સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજ્યંતી-કાર્યક્રમો
રામકૃષ્ણ મિશન, લીંબડી
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં તા.૨૬ થી તા.૨૯ ડિસેમ્બર સુધી વિવિધ યુવાસ્પર્ધાના આયોજનમાં ૨૦ સ્કૂલોના ૩૭૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જેમાં વિવેકાનંદ દોડ, વક્તૃત્વ, વેશભૂષા, સંગીત, મુખપાઠ, નિબંધ, ચિત્ર સ્પર્ધા હતી. વાલીઓ અને શિક્ષકો પણ તેઓને પ્રોત્સાહિત કરવા માટે સાથે આવેલ હતા.
સ્પર્ધાઓ પછી વિજેતાઓને ઇનામો અપાયાં હતાં. પ્રથમ આવેલ સ્પર્ધકોને ૧૮મી જાન્યુઆરી, ૨૦૧૩ને દિવસે વિશેષ કાર્યક્રમમાં ઈનામો અપાયાં હતાં. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને પ્રોત્સાહન ઈનામ અપાયું હતું.
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
૨૪ ડિસેમ્બરે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
૪ જાન્યુઆરીના રોજ શ્રીશ્રીમાની જન્મજયંતીનો મહોત્સવ શ્રીરામકૃષ્ણ મંદિરમાં ઉજવાયો હતો. આ મહોત્સવમાં વિશેષ પૂજા, હવન, ભજનનું આયોજન થયું હતું. સાંજે શ્રીમાનામ સંકીર્તન યોજાયું હતું.
સંધ્યા આરતી બાદ જાણીતા જાદુગર શ્રી પી.સી. સરકારના પુત્ર શ્રી માણિક સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિશે એક લેસર શોનો કાર્યક્રમ યોજાયો હતો. આ લેસર શોનો લાભ ૨૨૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો અને વિશેષ આમંત્રિત મહેમાનોએ માણ્યો હતો. કાર્યક્રમના પ્રારંભમાં માણિક સરકાર અને એમના સંગાથીઓનું શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માન કર્યું હતું.
૧૨ જાન્યુઆરીના રોજ રાજકોટના દૈનિક પત્ર ‘દિવ્યભાસ્કર’ દ્વારા રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં સ્વામી વિવેકાનંદના અગ્નિમંત્રો સાથેનાં પ્લેકાર્ડ અને સ્વામી વિવેકાનંદની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ એક અનોખું દૃશ્ય ઊભું કર્યું હતું.
૨૯ અને ૩૦ ડિસેમ્બરે ઝઘડિયામાં SGVEP અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન થયું હતું.
અમરેલી જિલ્લામાં અમરેલી, ધારી, બગસરા, ચલાલા, સાવરકુંડલા, હાથીસણ ગામની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓમાં ચેતના જાગૃત થાય એ માટે સ્વામી વિવેકાનંદના જીવન અને પ્રદર્શનનો રથ, પુસ્તક વેચાણ અને પ્રવચનનું આયોજન થયું હતું.
આરોગ્ય ચિકિત્સા સેવા વિભાગ :
ઓક્ટોબર થી ડિસેમ્બર ૨૦૧૨
નેત્ર ચિકિત્સા વિભાગમાં ૧૨૨૭૫, કેમ્પમાં ૮૨૫ દર્દીઓની ચકાસણી થઈ હતી. ૫૬૩ પુરુષો ૫૬૩ બહેનો અને ૩ બાળકોનાં એમ કુલ મળીને ૧૧૨૯ ઓપરેશન થયાં.
આયુર્વેદ વિભાગમાં કુલ ૪૦૨૯, હોમિયોપથીમાં ૧૬૫૭, ફિઝિયોથેરપીમાં ૪૭૬૫, સેરેબ્રલપાલ્સીમાં ૨૯૬૬ સેરેબ્રલપાલ્સીના કેમ્પમાં ૭૧, ગ્રામ્ય મેડિકલ કેમ્પમાં ૮૭૧ દર્દીઓની ચિકિત્સા સેવા થઈ હતી.
૬ જાન્યુઆરીના રોજ અલ્લાહાબાદના ડૉ. જિતેન્દ્ર જૈનના સીપી કેમ્પમાં ૪૫ બાળકોને સારવાર મળી. માતપિતાની સભામાં ૪૩૫ વાલીઓએ ભાગ લીધો.
૧૩ જાન્યુઆરીના રક્તદાન કેમ્પમાં ૬૧ બોટલ લોહી એકઠું થયું હતું.
