‘સત્ય એ શ્રીઠાકુર છે, પ્રેમ એ સ્વામીશ્રી છે અને કરુણા એ શ્રી માતાજી છે.’

શ્રીઠાકુરનાં ચરણમાં વંદન કરીને હું મારાં કેટલાંક સંસ્મરણો અહીં આપની સમક્ષ રજૂ કરું છું.

લગભગ છ એક મહિના પહેલાં એવા સમાચાર મળ્યા હતા કે, વિશ્વમાં રામચરિત માનસની પોથી દ્વારા આપણા અવતાર પુરુષ ભગવાન શ્રીરામને ખૂણે ખૂણે સુધી પહોંચાડનાર એમના પરમ ભક્ત એવા પ્રિય અને પૂજ્ય શ્રી મોરારિબાપુ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં બેલુર મઠના પ્રાંગણમાં શ્રીરામકથાનું ગાન કરશે. આ સમાચાર વાંચ્યા ત્યારથી રોમાંચિત હતો. એનાં બે કારણો હતાં : એક તો, બેલુર મઠ નામ પડે કે તરત જ એમ થાય કે આપણે ત્યાં દોડી જઈએ અને ઠાકુરનાં ચરણમાં જઈને સ્વામી અને માતાજીના સાનિધ્યમાં આપણે ધ્યાનસ્થ થઈએ. એવો લહાવો ભાગ્યે મળતો હોય છે કે તમે એક સાથે ઘણા બધા દિવસ કોઈ સંકલ્પથી ત્યાં રોકાઈ શકો, નિવાસ કરી શકો અને આ પરમ વિભૂતિઓનું સાનિધ્ય અને એમની નિશ્રા માણી શકો. અને બીજું, શ્રી મોરારિબાપુના શ્રીમુખેથી ગવાનાર શ્રીરામ કથાનો શ્રવણ-લાભ. ખરેખર એ બન્યું તારીખ ૩ જૂન ૨૦૨૩ થી લઈને છેક ૧૧ મી જૂન ૨૦૨૩ સુધી. શ્રીરામકથાનું ગાન થયું ત્યાં કથાના આરંભના આગલે દિવસથી શ્રીઠાકુરના પરિસરમાં આપણને પ્રવેશ કરવાનો ધન્ય લાભ મળ્યો. શ્રીવિવેકાનંદ અતિથિ ભવનમાં એક સુંદર, સુઘડ, સ્વચ્છ છતાં સાદી એવી શાંત રૂમમાં નિવાસ મળેલો, પરિણામે આપણે પોતે જાણે કે સ્વામીજીએ કરી આપેલી વ્યવસ્થામાં ગોઠવાયેલા હોઈએ એટલો બધો આનંદ પ્રાપ્ત થયેલો. કથાના આયોજકો દ્વારા સવારના નાસ્તા, ભોજન વગેરેની સઘળી વ્યવસ્થા બહુ સુપેરે કરવામાં આવી હતી. બીજી જૂનની ઢળતી સંધ્યાએ કથા આયોજકોની એક સરસ ગાડીમાં સ્વામી શ્રીવિવેકાનંદ અતિથિ  ભવન તરફ પ્રયાણ કર્યું ત્યારે રસ્તામાં આવતા ત્રિપુટીનાં જુદાં જુદાં સ્થાનકો અને પશ્ચિમ બંગાળની ભવ્ય એવી પારંપરિક સંસ્કૃતિના દૃષ્યો જોઈને હૃદય પુલકિત થયું. ત્રીજી તારીખે બપોરના ભાગમાં કથાનો આરંભ થવાનો હતો પરંતુ સવારના વિવેકાનંદ અતિથિ ભવનથી લઈને બેલુર મઠના મોટા વિશાળ પ્રવેશ દ્વાર પાસેથી પસાર થવાનું બન્યું એ જ સમયે અચાનક સ્થાનિક પોલીસેએ આજુબાજુના ટ્રાફિકને થોડીવાર થંભાવી દીધો અને એક સાથે બે ત્રણ ગાડીઓ નીકળી, જેમાં પૂજ્ય શ્રી મોરારિબાપુ બેલુરમઠનાં દર્શને જઈ  રહ્યા હતા. યોગાનુયોગ એવો બન્યો કે બાપુની નજર મારા પર પડી અને તેઓએ ગાડી ઊભી રાખવા માટે વિનંતી કરી. તરત જ પાસે જઈને ‘જય સિયારામ’ કહ્યા અને બાપુએ વ્યવસ્થા બધી બરાબર છે કે નહીં એ પૂછીને આપણા પ્રત્યે પોતાની લાગણી દર્શાવી (શ્રી મોરારિબાપુ માટે માત્ર હું નહીં પણ અનેક નાના નાના શ્રાવકો અને ભક્તો એવું કહેતા હોય છે કે, આપણી  સગવડતાની નાનામાં નાની ચિંતા પણ બાપુ કરતા હોય છે. મને પણ આવા અનેક અનુભવ થયા છે, પણ બેલુરમઠના પ્રવેશદ્વાર ઉપર થયેલો આ અનુભવ મારા જીવનની  એક માન્યતાને સાચી પાડવા માટે કાફી હતો.) સવારના પૂજ્ય બાપુએ આખા પરિસરની અંદર જુદી જુદી જગ્યાઓએ આવેલા શ્રીઠાકુર, સ્વામી શ્રીવિવેકાનંદજી અને શ્રીમાતાજીનાં વૃક્ષ આચ્છસાદિત સ્થાનકો અને એમનાં ધ્યાન મંદિરો અને એમની પાછળ વહેતી ગંગાના ખળખળતા પ્રવાહના બહુ જ નિરાંતે દર્શન કર્યા. અનેક સંતો, મઠાધિપતિઓ, સ્વામીઓ, જુદી જુદી જગ્યાની વિગતો બાપુને આપી રહ્યા હતા. લગભગ બે કલાક જેટલો સમય તેઓએ ત્યાં વિતાવ્યો હશે. મને આનંદ એ વાતનો હતો કે આવ્યાના પહેલા જ દિવસે હું બેલુરમઠના પ્રવેશદ્વારમાંથી છેક બેલુરમઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં પહોંચ્યો અને ત્યાં શ્રીઠાકુરની પ્રભાવક પ્રતિમા જોઈને ભાવ ભરી લાગણી અનુભવી. થોડી ક્ષણ માટે એવી પ્રતીતિ થઇ કે હું આપણા રાજકોટના શ્રીરામકૃષ્ણ મંદિરની અંદર બેઠો છું, કારણ રાજકોટમાં મંદિર છે તે બેલુરમઠના મંદિરની પ્રતિકૃતિ છે.

