શ્રી રામકૃષ્ણનાં દર્શનની ઇચ્છાથી કાલીપ્રસાદ (સ્વામી અભેદાનંદનું પૂર્વાશ્રમનું નામ) એક દિવસ ઈ.સ.૧૮૮૪ના મધ્યમાં કોઈનેય જણાવ્યા વગર દક્ષિણેશ્વર ચાલતા ગયા. રસ્તો અજાણ્યો હતો. દૂર ગયા પછી ખબર પડી કે દક્ષિણેશ્વર તો પાછળ રહી ગયું છે. ત્યારે તેઓ ત્યાંથી પાછા ફર્યા અને બપોરે કાલીમંદિરની ઉત્તર બાજુથી બેલતલા અને પંચવટી પાસે થઈને મંદિરના આંગણામાં પહોંચ્યા. પૂછતાં જાણવા મળ્યું કે પરમહંસદેવ કોલકાતા ગયા છે. રાત્રે પાછા આવશે. બીજો કોઈ ઉપાય ન જણાતાં તેઓ નિરાશ મને અને થાક્યા પાક્યા શરીરે શ્રીરામકૃષ્ણના ઓરડાના ઉત્તર તરફના વરંડામાં બેસી ગયા. તે વખતે ત્યાં એક યુવાન આવી પહોંચ્યો. એ જ શશી હતા, જે પાછળથી સ્વામી રામકૃષ્ણાનંદના નામથી વિખ્યાત બન્યા. શશીનો સંગાથ મળતાં કાલીપ્રસાદને ઘણી જ અનુકૂળતા થઈ ગઈ. શશીને કાલીમંદિરના કર્મચારીઓ સાથે ઓળખાણ હોવાથી તેણે તે બંને માટે પ્રસાદની જોગવાઈ કરી લીધી અને શ્રીરામકૃષ્ણની વાતો કરતાં કરતાં સમય પણ સારી રીતે પસાર થઈ ગયો.
રાત્રે લગભગ નવ વાગે શ્રીરામકૃષ્ણદેવ લાટુની સાથે પાછા આવ્યા અને પોતાના ઓરડામાં જઈને નાના પલંગ પર બેઠા. એ પછી એમણે કાલીપ્રસાદને બોલાવતાં તેમણે ત્યાં જઈને એમને પ્રણામ કર્યા. ઠાકુરે પૂછતાં એમણે પોતાની ઓળખાણ આપતાં કહ્યું : ‘યોગસાધના કરવાની મારી ઇચ્છા છે. શું આપ મને શિખવાડશો ?’ આ પ્રશ્ન સાંભળીને શ્રીરામકૃષ્ણ થોડી વાર મૌન રહ્યા અને પછી બોલ્યા : ‘આટલી નાની ઉંમરમાં તને યોગ શીખવાની ઇચ્છા જાગી છે – આ ઘણું જ સારું લક્ષણ કહેવાય. તું ગયા જન્મમાં યોગી હતો. પણ તારું થોડુંક બાકી રહી ગયું હતું. હવે આ તારો છેલ્લો જન્મ છે. હું તને યોગવિદ્યા આપીશ. આજે આરામ કર. કાલે આવજે.’ નવા અનુરાગની ઉત્કંઠાને લઈને કાલીપ્રસાદને આખી રાત ઊંઘ ન આવી. સવારે બ્રાહ્મમુહૂર્તમાં શ્રીરામકૃષ્ણે બોલાવતાં તેઓ તેમની પાસે જઈ પહોંચ્યા. પૂછતાં ઠાકુરને ખબર પડી કે તેઓ ‘એન્ટ્રંસ કલાસ’માં ભણે છે અને યોગશાસ્ત્રથી પરિચિત છે. એ પછી તેઓ કાલીપ્રસાદને આનંદપૂર્વક ઉત્તરના વરંડામાં લઈ ગયા અને ત્યાં એક બાજોઠ પર યોગાસનમાં બેસાડ્યા. પછી પોતાના જમણા હાથની વચલી આંગળીથી એમની જીભ ઉપર બીજમંત્ર લખ્યો અને પછી એ જ હાથે એમના હૃદયની ઉપરની બાજુ શક્તિને ખેંચી. એ સાથે જ કાલીપ્રસાદ ગહન ધ્યાનાવસ્થામાં લીન થઈ ગયા. થોડા સમય પછી જ્યારે ઠાકુરે શક્તિને ફરીથી ખેંચીને નીચે ઉતારી એટલે તેઓ બાહ્ય ચેતનામાં પાછા આવી ગયા. એ પછી ઠાકુરે એમને ધ્યાન વગેરે બાબતમાં ઉપદેશ આપ્યો અને તેમને ધ્યાનમાં જે દર્શન થાય, તે બધું તેમને જણાવતા રહેવાનું કહ્યું. કાલીપ્રસાદ અપરિણિત છે, એ જાણીને એમને વિવાહ કરવાની મનાઈ કરી. એ પછી કાલીપ્રસાદે કાલીમંદિરમાં થોડો સમય ધ્યાન કર્યું અને પછી ઠાકુરને પ્રણામ કરી એમની વિદાય લીધી. વિદાય વેળાએ ઠાકુરે એમને મીઠાઈનો પ્રસાદ આપતાં કહ્યું : ‘ફરી આવજે. જો પૈસાની સગવડ ન થાય તો અહીંથી આપવામાં આવશે.’ એ દિવસે એક સદ્ગૃહસ્થ ગાડીમાં કોલકાતા જઈ રહ્યા હતા. તેમણે ઠાકુરની ઇચ્છાનુસાર કાલીપ્રસાદને પણ ગાડીમાં બેસાડી દીધા.
(૧૧મી સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદની જન્મતિથિ પ્રસંગે)

Total Views: 618

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.