રામકૃષ્ણ મિશન, વડોદરા
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા ૨૩ ડિસેમ્બરના રોજ એમ.એસ. યુનિવર્સિટીના સુવર્ણચંદ્રક વિજેતા ૫૦ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું સન્માન થયું હતું. એશો. ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત વિભાગના ચેરપર્સન કુ.ભાગ્યેશ સોનેજીના વરદ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં. વિદ્યાર્થીઓએ સ્વામીજીનાં પુસ્તકો વાંચીને પોતાના જીવનમાં આગળ વધવાનું આહ્વાન આપ્યું હતું. કુ. ભાગ્યેશ સોનેજીએ સ્વામીજીના જીવનસંદેશમાંથી પ્રેરણા મેળવીને માત્ર રૂ.૨૦ની મૂડીથી બિઝનેસનો પ્રારંભ કર્યો હતો. અને આજે અનેક કંપનીઓમાં મુખ્ય સંવાહક તરીકે સેવા આપે છે.
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, વડોદરા દ્વારા જાદુગર શ્રી પી.સી. સરકારના પુત્ર શ્રી માણિક સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશ વિશે એક લેસર શોનો કાર્યક્રમ ૨ જાન્યુઆરીએ યોજાયો હતો. ક્રમશ : યોજાયેલા બે શોમાં ૨૦૦૦ અને ૩૦૦૦ ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આવો જ શો અમદાવાદમાં ૬ જાન્યુઆરીના રોજ વસ્ત્રાપુર એમ.પી. થીયેટરમાં ૨૦૦૦ ભાવિકોએ માણ્યો.
૧૨ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે યોજાયેલી વિશાળ શોભાયાત્રાનો વડોદરાનાં મેયર શ્રી જ્યોતિબહેન પંડ્યાએ લીલી ઝંડી લહેરાવીને પ્રારંભ કર્યો હતો. સવારના ૮.૪૫ કલાકે વિવેકાનંદ આર્ટગેલેરી, બદામડી બાગથી શોભાયાત્રા શરૂ થઈ અને ૧૦.૩૦ કલાકે વિવેકાનંદ મેમોરિયલ પહોંચી હતી. વિવિધ સંસ્થાઓના સુંદર ફ્લોટ અને ૧૦૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનો અને ભાવિકજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભાગ લેનારને પ્રસાદ સાથે ‘શક્તિદાયી વિચાર’ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાની નિબંધસ્પર્ધા : સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જ્યંતીના ઉપક્રમે ‘આધુનિક યુવવર્ગની સમસ્યાઓ અને સ્વામી વિવેકાનંદ’ એ વિષય પર અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં રાજ્યકક્ષાની નિબંધસ્પર્ધાનું આયોજન થયું હતું. આ સ્પર્ધામાં ગુજરાતભરની ૧૨૫ કોલેજોના ૯૯૫ વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. આમાંથી શ્રેષ્ઠ નિબંધ લખનાર ૧૦૦ વિદ્યાર્થીઓને વડોદરા બોલાવીને એમની પાસે ફરીથી નિબંધો લખાવ્યા હતા. તેમાંથી ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ૧૨ જાન્યુઆરીની યુવા શિબિરમાં પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મ.સ. યુનિ.નાં ચાન્સેલર ડૉ. શ્રીમતી મૃણાલિનીદેવીના વરદ હસ્તે પારિતોષિક અપાયાં હતાં. પ્રથમ પુરસ્કાર મેળવનાર વેરાવળ મહિલા કોલેજનાં કુ. જ્યોત્સનાબહેન જયરામ વઢવાણાએ યુવાનોને સંબોધન કર્યું હતું. શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલયનાં કુ. રોશની શંકરભાઈ પટેલ બીજા ક્રમે અને સુરતની સરકારી ફિઝિયોથેરપી કોલેજનાં કુ. મૈત્રેયી કુલકર્ણી નિબંધ સ્પર્ધામાં તૃતીયક્રમે આવ્યાં હતાં.
૧૪ જાન્યુઆરીના રોજ સંધ્યા આરતી પછી રાજકોટના શ્રી જીતુભાઈ અંતાણી અને મંડળી દ્વારા ‘શ્રીરામકૃષ્ણ પુરાણ ગાન’નું આયોજન થયું હતું.
રામકૃષ્ણ મિશન, પોરબંદર
દંતચિકિત્સા એકમનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટરશ્રીના વરદ હસ્તે થયું હતું. આ વિભાગ માટે આર્થિક સહાય તન્ના ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી ધનજીભાઈ તન્ના, યુ.કે. દ્વારા મળી છે. ફિઝિયોથેરપીના સાધનો રોટરી ક્લબ, પોરબંદર દ્વારા અપાયાં હતાં.
રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં રાષ્ટ્રિય યુવદિન નિમિત્તે મૂલ્યલક્ષી કેળવણીના ભાગ રૂપે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓનાં ૧૧૨ ભાઈ-બહેનોને જિલ્લા કલેક્ટરશ્રી જયંતકુમાર સેવક, સહાયક જિલ્લા કલેક્ટરશ્રી સી.આર. ચાવડા, ગોઢાણિયા કોલેજના આચાર્યના વરદ હસ્તે પારિતોષિકો અપાયાં હતાં.
Your Content Goes Here




