ રજૂ કરું છું, અને એની પરીક્ષા કરીને નક્કી તમારે ક૨વાનું છે. આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે તમારે અત્યારે જ નક્કી કરવાનું છે કે તમે જીવનના આ મહાન આદર્શનું શું ક૨વા માગો છો. એક વાત આપણે યાદ કરવાની છે કે તમે ક્યારેય પણ જોયાં નહીં હોય, અથવા સ્પષ્ટ જ કહું તો તમે ક્યારેય સાંભળ્યાં નહીં હોય એવાં પવિત્ર જીવનોમાં સૌથી વધુ પાવન જીવન એમનું હતું. અને એ હકીકત છે કે તમે જે ભાગ્યે જ વાંચ્યું હોય, અરે, જવલ્લે જ તમારી નજરે પણ પડ્યું હોય એવું આધ્યાત્મિક શક્તિનું અતિ અદ્ભુત પ્રગટીકરણ આજે પ્રત્યક્ષ જોવા મળે છે. જેમને અંતર્ધાન થયાને હજુ દસ વ૨સ પણ થયાં નથી તે પહેલાં તો આ શક્તિ આખી પૃથ્વી પર ફરી વળી છે, એ હકીકત પણ નજરોનજર નિહાળી લો. તેથી આપણી પ્રજાના મંગલને માટે, આપણા ધર્મના મંગલને માટે, આ મહાન આધ્યાત્મિક આદર્શને તમારી સમક્ષ મૂકવાની મારી ફરજ છે. તમે એની તુલના મને જોઈને ન કરશો. હું તો એક નબળું સાધન માત્ર છું મારા પરથી એમના ચરિત્રની તુલના ન કરશો. એ ચરિત્ર એટલું બધું મહાન હતું કે હું અથવા એમના શિષ્યોમાંથી બીજો કોઈ સેંકડો જિંદગીઓ પછી પણ તેમના વાસ્તવિક જીવનના લાખમા ભાગને પણ ન્યાય આપી શકીએ નહીં. તમારી પોતાની મેળે જ ન્યાય કરજો; અને તમારા હૃદયના ઊંડાણમાં એ શાશ્વત સાક્ષી બિરાજે છે; અને સંભવ છે કે એ જ શ્રીરામકૃષ્ણદેવ આપણી પ્રજાના કલ્યાણ માટે, આપણા રાષ્ટ્રના કલ્યાણ માટે અને માનવજાતના કલ્યાણ અર્થે તમારા હૃદયનાં દ્વાર ખોલી નાખે. આપણે પુરુષાર્થ કરીએ કે ન કરીએ, પરંતુ જે અવશ્યંભાવિ છે તે મહાન ભાવિ સારુ પ્રવૃત્ત થવા માટે, તેમને સત્યનિષ્ઠ અને દૃઢ બનાવે. ભાઈઓ! ઈશ્વરનું કાર્ય તમારા કે મારા જેવાની રાહ જોઈને બેઠું નથી. એ તો પોતાના કાર્યકરો હજારોની સંખ્યામાંથી ઊભા કરી શકે તેમ છે, એ આપણે માટે ગૌરવરૂપ અને ખાસ અધિકારરૂપ છે.
(‘શ્રીરામકૃષ્ણ: જીવન અને સંદેશ’ (તૃતીય સંસ્કરણ) પૃ. ૩૬ – ૩૭)
Your Content Goes Here




