માએ જયરામવાટીમાં સાધુ અને ભક્તોની સેવાને માટે જ જમીન ખરીદવાનું કહેલું. માત્ર એટલું જ નહિ, પણ જયરામવાટીમાં તેમ જ ઉદ્‌બોધનમાં ભિક્ષાર્થી સાધુ, વૈષ્ણવ ફકીરો પ્રત્યે પણ એમનો મર્યાદાપૂર્ણ વ્યવહાર અચરજ ઉપજાવતો. એટલે લગી કે, ગરીબ-દુ:ખી, આંધળા પાંગળા, ભિખારીઓ તરફ એમનું પ્રેમભર્યું વર્તન અને સહાનુભૂતિ એક જોવા જેવી, શીખવા સરખી વાત હતી.

હિંદુઓના દેવદેવીઓ માફક, પરધર્મીઓના દેવસ્થાનો પ્રત્યે પણ એમનાં વિશ્વાસભક્તિ નિહાળીને નવાઈ પામી જવાય છે. ચિતપુર બ્રિજની હેઠળ, રસ્તાની બાજુમાં જ આવેલી ભૂતસાહેબની દરગાહ ભારે જાગ્રત સ્થાન તરીકે જાણીતી હતી. ઉદ્‌બોધન અને એમની બાજુની ઘરનાં બૈરાં દર્શન કરવા જતાં હતાં. માએ એમની સંગાથે પોતાના એક માંદલા દીકરાને મોકલ્યો. ત્યાં પૂજાપત્રી ચઢાવીને પગે લાગીને પછી બાબા ભૂતસાહેબની પ્રસાદી રજ લઈને પાછા આવીને છોકરાએ માના હાથમાં એ ભભૂતિનો પ્રસાદ મૂક્યો. માએ એક બાજુએ બેસીને અત્યંત ભાવપૂર્વક એ રજને પોતે માથે ચડાવી અને પછી બાજુમાં ઊભા રહેલા એ છોકરાના હાથમાં સંભાળીને મૂકીને સ્નેહગદ્‌ગદ્‌ સ્વરે કહ્યું: ‘બાબા, ભૂતસાહેબની પ્રસાદી ધૂળ શરીરે, માથે ચોપડ, શરીર સારું થઈ જશે. ભારે જાગ્રત છે.’ માનો ભક્તિભાવ જોઈને આભા થઈ ગયેલા દીકરાએ – એના મનમાં એટલી બધી આસ્થા ન હતી છતાં – રજને માથે, શરીરે, નાભિ પર ભક્તિપૂર્વક લગાડી. માએ તે વખતે અતિશય કાકલૂદીભરી પ્રાર્થના કરી, ‘બાબા, ભૂતસાહેબ! મારા દીકરાને સાજો કરી દો, બાબા!’

પ્રેમ જ જીવનની સંજીવની છે

ભક્તરૂપી ભ્રમર ભગવાનના પાદપદ્મોના મકરંદપાનને માટે હંમેશાં લલચાયા કરે છે. અને શ્રી ભગવાન પણ ભ્રમર થઈને ભક્ત હૃદયકમળના મધુનું આસ્વાદન કરે છે. હૃદયકમળનો આ સાર, જે જીવોના અંત:કરણની સૂક્ષ્મમાં સૂક્ષ્મ, શૂદ્રમાં શૂદ્ર, સુંદરમાં સુંદર ચીજ છે તે રસરૂપે પ્રવાહિત થઈને વિધવિધ વિષયો અને આશ્રયોના આધારોનું અવલંબન કરીને જે વિભિન્ન આકારો ધારણ કરે છે તે જ શાંત, દાસ્ય આદિ રસોના નામે ઓળખાય છે. માયાના સંસારની નશ્વર વસ્તુ અને જીવના જીવનની ક્ષણિક અભિવ્યક્તિ પણ આ જ રસધારા વડે જ જીવંત અને પુષ્ટ રહે છે. આ રસસંસાર અને એમાંથી ફૂટી રહેલ પ્રકાશ-આનંદની સરવાણીઓ વિના તો પ્રાણશક્તિની ક્રિયા પણ ધબકતી અટકી જાત.