ત્રીજી તારીખે સાંજે કથાનો આરંભ થયો અને કથાના આરંભમાં પોથી સાથે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના સ્વામીઓ, અધ્યક્ષશ્રી, સેક્રેટરીશ્રી વગેરે પધાર્યા. બાપુની સાથે વ્યાસપીઠ ઉપર તેઓએ સ્થાન લીધું અને કથાનો આરંભ થયોં. પ્રારંભિક જે કોઈ સ્તોત્ર ગાન વગેરે હોય એના પછી શ્રીરામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સ્વામીશ્રીએ ઉદ્‌બોધન કર્યું અને એમણે એવું યાદ અપાવ્યું કે, “આ બેલુરમઠના પ્રાંગણમાં થતી પહેલી રામકથા છે જે પૂજ્ય મોરારિબાપુ ગાન કરી રહ્યા છે.” એમણે સ્થળ વિષે પણ પરિચય આપ્યો કે, બેલુરમઠ પરિસરમાં જે સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટીનું પ્રાંગણ છે, જ્યાં બહુ મોટી સ્કૂલ પણ છે, એના પ્રાંગણમાં અત્યારના કોઈ વર્ગો ન હોવાથી અનુકૂળતા થઇ ગઈ છે અને ત્યાં જ સાત્ત્વિક અન્નક્ષેત્ર પણ ચાલ્યું અને પંડાલની અંદર કથાગાન પણ થયું. કથાના આયોજક દ્વારા ગરમી ન લાગે એટલે લગભગ ૨૫ થી ૩૦ હજાર લોકો બેસી શકે એટલા મોટા સભામંડપને સેન્ટ્રલી એસીની વ્યવસ્થાથી અલંકૃત કરવામાં આવ્યો હતો કે  જેથી કરીને સૌ અનુકૂળતાથી અને પ્રસન્ન ચિત્તે કથા પાન કરી શકે. ઉદ્‌ઘાટનમાં સ્વામીશ્રી એ યાદ અપાવી, આખી એક પરંપરા છે કે જે પરંપરાને શ્રીઠાકુર અને તેના પરમ શિષ્ય સ્વામી શ્રી વિવેકાનંદ અને બીજા શિષ્યો દ્વારા આજની ઘડી સુધી સાચવીને સેવા અને સ્મરણ એ બે કાર્યો ઉમદા રીતે થઇ રહ્યાં છે. તેઓએ પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને શ્રી બાપુનું હાર્દિક સ્વાગત કર્યું. સભામંડપમાં એક આખો ભાગ શ્રીરામકૃષ્ણ આશ્રમના સ્વામીઓ માટે સોફાની વ્યવસ્થા સાથે અલાયદો રાખવામાં આવ્યો હતો. લગભગ રોજ તેમાં જુદા જુદા સ્વામીઓ સતત કથાપાન કરવા આવતા હતા.

