૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી ટ્રેનમાં જવું પડતું અને ત્યાર પછી ચાલીને કે ખચ્ચર પર બેસીને કે ડોળીમાં બેસીને ૬૫ માઈલ જવું પડતું. ૨૯મી ડિસેમ્બરે તેઓ કાઠગોદામથી બેસશે, એવો તાર સ્વામીજીએ માયાવતી આશ્રમને કરી દીધો હતો. એમની સાથે સ્વામી શિવાનંદજી અને સ્વામીજીના શિષ્ય સદાનંદ હતા. વિરજાનંદજી તરત જ આજુબાજુનાં ગામડાંમાં ફરી વળ્યા અને અથાક પ્રયત્ન પછી જરૂર પડતા મજૂરો લાવ્યા. આ મજૂરોની મદદથી તેઓ ૬૫ માઈલનું પર્વતીય પ્રદેશનું ખાડા ટેકરાવાળું અંતર બે દિવસમાં કાપીને ૨૮ ડિસેમ્બરની મધ્યરાત્રીએ કાઠગોદામ પહોંચ્યા. બીજે દિવસે સવારે ૫ વાગ્યે સ્વામીજીની ટ્રેઈન આવી પહોંચી.

વિરજાનંદને જોઈને સ્વામીજી ખૂબ રાજી થયા. પછીથી જ્યારે વિરજાનંદજીના મજૂરો મેળવવા માટેના ઉપાયચાતુર્ય વિશે અને બે જ દિવસમાં આટલું લાંબું અંતર ચાલીને કાપવા વિશે સાંભળ્યું, ત્યારે તેઓ ખૂબ પ્રસન્ન થયા અને પ્રેમ તેમજ ઉષ્માથી કહ્યું, ‘વાહ, વીર, વાહ ! આ જ છે સાચો શિષ્ય !’

વિરજાનંદ સ્વામીજીની તબિયતની ચિંતા કરતા હતા. રસ્તો ઘણો લાંબો, અતિ કઠિન અને જોખમકારક હતો. સાથે ને સાથે હજી પણ સ્વામીજીને તાવની અસર હતી. સ્વામીજીને ડોળીમાં બેસવા કહ્યું અને બીજા પગપાળા કે ખચ્ચર પર બેસીને ગયા. હિમાલયના આધ્યાત્મિક, શાંત અને નિર્મળ વાતાવરણમાં ફરીથી આવીને સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા. પહેલે દિવસે તેમણે ૧૭ માઈલનું અંતર કાપ્યું અને એક અતિથિગૃહમાં રાતવાસો કર્યો. બીજે દિવસે વરસાદ અને હળવો હિમપાત શરૂ થયો, પરંતુ યાત્રીઓએ આવા હવામાન છતાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. બીજું અતિથિગૃહ હજી થોડા વધારે અંતરે હતું. એ સમય દરમિયાન ડોળી ખેંચનારાઓએ ચા-પાણી અને ધૂમ્રપાન માટે થોડો વિરામ લેવાની વિનંતી કરી. સહાનુભૂતિ અને કરુણાથી સ્વામીજીએ આ વિનંતી માન્ય રાખી. જો કે વિરજાનંદ સ્વામીજીની સહજ સરળતા જોઈને અત્યંત ચિંતિત થયા. વિરજાનંદ પર્વતીય ડોળી ઉપાડનાર મજૂરોની જિદ્દી પ્રકૃતિને કેવી સારી રીતે ઓળખી ગયા ! એક વખત ડોળીવાળા ઊભા રહ્યા કે એમને જરાય આગળ ચાલવાની ઇચ્છા થતી ન હતી. એમનો ભય થોડી જ વારમાં સામે આવીને ઊભો રહ્યો. એ સમયે સંધ્યાના અંધારાનો સમય આજુબાજુની પર્વતમાળાને ઘેરતો જતો હતો. વળી વરસાદ અને હિમવર્ષા પણ સ્પર્ધા કરતાં હતાં. બીજો કોઈ વિકલ્પ જ ન જોતાં રસ્તાની બાજુએ આવેલી એક નાની દુકાનમાં રાત ગાળવાનું નક્કી કર્યું. હિમવર્ષાને લીધે ઠંડી ભયંકર હતી અને નાની દુકાનની અંદરની જૂની પુરાણી આગની ભઠ્ઠી સતત ધુમાડાના ગોટેગોટા ઉડાડતી હતી. ૧૯૦૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખ હતી – ૧૯મી સદીની છેલ્લી રાત.

