અહંકારના અસંખ્ય રૂપ

માનવજીવનની મોટા ભાગની સમસ્યાઓ અરસપરસના સદ્‌ભાવ કે સમાયોજનની હોય છે. આ સંઘર્ષ કે તનાવપૂર્ણ સંબંધોમાંથી ઉત્પન્ન થાય છે. એને સુધારવી અસંભવ ગણાય છે. એક સિદ્ધાંત દ્વારા એનો હલ થઈ શકે છે. આપણે એ મૂળભૂત સિદ્ધાંતને સ્વીકારવાનું શીખવું પડે. જ્યારે આપણે આમ નથી કરી શકતા ત્યારે સમસ્યાઓ ઉદ્‌ભવે છે. જો આપણે આ સિદ્ધાંતને સમજી લઈએ તો બધી સમસ્યાઓ પોતાની મેળે ઉકેલાઈ જાય છે. આ વિશેની વિસ્તૃત ચર્ચા આગળ કરીશું. 

પશુઓમાં સૌથી વધારે મહત્ત્વપૂર્ણ સંઘર્ષ ભોજન માટે હોય છે. પરંતુ મનુષ્યને પેટભર્યા પછી પણ એમનામાં સંઘર્ષ ચાલુ રહે છે. આ સંઘર્ષ એમના અહંકારના સંરક્ષણ અને બચાવ માટે હોય છે. માનવ સંબંધોમાં ઉદ્‌ભવતી સમસ્યાઓમાં અહંકારોના ઘર્ષણથી ઉત્પન્ન થતી સમસ્યાઓ મુખ્ય છે. પોતાની આત્મધારણા પ્રમાણે કેવી રીતે અહંકારના વિભિન્ન બાહ્ય રૂપો પ્રગટ થાય છે એ વિશેની ચર્ચા હવે પછી આપવામાં આવશે. આ પહેલાંના પૃષ્ઠોમાં થયેલી ચર્ચાની પૃષ્ઠભૂમિમાં એમને સમજી શકાય. અહંકાર કેવી રીતે અભિવ્યક્ત થાય છે, એને પોતાની આસપાસના લોકોના જીવનમાં કેવી રીતે જોઈ શકાય છે, એ વાત જોઈએ.

* જ્યારે અહંકાર શરીર કે એનાં લક્ષણો સાથે જોડાય છે – હું સ્વસ્થ છું, હું દુર્બળ છું, હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, હું લંગડો છું, હું અંધ છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું હિંદુ છું, હું ખ્રિસ્તી છું, હું મુસલમાન છું, હું ગોરો છું. 

* જ્યારે અહંકાર માનસિક વિશેષતાઓ સાથે જોડાય છે – હું ક્રોધિત છું, હું સરળ છું, હું સુખી છું, હું ભાગ્યશાળી છું, હું દુ:ખી છું, હું લજ્જાશીલ છું.

* જ્યારે અહંકાર માનસિક તેમજ બૌદ્ધિક શક્તિ, કૌશલ તથા યોગ્યતા સાથે જોડાય છે –

હું વૈજ્ઞાનિક છું, હું લેખક છું, હું બુદ્ધિજીવી છું, હું કલાકાર છું, હું નર્તક છું, હું પ્રતિભાશાળી છું, હું સત્યનો શોધક છું.

* જ્યારે અહંકાર સ્વાભાવિક કર્તવ્ય, સક્રિયતા વગેરે સાથે જોડાય છે –

હું પિતા છું, હું માતા છું, હું પત્ની છું, હું શિક્ષક છું, હું અધિકારી છું, હું સાધુ છું.

* જ્યારે અહંકાર ધન કે પદ સાથે જોડાય છે –

હું નિર્ધન છું, હું પછાત છું, હું ભીખારી છું, હું માલિક છું, હું ધનવાન છું.

