રણકાર તો ઘંટનો સરખો જ છે, પણ શાળા એક મંદિર બને તો કેવું!
વિદ્યાર્થીમમદેવ, હું પૂજારી, ને કર્મ પૂજા બને તો કેવું!
ભણતર મટે બોજ, ઉજવીએ ઉત્સવ રોજ, એવું બને તો કેવું!
પરીક્ષાની અંધારી કોટડીમાં, જ્ઞાનનો દિપ જલાવાય તો કેવું!
પળભર રુકી, સ્પર્ધાની હાંફમાં, એકાદ શ્વાસ જીવનનો લેવાય તો કેવું!
સ્વાર્થબુદ્ધિ તેજસ્વી તારકોની, ત્યાગ-સેવાથી રંગાય તો કેવું!
જીવન ઘડતાં, વ્હાલા શિશુનું, ખુદનું જીવન ઘડાય તો કેવું!
શાળા અમારા બન્નેનું એ બંધન, તે મુક્તિનું કારણ બને તો કેવું!
મા શારદાનું બાળ બની, બસ તેની ગોદમાં પોઢી જાય તો કેવું!
– કિરીટ વાઘેલા
Your Content Goes Here