એમની દુર્દશાનો પ્રતિભાવ પાડતાં સ્વામીજીએ એક કિશોરસહજ પુણ્યપ્રકોપ સાથે સ્વામી શિવાનંદજીને સંબોધીને કહ્યું, ‘કાલીકૃષ્ણ (સ્વામી વિરજાનંદ) તો એક છોકરો કહેવાય, પણ ભાઈ તારક, તમે તો એક વરિષ્ઠ માણસ છો ! કયા શાણપણથી તમે મને આ પર્વતમાળામાં આવી દુર્દશામાં દોરી ગયા ?’ પછી વિરજાનંદ તરફ ફરીને તેમણે ફરીથી કહ્યું, ‘મને અલ્મોડા જવા દીધા વગર કાઠગોદામથી સીધે સીધા માયાવતી જવા માટે તેં શા માટે સમજાવ્યો ?’

પણ વિરજાનંદ તો દરેક રીતે અને શબ્દશ : વિવેકાનંદના શિષ્ય હતા. તેમણે આ ઉગ્રભાવના શબ્દો શાંતિથી સાંભળી લીધા ને પછી મક્કમતાથી જવાબ આપ્યો, ‘પણ સ્વામીજી, ભૂલ તો તમારી છે. આ પહેલાં પણ મેં આપને પર્વતીય ડોળીવાળા વિશે ચેતવણી આપી હતી. વળી આપે એમને થોડો વિરામ કરવાનું કહીને તમે તમારી મેળે જ આ બધી મૂંઝવણ ઊભી કરી છે ! જો તેમણે આટલો વિલંબ ન કર્યો હોત તો આપણે રાત પડતાં જ ડાકબંગલે પહોંચી જાત.’

આવા દૃઢ અને હિમ્મતભર્યા શબ્દો સાંભળીને સ્વામીજી તરત જ એક બાળકની જેમ શાંત થઈ ગયા અને વિરજાનંદને ઉષ્માભર્યા શબ્દોમાં કહ્યું, ‘વારુ, જે બનવાનું હતું તે બની ગયું. મારા ઠપકાને કાને ન ધરતો. શું એક પિતા પુત્ર પર ગુસ્સે થાય નહીં ? ચાલો, અહીં આપણે હવે ગમે તેમ કરીને રાત કાઢી નાખીએ.’

દુકાનદારે એમના સાંજના ભોજનમાં જાડા અને સખત એવા રોટલાના ટુકડા આપ્યા અને પછી બધાએ એ અતિ કઠિન રાત પસાર કરી. વિરજાનંદે સ્વામીજીને યાદ અપાવ્યું કે તે રાત્રી ૧૯૦૦ના ડિસેમ્બરની ૩૧મી તારીખની હતી અને એ ૧૯મી સદીનો હવે અંત હતો અને ૨૦મી સદી આગળ ડગલાં માંડતી હતી. એટલે આવા સંક્રમણકાળમાં આવી રાત ગાળવી એ પણ કદાચ સૂચક હશે. આ સાંભળીને સ્વામીજી વિચારપૂર્વક હસ્યા.

આ ઘટના વિરજાનંદ માટે એક કરતાં વધુ કારણોને લીધે પવિત્ર ઘટના હતી. પછીથી જ્યારે જ્યારે તેઓ આ રાત્રીને યાદ કરતા ત્યારે તેઓ લાગણીવશ થઈ જતા અને એમનો ચહેરો તેજસ્વી બની જતો. એમને હોઠેથી જેમણે જેમણે આ ઘટના સાંભળી છે તેમણે આવી અવસ્થા નિહાળી છે. એક આવી વ્યક્તિ આ ઘટનાને આ રીતે વર્ણવે છે :