જાણ્યે કે અજાણ્યે, તૃણ-લત્તા-ઝાડ પાનથી માંડીને ઊંચામાં ઊંચી કક્ષાનો જીવ મનુષ્ય પર્યંત સહુ રસવડે ઓતપ્રોત છે, આનંદથી જીવંત છે. રસનું પરિપૂર્ણ મૂર્ત રૂપે શ્રીભગવાન રસસ્વરૂપ છે. ભક્તને આ રસનું આસ્વાદન કરાવવાને ખાતર જ શ્રી ભગવાન યુગે યુગે નરદેહ ધારણ કરીને આવે છે. વર્તમાન યુગમાં માનવ સમાજને એ રસ આસ્વાદન કરાવવાને માટે તેઓ આદર્શ સંતાન, ત્રિગુણાતીત શિશુ શ્રીરામકૃષ્ણ રૂપે તેમજ મહાભાવમયી ‘નિખિલ માતૃહૃદય-સાગર-મંથન સુધા-મૂરતિ’ જગજ્જનની શ્રીશારદાદેવી રૂપે આવિર્ભૂત થયા છે. એ અદ્‌ભુત માનવી લીલાની અંદર માતા-પુત્ર તથા પિતા-કન્યાના ભાવોનો આશ્રય લઈને ‘મા અને દીકરી’ રૂપે જે યુગોપયોગી લીલા ભજવાઈ ગઈ તેની જરાક સરખી ઝાંખી કરાવવાની ઇચ્છાથી જ આ ચર્ચા ઉપાડી છે.

ઘણા વખત પહેલાંની વાત છે. એક દિવસ એક મિત્રને ઘેર ઘણે દહાડે મળવા માટે ગયો હતો. મિત્ર પોતે ડોક્ટર, ઉંમર ચાલીસ વરસની આસપાસ હશે, સારી એવી પ્રેક્ટીસ અને ધમધોકાર આમદની તેમજ સારા ડોક્ટર તરીકે ખ્યાતિ હતી. બે દીકરાઓ ઉપર એક કન્યારત્ન પ્રાપ્ત થયું છે. ત્યારે એ દીકરી દોઢેક વરસની. ડોક્ટર મિત્ર નાનપણથી જ પોતાના દેખાવ પોષાક તરફ ઘણી કાળજી રાખતા. એકદમ ટીપટોપ, સાફસૂથરો વેશ રાખે. કશેક ગયા હોય અને બેસવાની જગા બરાબર સાફ ના હોય તો પોતે ઝાડીઝપટીને બેસે અને નહિ તો ઊભા ઊભા જ કામ પતાવી દે. એમનાં ધોતિયા, ઝભ્ભા કે ઉપરણાને કોઈએ કદીય સહેજે મેલાં કે ડાઘડૂધવાળા કે ફાટેલાં ચોળાયેલાં દીઠાં ન હતાં. મને જોતાં જ મિત્ર દોડતા સામે આવ્યા, ઘણા વખતે મળીને બંનેને ઘણો આનંદ થયો, નમસ્કાર વગેરે કરીને કુશળ સમાચાર પૂછી રહેલા. એટલામાં એમની આંખની કીકી સમાન લાડકી દીકરી પાપા પગલી માંડતી આવીને કાલી કાલી બોલીમાં ‘બાબા’ કહેતી હાથ લંબાવીને એમને પકડીને ઊભી રહી. એમણે પણ તરત જ હાથ લંબાવીને એને ઊંચકી લીધી અને છાતીએ ચાંપીને બોકી ભરતાં જાણે કે મિત્રની પાસે પોતાનો બચાવ કરતા કહ્યું કે ‘આને ખાતર મારું બધુંય ગયું, બાબુગીરી સુદ્ધાં. કેમે કરી છોડે જ નહિ ને, જોતાંની સાથે જ ઊંચકી લેવી પડે. વીઝીટેથી પાછો આવું કે બહારનાં કપડાં સુદ્ધાં બદલવાનાં આઘાં રહે. ધૂળમાં રમતી હોય અને મને જુએ કે એવી ધૂળ ભરેલી જ ચોંટી પડે, ઊંચકવી પડે, છૂટકો જ નહિ. નહિ તો ‘બાબા બાબા’ કરીને રોકકળ કરી મૂકે. છોકરાઓને તો આઘા ને આઘા રાખેલા ખોળામાં ચઢવા નહોતા પામ્યા, પણ આના હાથમાંથી બચવા ના પામ્યો. આ જુઓને, માટીમાં આળોટતી હતી, કેટલી ધૂળ ભરી છે શરીરે અને જેવો મને ઊભેલો દીઠો કે દોડતી આવી જ છે ને!’ એમ બોલતાં બોલતાં મિત્ર બેટીને નીરખી રહ્યા છે. છાતીએ ચાંપે છે અને અંતરનો આનંદ આંખેથી મુખેથી ઊભરાઈ રહ્યો છે. દીઠું, સાંભળ્યું અને વિચાર્યું કે, આ મધુર રસાસ્વાદનને કાજે તો સંસાર. દીકરાઓ જન્મેલા ત્યારે મિત્રની ઉંમર ઓછી હતી, કાં તો હજી ત્યારે હૃદયકમળ પૂર્ણપણે ખીલ્યું નહોતું, સ્નેહમાધુર્યની સરવાણીઓ પાંખી હતી. મિત્રનો સુખી સંસાર જોઈને ઘણો આનંદ થયેલો. તે પછી જ્યારે એમની ઉંમર એંસીની આસપાસ પહોંચેલી, ઘડપણે ઘેરાયેલી કાયા કૌવરવિહોણી પાંગળી બની ગયેલી ત્યારે સાંભળેલું કે એ જ રતનસમાણી દીકરીએ ઘરડા બાપનાં દીકરાની જેમ જતન કરેલાં. સ્નેહભક્તિપૂર્વક પિતાની સેવાચાકરી કરીને પોતાના જીવનને સાર્થક કરેલું અને પિતાનાં દુ:ખકષ્ટ ઓછાં કરેલ. ત્યારે એ મિત્રને માટે દીકરી જ મા બનીને ઊભી રહેલી!’ 