* જ્યારે અહંકાર જાતિ અને સંપ્રદાયો સાથે જોડાય છે –

હું ખેડૂત છું, હું શૈવ છું, હું બ્રાહ્મણ છું, હું સ્માર્ત છું, હું મધ્વ છું, હું વૈષ્ણવ છું, હું હરિજન છું, હું અનુસૂચિત જાતિનો છું, હું શાકાહારી છું, હું બુદ્ધિવાદી છું, હું શાંતિવાદી છું.

* જો અહંકાર મન તથા આત્માની વિભિન્ન અવસ્થાઓ પર પ્રતિક્રિયા કરે –

જ્યારે હું જાગૃત છું, જ્યારે હું સ્વપ્નમાં કંઈક વિલક્ષણ દેખું છું, જ્યારે હું ગાઢ નિદ્રામાં હતો, જ્યારે હું ઈંગ્લેંડમાં જન્મ્યો હતો, જ્યારે હું પાંચ હજાર વર્ષ પહેલાં મધ્યપશ્ચિમમાં જન્મ્યો હતો, જ્યારે હું નરદેહમાં હતો, જ્યારે હું માદાના રૂપે જન્મ્યો હતો.

* જ્યારે અહંકાર આધ્યાત્મિક ભાવ સાથે જોડાયેલ હોય – હું ભગવદ્‌ભક્ત છું, હું પ્રભુનો સેવક છું, હું ઈશ્વરનું અંગ છું, હું આત્મા છું.

અહંભાવ પાછળ રહેલ એકતા

આપણે જોઈએ છીએ કે ઉપર્યુક્ત બધાં કથનોમાં ‘હું’ સામાન્ય છે. એ પોતાની બધી ભૂમિકાઓ તથા અનુભવોનો સાક્ષી છે અને મૂળત: અપરિવર્તનશીલ છે. બીજાં બધાં અનુભવ તથા ભૂમિકાઓ પ્રગટ થાય છે, બદલે છે અને તેમનો ક્ષય-નાશ પણ થાય છે. સદૈવ પરિવર્તિત કે નાશ પામનાર ભૌતિક અનુભવોને આ નિત્ય ‘હું’ પ્રકાશ આપે છે. રમણ મહર્ષિ કહે છે : ‘આ શરીર ‘હું’ નથી કહેતું. કોઈ એમ નથી કહેતું કે નિદ્રાકાળમાં ‘હું’ ન હતો. જ્યારે ‘હું’ જાગે છે ત્યારે બધી વસ્તુઓ કે પદાર્થો જાગે છે. એકાગ્ર મનથી વિચારો કે આ ‘હું’નો ઉદય ક્યાંથી થાય છે?’ આ ‘હું’ની પાછળ મૂળભૂત સત્ય કયું છે? ‘એ સર્વદા રહે છે’ ના સ્થાને ‘આ અસ્તિત્વ સ્વરૂપ છે’ એમ કહેવું યોગ્ય ગણાશે ખરું? જરા ઊંડાણથી વિચારીએ તો આ વાત સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે હું કહું છું કે હું છું કે મારું અસ્તિત્વ છે, ત્યારે જો કે એનો અર્થ છુપાયેલો છે છતાં પણ આટલું સ્પષ્ટ છે કે મારું કહેવાનું તાત્પર્ય એ છે કે હું મારા પોતાના અસ્તિત્વ વિશે સજાગ છું. આજના વ્યસ્તતાપૂર્ણ જગતમાં આપણી ભાષાની પ્રયોગપદ્ધતિને કારણે સાધારણ મનમાં અસ્તિત્વ તથા ચેતના અલગ અલગ ભાષી શકે છે. પરંતુ વિવેકપૂર્ણ મન માટે એમાં કોઈ ભેદ નથી. અસ્તિત્વ અને ચેતના પૃથક્‌ નથી. જ્યારે બધાં બંધન દૂર કરવામાં આવે છે ત્યારે ‘હું’ના અસ્તિ-ભાતિ-પ્રિય રૂપી સાચું સ્વરૂપ રહે છે. આ જ બધાની પૃષ્ઠભૂમિ અને વાસ્તવિકતા છે. સમગ્ર અભિવ્યક્તિઓના આધાર આ શુદ્ધ ચૈતન્ય દ્વારા અનુભવસિદ્ધ ‘હું’ને પોતાનું અસ્તિત્વ તથા સક્રિયતા મળે છે. શુદ્ધ હૃદયવાળાને આ અતીન્દ્રિય તત્ત્વની અનુભૂતિ થાય છે. યૌક્તિક શોધ દ્વારા બૌદ્ધિક અંતર દૃષ્ટિના માધ્યમથી આપણને આ સત્યની એક ઝાંખી મળી શકે છે.