‘૧૯૫૦ના માર્ચમાં સ્વામી વિરજાનંદ પટણા આવ્યા હતા. એમના ઉપયોગ માટે સ્વામી શિવાનંદજીએ વાપરેલ પલંગ આશ્રમમાં મોકલવામાં આવ્યો હતો, પણ ગાદલું મેળવવાની સમસ્યા હતી. અંતે અમે પરાળનું (ડાંગરના ઘાસનું) કામચલાઉ ગાદલું બનાવ્યું. બીજે દિવસે સવારે જ્યારે હું એમને પ્રણામ કરવા ગયો ત્યારે મેં તેમને પૂછ્યું, ‘મહારાજ, હું આશા રાખું છું કે આપને કાંઈ મુશ્કેલી નહીં પડી હોય અને પથારી બહુ સખત નહીં લાગી હોય.’ તેઓ હસ્યા અને જવાબ આપતાં કહ્યું, ‘પથારી ઘણી મુલાયમ હતી અને હું ઘસઘસાટ ઊંઘી ગયો.’ આ સાંભળીને મને થોડી નિરાંત અને શાંતિ થઈ અને એ ગાદલું પરાળનું હતું, એમ કહેવાનું મેં સાહસ કર્યું. આ જાણીને તેઓ ઘણા રાજી થયા અને કહ્યું, ‘સારું, મારે કહેવું પડે કે તમે ખરેખર શીઘ્રબુદ્ધિવાળા છો. મને પણ આવો જ અનુભવ થયો હતો. જો કે તમારી સમસ્યા પ્રમાણમાં ઘણી સાદી છે. પણ મારી તો જરાક ગંભીર હતી. હું સ્વામીજી સાથે માયાવતી જતો હતો અને એ વખતે એક નાની ઝૂંપડીમાં બહાર હિમવર્ષા થતી હતી ત્યારે એક રાત ગાળવી પડી હતી. હિમવર્ષા સાથે વાવાઝોડું પણ એટલા જોરથી ફૂંકાતું હતું કે સ્વામી શિવાનંદજીએ બારણા સાથે પીઠ રાખીને આખી રાત બેઠું રહેવું પડ્યું. ત્યાં તો ગાદલા કેે તકિયાની વાત જ ન હતી. એટલે અંતે જ્યાં મારો હાથ મૂકું અને કંઈ પોચું પોચું મળે એને મેં એક ચાદરના ટુકડામાં વીટીં દીધું અને એમાંથી સ્વામીજી માટે એક ઓશીકું તૈયાર કરીને આપ્યું. મેં આખી રાત સ્વામીજીની નજીક બેસીને ગાળી. ઊઠતાંવેંત તેમણે સર્વ પ્રથમ જે કાંઈ કહ્યું તે આ હતું, ‘અરે, ગઈ રાત્રીએ મને કેવી મજાની ઊંઘ આવી ગઈ !’ પછી મેં કેવી રીતે ઓશીકું બનાવ્યું હતું તેની વાત તેમને કરી ત્યારે તેઓ ખૂબ રાજી થયા અને કહ્યું, ‘કાલીકૃષ્ણ! હું જોઉં છું કે તું ખરેખર ઘણો શીઘ્રબુદ્ધિવાળો છે.’

સવાર થતાં સુધીમાં ૧૨ ઈંચ જેટલો હિમપ્રપાત થયો હતો. આ યાત્રાળુની ટુકડી વળી પાછી આગળ જવા ઊપડી. આ પ્રવાસનો એકે એક અંશ સ્વામીજીએ માણ્યો અને એક નાના બાળકની જેમ પ્રસન્ન રહ્યા. પછીની રાત ડાકબંગલામાં ગાળી. બીજે દિવસે હિમ ઓગળવા લાગ્યો અને એ જ દિવસે તેમણે ૨૧ માઈલ જેટલું અંતર કાપ્યું.

યાત્રા અંતની નજીક આવી ત્યારે સ્વામીજી થોડું અંતર વિરજાનંદના ટેકાથી ચાલ્યા. ચાલતાં ચાલતાં તેમણે ટીકા કરતાં કહ્યું, ‘પહેલાં મારા માટે વીશ પચીસ માઈલ ચાલવું રમતવાત હતી. પણ હવે હું કેટલો દુર્બળ થઈ ગયો છું ! આટલું ચાલવું પણ મુશ્કેલ લાગે છે !’ પછી થોડું થોભીને આગળ કહ્યું, ‘જો, બેટા, હવે હું ખરેખર મારા જીવનના અંતની નજીક છું.’ આ સાંભળીને વિરજાનંદજીનું હૃદય જાણે કે બેસી ગયું. અંતે યાત્રાળુની ટુકડી પોતાના નિશ્ચિત સ્થળે યાત્રાના પાંચમા દિવસે એટલે કે ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના રોજ પહોંચી. જો હિમપ્રપાત ન થયો હોત તો તેઓ એક દિવસ વહેલા પહોંચ્યા હોત.

સ્વામીજી માયાવતીમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા, પરંતુ તેઓ દરેકને માટે સતત પ્રેરણા અને આનંદનો સ્રોત બની રહ્યા. હિમાલયની પર્વતમાળાના આ એકાંતમાં પોતાના ગુરુદેવ સાથેના નિકટના સંગાથની સ્મૃતિઓ વિરજાનંદજીના શેષજીવન સુધી સંગ્રહાયેલી રહી.

 

Total Views: 665

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.