ઘણાય વખત પહેલાં રસ્તે જતાં એક અદ્‌ભુત દૃશ્ય દીઠેલું તે ભૂલ્યું ભૂલાતું નથી, હજી પણ આંખોની સામે તરવરી રહે છે. દીઠું કે એક કાળો કરકટ, મેલાંઘેલાં લૂગડાં પહેરેલા, ઊંચી કાઠીનો, દાઢી મૂછથી છવાયેલ ચહેરાથી ડરામણો દેખાતો એક માણસે એનાથી યે વધારે મેલાં ફાટેલાં લૂગડે વીંટળાયેલા એક બાળકને બેઉ હાથે ઊંચકીને છાતીએ ચાંપીને માથું નમાવીને સમસ્ત દિલ રેડી દઈને સ્નેહ દર્શાવ્યો અને પછી બાજુમાં એવાં જ મેલાં ફાટ્યાં લૂગડાં પહેરીને ઊભેલી એક છોકરીના હાથમાં એને મૂકીને ઝળહળિયાંભરી તરસી નજરે બાળકોના મોં ભણી પાછાં વળીવળીને જોતાં જોતાં સામે જઈ રહેલી ભેંસોના ટોળાની પછવાડે ઉતાવળે પગલે ચાલી નીકળ્યા. ગયા વિના છૂટકો નથી, એટલે જાણે કે પ્રાણને પાછળ મૂકીને ખાલી કાયા લઈને જઈ રહ્યો છે! અને વળી એ આંખોમાં તારાને ખવડાવીશ પહેરાવીને સુખચેનમાં રાખવાને ખાતર જ તો એનું આ વનવગડે ભમીને ભેંસો ચારવા જવાનું છે ને! જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયો કે હે મા મહામાયા! આ ઉપલી નજરે કઠણ પથ્થર જેવી જણાતી આ સૂકીભઠ્ઠ કર્કશ છાતીની અંદર તું આવા સ્નેહવાત્સલ્યનાં ઝરણાં રૂપે છુપાઈ રહી છો! સર્વભૂતે માતૃરૂપે અવસ્થિતા મહાદેવી! ઘડી પહેલાં પટકેલા શિકારની ફાડેલી ગરદનનાં લોહી ચસચસાવતી વાઘણના સ્તનોમાં પણ મા, તું છો અમીભર્યાં ધાવણની શેડ!’

