એ દિવસોમાં વિવિધ ધર્મના મહાત્માઓ દક્ષિણેશ્વરના કાલીમંદિરની મુલાકાતે આવતા અને તે પાવનકારી સ્થળે એકાંતમાં રહેતા. શ્રીરામકૃષ્ણના નિવાસ દરમિયાન એ સ્થળ પાવનકારી અને સ્વગીર્ય ભાવાંદોલનથી ગુંજતું હતું. દક્ષિણેશ્વરમાં અનેક મહાન સંતો પધાર્યા હતા અને શ્રીઠાકુરના સમાગમથી તેમણે આનંદ મેળવ્યો હતો. શ્રીઠાકુરના પ્રેરણાદાયી ઉપદેશથી તેઓ કૃતાર્થ થયા હતા. જ્યારે દક્ષિણેશ્વરમાં આવા કોઈ મહાપુરુષ પધારવાના હોય ત્યારે શ્રીઠાકુર અમને એ મહાપુરુષો પાસે આશીર્વાદ મેળવવા મોકલતા. એક દિવસ હું શ્રીઠકુર પાસે અદ્વૈતવાદીઓની એક મંડળી સાથે ગયો. તે મંડળીના અધ્યક્ષે શ્રીરામકૃષ્ણને કહ્યું; ‘મહારાજ, વારાણસીના ભક્તોને સાથે લાવ્યા છીએ.’ શ્રીઠાકુરે કહ્યું: ‘ખરેખર એમ છે ? તો પછી તમે એવી મંડળી લાવ્યા છો કે જે કહે છે કે ‘હું તે જ છું’. પછી શ્રીઠાકુરે એમને પ્રેમ ઉષ્માથી આવકાર્યા અને બેસવા કહ્યું. એમાંના એક વ્યક્તિએ પૂછ્યું: ‘મહારાજ જે પૂર્ણબ્રહ્મ સર્વવ્યાપક છે, આખા વિશ્વમાં રહેલ છે તે માનવ સ્વરૂપે કેવી રીતે જન્મ લઈ શકે ?’ શ્રીઠાકુરે જવાબ આપ્યોઃ ‘જુઓ ભાઈ, જે પૂર્ણ બ્રહ્મ છે તે સાક્ષી છે અને સર્વવ્યાપી છે. દિવ્યાવતારો તેની શક્તિનાં રૂપે છે. કોઈ જગ્યાએ આ શક્તિ ચોથાભાગની, કોઈ સ્થળે અડધી અને ક્યાંક પૂર્ણરૂપે અવતરે છે. જે સ્વરૂપમાં શક્તિ પૂર્ણરૂપે પ્રગટે છે તે કૃષ્ણની જેમ પૂર્ણ બ્રહ્મ રૂપે ઉપાસ્ય છે.’

-સ્વામી અખંડાનંદ
(Sri Ramakrishna as we saw Him, p.237)

Total Views: 238

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.