પ્રત્યેક મનુષ્યને ત્રણ મહત્ત્વપૂર્ણ મૂળભૂત પ્રેરણાઓનું જ્ઞાન થાય છે. એ તેના પૂર્ણ સ્વરૂપની દ્યોતક છે. આ ત્રણ પ્રેરણાઓ ત્રણ રૂપોમાં અભિવ્યક્ત થાય છે: (૧) મારે આ જગતમાં રહેવાનું છે, હું નાશ ન પામું; (૨) મને વસ્તુઓનું જ્ઞાન થાઓ, હું અજ્ઞાની ન રહું; (૩) હું સુખી રહું, દુ:ખી નહિ. સંસારના પ્રત્યેક સ્વસ્થ મનના વ્યક્તિમાં આ ત્રણ સહજપ્રેરણાઓ હોય છે. 

મનુષ્યની આ ત્રણ કામનાઓનો કોઈ અંત છે ખરો? આપણે દીર્ઘાયુ અને જો બની શકે તો ચિરંજીવી બનવા ઇચ્છીએ છીએ. પણ આપણે જાણીએ છીએ કે મૃત્યુ અવશ્ય છે જ. કોઈક દિવસે તો આપણે સંસારમાંથી જવું પડશે; છતાં પણ આપણે મૃત્યુને પૂર્ણનાશ માનતા નથી. જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે એણે કેવળ ભૌતિક દેહનો ત્યાગ કર્યો છે એમ આપણે નિશ્ચિતપણે માનીએ છીએ. એ આત્મા કોઈ અદૃશ્ય જગતમાં નિવાસ કરે છે એવી આપણી શ્રદ્ધા છે. આપણો અંતરાત્મા અમર છે. એ જ પરમતત્ત્વ સત્તામાં વ્યાપ્ત છે અને ક્યારેય આપણા અસ્તિત્વનો લોપ પણ થઈ શકે છે એવી કલ્પના કરવી કે એવું વિચારવું આપણા માટે કઠિન છે.

જ્ઞાનની આપણી ઇચ્છા કેટલી બધી પ્રબળ હોય છે! આપણે વસ્તુઓના બાહ્ય સ્વરૂપ, એમના મૂળભૂત ગુણ તેમજ એમની ઉપયોગીતા વિશે જાણવા માગીએ છીએ. આપણે લોકો અસંખ્ય વસ્તુઓ વિશે બધું જાણવા ઇચ્છીએ છીએ. ‘આ ચીજ કે પદાર્થ કેવી રીતે બન્યા છે? એ શા કામના છે? સમુદ્રના ઊંડાણમાં શું છે? ત્યાં કેવા જીવ રહે છે? માનવમનનો કેવો સ્વભાવ છે? તે કેવી રીતે કાર્ય કરે છે? એમાં કઈ શક્તિઓ તેમજ સંભાવનાઓ છે? મૃત્યુ શું છે? શું મૃત્યુ પછી જીવન છે ખરું? શું આ જીવનનું પૂર્વજીવન છે ખરું? ખરેખર ઈશ્વર છે ખરા? દયામય ઈશ્વરના રાજ્યમાં આટલાં બધાં દુ:ખ શા માટે છે?’ આવા પ્રશ્નોથી કોનું માથું ફરી જતું નથી? જગતના સ્વરૂપ વિશે કોઈ પણ માણસ અજાણ-અજ્ઞાત રહેવા ઇચ્છતો નથી. દરેકે દરેક વ્યક્તિ સંસાર તથા વસ્તુઓ વિશેનાં સત્યને જાણવા ઇચ્છે છે.