મુખરજી પરિવારી આનંદાયિની શારદા

જયરામવાટીના મુખરજી પરિવારમાં શુભઘડીએ કુળને ઉજ્જવળ કરનારી દીપશિખાના રૂપમાં એક કન્યારત્નનો આવિર્ભાવ થયો. મુખરજીઓ ચાર ભાઈઓ હતા. તેમાં સૌથી મોટા ભાઈ રામચંદ્રના જ પ્રથમ સંતાન રૂપે જન્મ ગ્રહણ કરીને મહામાયાએ ઘરને ઝળાંહળાં કર્યું. ગૃહવાસીઓને પરમાનંદિત કર્યાં. પડોશીઓ, સગાં, કુટુંબીજનોને પરિતૃપ્ત કર્યાં. પાછળના દિવસોમાં પણ અંતરમાં ઉલ્લાસભરી પડોશમાં વસતી વૃદ્ધાઓનાં પ્રસન્ન મુખેથી શ્રીમાનાં શુભજન્મનું અલૌકિક વૃતાંત સાંભળીને નક્કી લાગ્યું કે આ અસાધારણ બાલિકા જન્મી ત્યારની ઘડીથી જ સહુના ચિત્તને આકર્ષનારી, વહાલ વરસાવવાની સામગ્રી બની ગયેલી. શ્રીમાનાં મા એમને પિયર શિહડમાં એક દિવસ એક બિલીના વૃક્ષ તળે બેઠાં હતાં. ત્યારે એક અલૌકિક રૂપરૂપના અંબાર સમી માધુર્યની મૂર્તિ સમી એક બાળકીએ એમને ગળે વળગીને એમની દીકરી થઈને જન્મવાની ઇચ્છા પ્રગટ કરી. એ દિવ્યસ્પર્શ પામીને આનંદ અને વિસ્મયથી એમનું બાહ્યભાન ભૂલાઈ ગયું. એ ઘટનાના થોડાક વખત બાદ જ શારદાનો જન્મ થયો. જન્મતાની સાથે જ કન્યા સહુની લાડલી બની જાય એમાં નવાઈ પામવા જેવું શું છે? એ બાબતાં પાછળથી પાકી વયે પણ, એમના અવિવાહિત કાકા ઈશ્વરચંદ્ર જે બધી વાતો કરતા હતા, એ તો આના પહેલાં કહેવાઈ ગઈ છે. અહીં અમારી સગી નજરે દીઠેલા એક દૃશ્યની વાતનો ઉલ્લેખ કરું. માનાં એક કાકી હતાં ભાવિ માસીનાં મા. જે વખતની આ વાત કરું છું ત્યારે તો કાકીમા ખખડી ગયેલાં, આંખોના તેજ વીલાઈ ગયેલાં. માએ કલકત્તા જતાં પહેલાં એક સંતાનને કાકીમા પાસે મોકલ્યા, હાથમાં કંઈક મૂકીને, પ્રણામ જણાવીને આશીર્વાદ લઈ આવવાને માટે. તબિયત ખરાબ હોવાથી પોતે જાતે જઈ શકેલા નહિ. માએ કહ્યું કે, ‘કાકીમાને મારાં ભક્તિભર્યાં દંડવત્‌ પ્રણામ કરીને કહેજે કે શરીર બગડેલું હોવાથી મારાથી જાતે જઈને એમની ચરણરજ અને આશીર્વાદ લેવાનું બન્યું નથી, એનું દુ:ખ ના કરશો અને અપરાધ ક્ષમા કરીને પ્રેમાશીર્વાદ દો.’ માજીને માના શબ્દો કહી સંભળાવ્યા ત્યારે પ્રેમનાં આંસુ સારતાં સારતાં બોલ્યાં, ‘સારદા તો અમારા કુળનું ગૌરવ. ભગવાનની કૃપાથી ઘણું ઘણું જીવો, સાજીનરવી સુખચેનમાં રહો. એનો મારા અંતરના આશીર્વાદ સારી રીતે કહેજે.’ ત્યાર પછી ડોશી મા હાથ જોડીને વારંવાર પ્રાર્થના કરતા રહ્યા. કુળના ગૌરવસમી શારદાને દીર્ઘકાળ પર્યંત સ્વસ્થ શરીરે, સુખ શાંતિમાં આયુષ્યમાન રાખવાને માટે. માજીનાં એ સ્નેહ અને મમતાને નિહાળીને સંતાન વિસ્મિત થયા અને પાછા આવીને માને બધું કહ્યું ત્યારે માનું મન પણ પુલકિત થયું.

બહોળા પરિવારના આવા સ્નેહ સમુદ્રની મધ્યે બાલિકાનો ઉદય થયેલો. વરસતી વ્હાલપમાં લાલન પાલન થયાં, પ્રેમના અમૃતે તેમની પુષ્ટિ ને વૃદ્ધિ થઈ. માનું પિતૃકુળ ગરીબ બ્રાહ્મણનું, જાતમહેનતથી રોટલો રળાતો. બાળપણના દિવસથી જ બાલિકાનાં વ્હાલપ વાત્સલ્યના રસાસ્વાદનથી ઘરનાં સહુ કળતી કાયાનો અને ઉદાસ મનનો થાકોડો દૂર કરવા માંડેલો. ગરીબ ઘરમાં જ્યાં સહુના સહિયારા પ્રયાસોથી ભરણપોષણ નભ્યે જતાં હોય ત્યાં અંદરોઅંદર મનના મેળ વધુ રહે. હેત-લાડ કરવા જોગાં ઘરનાં બાળબચ્ચાં તે આ જોડનારી નાડાછડીના તાંતણા. માએ મુખરજી પરિવારજનોને સ્નેહપાશના અતૂટ બંધને બાંધી દીધાં અને જરાક મોટાં થતાં ના થતાં જ ઘરસંસારના કામકાજમાં સહુને ટેકો કરવો શરૂ કરી દીધો. ત્યાં લગીમાં તો બાળા એમનાં દિલ પર કબજો જમાવીને બેઠેલી. બાલિકાને જે કોઈ જુએ તેને વ્હાલી લાગે, એને હેત કરે, પોતની માની કેડે ચડીને જ્યાં પણ જાય ત્યાં સહુની નજર એના પર મંડાય.

બાળપણમાં જ એમણે શિહડમાં મામાને ઘેર ઉજાણીને સમયે ભેગાં મળેલાં માણસોમાંથી શ્રીરામકૃષ્ણનું પતિરૂપે પોતે જાતે જ વરણ કરી લીધેલું. ‘કોને પરણવાની તું?’ એવા સવાલના જવાબમાં આંગળી ચીંધીને શ્રીરામકૃષ્ણને બતાવેલા. ત્યારે તો એ વાત હસવામાં ગણાઈ ગયેલી, પણ ભવિષ્યમાં એ પ્રમાણે બનીને રહેલી અને આપણે જાણીએ છીએ કે કામારપુકુરમાં એ જ બાલિકાવધૂએ કન્યારૂપે સહુનો પરમસ્નેહ પ્રાપ્ત કરેલો. એ સ્નેહસિંચનમાંથી ધની લુહારણ પણ બાદ નહોતી રહી. (ધનીની નાની બહેન શંકરી પણ પાછળથી માની સેવાચાકરી કરીને પોતાના જીવનને સાર્થક કરેલું.) શ્રીરામકૃષ્ણની જોડે એ વેળાએ શ્રીશારદાનો મેળાપ અલ્પસમયને માટે જ થયેલો તે છતાં એમના અપાર સ્નેહપ્રેમનો સ્પર્શ એમને અઢળક પ્રમાણમાં મળેલો.