ત્રીજી મૂળભૂત પ્રેરણા સુખ, પૂર્ણતા અને સંતુષ્ટિની છે. સાચો બુદ્ધિવાળો કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનને દુ:ખશોકથી પરિપૂર્ણ જોવા માગતો નથી. આપણે સર્વદા સુખી રહેવા ઇચ્છીએ છીએ. આપણે બીજા પાસેથી સુખ મેળવવા ઇચ્છીએ છીએ. જે કોઈ વસ્તુ કે પદાર્થ, દૃશ્ય, વિચાર કે વિલાસિતાની ચીજવસ્તુઓ આપણને સુખ આપે છે એની આપણે કામના કરીએ છીએ. જે કોઈ સાધક આપણને સુખનું આશ્વાસન આપે એને આપણે જેટલું બને તેટલું ઝડપથી મેળવી લેવા ઇચ્છીએ છીએ. એટલું જ નહિ જેટલા લાંબા સમય સુધી બને તેટલું વધારેમાં વધારે સુખ ભોગવવા ઇચ્છીએ છીએ.

આ ત્રણ સર્વવ્યાપી તેમજ અદમ્ય પ્રેરણાઓનો ઉદ્‌ગમ ક્યાંથી થાય છે? આ ત્રણેય મનુષ્યના અસીમ તેમજ અદમ્ય સાચા સ્વરૂપમાંથી ઉત્પન્ન થાય છે. માનવનું સાચું સ્વરૂપ સચ્ચિદાનંદમય આત્મા છે. મનુષ્ય એને જાણે કે ન જાણે, પણ સચ્ચિદાનંદની શક્તિ એના રક્તની દરેક કોષિકાઓમાં રહેલી છે. તે જ્યાં ક્યાંય જે કંઈ પણ કરે છે એમાં આ ત્રણેય પ્રેરણાઓ સદૈવ ઉપસ્થિત રહે છે. મનુષ્ય ક્યારેય પણ પોતાના અસ્તિત્વલોપ, અજ્ઞાન કે નિરંતર દુ:ખની કામના કરી શકતો નથી. એ જીવન, જ્ઞાન તથા સુખની વિરોધી શક્તિઓનો સતત પ્રતિરોધ કરતો રહે છે. જીવનનો લાંબો સંઘર્ષ પૂર્ણસત્‌, પૂર્ણ ચેતના અને પૂર્ણ આનંદ માટે જ હોય છે.

‘હું’નાં સ્વરૂપ તથા ગુણની વ્યાખ્યા આ રીતે કરી શકાય –

(૧) પરમ સત્ય એ બ્રહ્મ અર્થાત્‌ સચ્ચિદાનંદ- ‘હું’નું વાસ્તવિક રૂપ (૨) અચેતન પ્રાણિક ક્રિયાઓ (૩) વ્યક્તિગત ચેતના (૪) મન તથા શરીર.

૧. પરમ સત્ય કે બ્રહ્મ આકાશવત્‌ સર્વવ્યાપી અને બધાના પ્રકાશક છે. આ જ સર્વવ્યાપી ચેતના રૂપ સચ્ચિદાનંદ એવું પરમતત્ત્વ છે કે જે શાશ્વત, અક્ષય અને અમર છે. 