અને ત્યારબાદ યૌવનાવસ્થામાં પગરણ માંડ્યા પછી કેવી રીતે દક્ષિણેશ્વરે આવીને શ્રીરામકૃષ્ણદેવનો દેહસંપર્ક શૂન્ય કામગંધહીન અપાર પ્રેમનો સ્પર્શ તેઓ ફરીવાર પામ્યાં. કેવી રીતે શ્રીરામકૃષ્ણે એમની સાક્ષાત્‌ જગન્માતા રૂપે પૂજા કરીને તથા બીજી પણ વિભિન્ન ઘટનાઓના માધ્યમથી એમનામાં વિશ્વમાતૃત્વનો વિકાસ સાધ્યો, અને એ માતૃસ્નેહથી આકર્ષાઈને પોતાને એમાં ડૂબાડી દઈને ધન્ય થવાને કાજે કેવાં તો અસંખ્ય નરનારીઓ ‘મા, મા’નો પોકાર કરતાં એમની પાસે દોડી દોડીને આવવા માંડ્યા, એ તો આપણે સહુ જાણીએ છીએ. કેવી રીતે નર હત્યારો લૂંટારાએ પણ એમને મુખેથી ‘બાબા, હું તમારી દીકરી શારદા’ એ એક જ વાક્ય સાંભળતાંની સાથે સાચેસાચ જ એમને પોતાની દીકરી તરીકે પૂરેપૂરા દિલથી સ્વીકારી લીધા, એ પણ આપણે જાણીએ છીએ.

શ્રીરામકૃષ્ણ શારદાદેવીને સાક્ષાત્‌ જગજ્જનની રૂપે જ દેખતા ‘જે મા મંદિરમાં બિરાજે છે, જેમણે આ શરીરને જન્મ આપ્યો છે અને અત્યારે નોબતખાનામાં રહેલાં છે તેઓ જ હમણાં મારી પદસેવા કરી રહ્યાં છે. સાક્ષાત્‌ આનંદમયીના રૂપે જ તમને સર્વદા સાચેસાચ જોઉં છું’ – એમ એમણે શ્રીશ્રીમાને કહેલું.

આ બધીય આપણી સુપરિચિત ઘટનાઓ, એટલે ફરીવાર બેવડો ઉલ્લેખ અહીં નથી કર્યો.

વૃંદાવનમાં નિવાસ

શ્રીરામકૃષ્ણના દેહત્યાગ પછી મા ભક્તોની સંગાથે વૃંદાવન જઈને ત્યાં થોડોક વખત રહેલાં. એ ઠેકાણે એમનું શોકતપ્ત હૃદય ઘણું શાંત થયું અને તેઓ કઠોર સાધન-ભજનમાં મગ્ન બન્યાં. અહીંયા જ એમની વિશેષ કૃપા વિતરણનો આરંભ થયો. એમ કહેવાય કે કૃપાનિઝરિણીએ અહીં જ સર્વપ્રથમ સ્વયંને પ્રગટ કરી, શ્રીરામકૃષ્ણના આદેશે એમણે સ્વામી યોગાનંદને દીક્ષા દીધી. એ કૃપાનો સ્રોત ક્રમે ક્રમે વિસ્તરતો જઈને, એક અખંડિત ધારારૂપે વહેવા માંડ્યો. અને એ સ્રોતે અસંખ્ય અધ્યાત્મપિપાસુઓની તૃષ્ણા છીપાવી, અસંખ્ય પાપી-તાપીઓને ‘ક્ષમારૂપા’ માના ખોળે ખેંચી લાવીને એમની કાયાને ચોંટેલા ધૂળ-કાદવને ધોઈ લૂછીને એમને અમૃતલોકનો, આનંદલોકનો માર્ગ દેખાડ્યો.

કામારપુકુરમાં નિવાસ

વૃંદાવનમાં એક વરસથી વધારે સમય ગાળીને મા હરિદ્વાર, ઋષિકેશ, પુષ્કર, પ્રયાગ, કાશી વગેરેનાં દર્શન કરીને કામારપુકુર પાછાં આવ્યાં. ગોલાપ-મા સાથે આવેલાં પણ થોડા જ દિવસમાં માને ત્યાં એકલાં મૂકીને એમને કલકત્તા પાછા ફરવું પડ્યું. એમનું ત્યાં રહેવું શક્ય નહોતું, કારણકે એથી મા ને બેટી બેઉનાં કષ્ટ વધત. કામારપુકુરના નિ:સંગ જીવનમાં માનું મન સર્વદા ઉર્ધ્વલોકમાં વિચરણ કરતું. બહારની બાજુની તાણતંગી, શારીરિક દુ:ખકષ્ટ કશાંયનું ભાન થતું નહિ. એ સમયે કામારપુકુરમાં માના જેઠ રામેશ્વરની પત્ની, દીકરા રામલાલ અને શિવરામની પત્નીઓ, દીકરી લક્ષ્મીદીદી ઘણુંખરું રહેતાં હતાં. રામલાલદાદા મોટે ભાગે દક્ષિણેશ્વરે રહેતા હોવા છતાં વચ્ચે વચ્ચે કામારપુકુર આવતા હતા. માના ભિક્ષાપુત્ર શિવરામ ઘણુંખરું હંમેશાં ત્યાં રહીને રઘુવીરની પૂજા અને ઘરબારની દેખભાળ કરતા. માનું મન ત્યારે હરહંમેશ અતીન્દ્રિય રાજ્યમાં વિચરણ કરતું. તેથી તેઓ સંસારની ઝંઝટોમાંથી પોતાની જાતને સંપૂર્ણપણે અળગી રાખીને પોતાની રીતે જ રહેતાં. ઠાકુર એમને જે ઓરડો દઈ ગયેલા હતા, એમાં જ જુદાં રહીને રસોડાને એક ખૂણે પોતાને હાથે રાંધીને ઠાકુરને ધરાવીને શાકભાતનો પ્રસાદ જમીને વખત વીતાવવા લાગ્યાં. જેઠના દીકરાઓના સંસારના ઝમેલા જોડે એમનો ખાસ સંબંધ રહ્યો નહોતો.

એ દિવસોમાં, લાહાકુટુંબની દીકરી વૃદ્ધા પ્રસન્નમયી અને ઠાકુરનાં ભિક્ષામાતા ધની લુહારણના મરણ બાદ એની નાની બહેન શંકરી માને પુત્રવધૂ અથવા તો દીકરીની જેમ જ હેત કરતી એમ સાંભળ્યું છે. એક બીજી બાળવિધવાની વાત પણ સાંભળી છે, એનું નામ યાદ નથી આવતું. એ હતી શ્રીઠાકુરના બચપણના ગોઠિયા વૃદ્ધ ભક્ત શ્રીનિવાસ એટલે કે ચિનુ શાંખારીની દીકરી. એ પણ પૈસેટકે કંઈક સુખી હતી અને પ્રસન્નમયીની માફક જ દેવસેવા, સાધુસેવા અને ધર્મકર્મમાં ઘણી રુચિ ધરાવતી હતી. સંતાનવિહોણી આ ત્રણેય રમણીઓની ઠાકુર અને મા ઉપર વાત્સલ્યભક્તિ હતી. કામારપુકુરના વસવાટકાળે તેમજ જ્યારે જ્યારે પણ મા ત્યાં રહેલાં હોય ત્યારે જીવતી રહી ત્યાં લગી માને દીકરીની જેમ સ્નેહ કરતી, હરહંમેશ ખબરઅંતર લેતી, અનેક વાતે મદદરૂપ થતી. એટલે સુધી કે જરૂર પડતાં શંકરી રાત્રે આવીને એમને ઓરડે સૂઈ પણ રહેતી.

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.