૨. જન્મથી માંડીને મૃત્યુ સુધી જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિની અવસ્થાઓમાં પ્રાણની જટિલ ક્રિયાઓ શરીરમાં વ્યવસ્થિત રૂપે નિરંતર ચાલતી રહે છે. શોક, રોગ કે ચિંતાઓ પણ એમાં આડે આવી શકતી નથી. હૃદયસ્પંદન, શ્વાસપ્રશ્વાસ, રક્તસંચાર, શૌચ, પાચન વગેરે એવી અનેક સ્વયંચાલિત ક્રિયાઓ છે. દેહની આ બધી ક્રિયાઓ આપણી સચેતચેષ્ટા વિના એની મેળે ચાલતી રહે છે. આપણા દેહ તથા મન આપણી ઇચ્છાઓ વિના જ સદૈવ બદલતાં રહે છે. આના પર વિચાર કરીને આપણે સમજી શકીએ કે આપણું જીવન એક સતત પ્રવાહશીલ સરિતાના જેવી એક રહસ્યમય શક્તિ છે. ‘હું’ કે ‘અહં’નું જ્ઞાન કે બોધ આ પ્રવાહની બાહ્ય સપાટી પર ઉદ્‌ભવતા એક પરપોટા જેવાં છે. આ ચેતના જાગ્રત અવસ્થામાં સ્પષ્ટ રૂપે સ્વપ્નમાં ધુંધળી જેવી ભાસે છે. નિદ્રાના સમયે એ અચેતનમાં લીન થઈ જાય છે. (જીવનનો એક તૃતીયાંશ ભાગ અચેત નિદ્રામાં જ વીતી જાય છે.)

પરંતુ અચેતન અવસ્થામાં આ ‘હું’નો મૂળસ્રોત નથી. આનું ઉદ્‌ગમ સ્થાન તો એ જ સર્વવ્યાપી દિવ્ય ચેતના છે. આ દિવ્ય ચેતના અવિનાશી છે તથા ત્રણેય કાળમાં વિદ્યમાન રહે છે. અચેતન જીવનશક્તિ ‘હું’ને આચ્છાદિત કરી દેતી લાગે છતાં પણ તેને ક્ષતિ કરી શકતી નથી. આ સત્યને જાણીને ભયમુક્ત બની જઈએ છીએ. 

૩. એક અંધારા ઓરડાની કલ્પના કરો, એની બારીઓ તથા બારણું બંધ છે. છતનાં એક છિદ્રમાંથી પ્રકાશ આવીને ભીતરના એક ભાગને પ્રકાશિત કરે છે. ઉપરથી જોઈએ તો એક કાળું છિદ્ર છે, પણ ભીતરના લોકો તેને કક્ષના એક ભાગને આલોકિત કરતાં જુએ છે. ધારો કે એ છિદ્ર સ્વયંને જ કક્ષના પ્રકાશક જ્યોતિનો સ્રોત સમજવા લાગે છે. આપણાં ‘હું’ કે ‘અહં’ પ્રાય: એવું જ કરે છે. આ ‘હું’ની સુદૂર પૃષ્ઠભૂમિમાં સચ્ચિદાનંદની અનંત શુદ્ધ ચેતના છે. જો આ અહંકાર આટલું ભૂલી જાય કે એ પોતાની પાછળ રહેલ સચ્ચિદાનંદ સાગર પર આશ્રિત છે; જો તેને એ વાતનું જ્ઞાન કે બોધ ન થાય કે અન્ય ‘અહં’, ભલે તે ગમે તેટલા ઓછા વિકસિત કેમ ન હોય, પણ મૂળત: એના જેવા જ છે તો તે એમના પ્રત્યે દ્વેષ અને ઘૃણાનો ભાવ રાખે છે. આવા અહંકારને ‘રોગી અહં’ કહે છે. આ જ એક વાસ્તવિક આધ્યાત્મિક આદર્શનું સત્ય છે. ડોક્ટર સી.જે. યુંગ કહે છે : ‘પૂર્ણમાંથી અલગ થઈને અને માનવમાત્ર તથા પોતાના આત્માથી વિચ્છિન્ન થઈ જવાને કારણે આ અહં રોગી થઈ ગયો છે.

Total Views: 157

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.