શ્રી બાપુ થોડી વિશિષ્ટ ભૂમિકામાં હતા, કારણ કે અન્યત્ર જ્યાં કોઈ કથા હોય ત્યાં તેઓ શ્રીરામકૃષ્ણ દેવને એમના પ્રસંગો, એમનું સ્મરણ કરતાં કરતાં ને આંખો  ભીની કરતા મેં પોતે જોયા છે. એ બાપુએ આજે શ્રીઠાકુરનાં ચરણોમાં બેસીને આ ત્રિપુટી વિશેની વાત કરવાની હતી અને મને એવું કહેવાનું મન થાય કે તેઓ ભાવપૂર્વક આ કથા કહેવામાં એવા વહ્યા કે લોકો પણ એમની સાથે શ્રીઠાકુરનાં ચરણની નજદીક સરતા રહ્યા. બાપુએ વિનયપત્રિકાના એક ઉલ્લેખથી કથાનો આરંભ કર્યો અને કથાના આરંભ પહેલાં એણે કહ્યું કે, સવારના હું આખા પરિસરમાં નિરાંતે બહુ શાંતિથી ફર્યો છું. હજુ પણ મુખ્ય મહારાજને મળવા ફરી એકવાર જવાનો છું પણ મને એવું લાગે છે કે, આ જે ત્રિપુટી છે અને બીજા સ્વામી બન્ધુઓ છે એના વિષે ભલે આપણે માનીએ કે તેઓ અહીંયા નથી પણ મને લાગે છે કે, યહાઁ સે કોઈ ગયા નહીં હે. એમણે આ સૂત્રને વિસ્તારતાં એવું પણ કહ્યું, વૈસે કહો તો યહાઁ સે કોઈ જાતા હી નહીં હૈ !! એમનું આ વિધાન ઘણા લોકોને પોતાના પિતૃઓ પોતાની સાથે છે એનો અહેસાસ કરાવી ગયું.

કથા આરંભ પહેલાં શ્રી મોરારિબાપુ પોતાની લાક્ષણિકતા મુજબ રામચરિત માનસની ગાથાનું ગાન કરતાં કરતાં દરેક કથાને કોઈ કેન્દ્રીય વિચારથી જોડી દે છે. અહીંની આ કથાનો કેન્દ્રીય વિચાર હતો માનસ પરમહંસ. એટલે કે નવ દિવસ તેઓના સંવાદનું કેન્દ્રબિંદુ પરમહંસ રહ્યું. બાપુ પ્રત્યેક કથાના કેન્દ્રસ્થ બિંદુને શ્રીરામચરિત માનસની કોઈ ચોપાઈ કે દોહા સાથે સાંકળે છે અને તેને મધ્યમમાં રાખી નવ દિવસ કથા ગાન કરે છે. બેલુર મઠની આ કથાની ચોપાઈ હતી અયોધ્યા કાંડ માંથી 232 મો દોહો.

સગુનુ ખીરુ અવગુન જલુ તાતા। મિલઈ રચઈ પરપંચુ બિધાતા॥
ભરતુ ‘હંસ/ રબિબંસ તડાગા। જનમિ કીન્હ ગુન દોષ બિભાગા॥

વિનયપત્રિકામાં દર્શાવ્યા પ્રમાણે મોક્ષના ચાર દ્વારપાળથી બાપુએ કથાનો આરંભ કર્યો અને મોક્ષના ચાર દ્વારપાળમાં શાંતિ, વિચાર, સંતોષ અને સાધુસંગ, આ ચાર દ્વારપાળથી મોક્ષ પ્રાપ્ત થાય છે. સાધુસંગનો અર્થ સાધુસંગમ અથવા તો સત્સંગ. બાપુનો એક નિષ્કર્ષ હતો કે, ગુરુ શિષ્યની ચિંતા કરે છે પણ શિષ્યે ગુરુનું ચિંતન કરવાનું છે. આ વાતની પુષ્ટિ કરતાં તેમણે ઠાકુરનો એક પ્રસંગ ટાંક્યો કે ઠાકુર સ્વામી વિવેકાનંદ વિષે હંમેશાં એવું કહેતા કે, નરેન ઊંઘમાં તેજ શ્વાસ લે છે. માતાજીને કહેતા કે નરેન ઊંઘતો હોય ત્યારે બહુ તેજ શ્વાસ લે છે. શ્રીમા પૂછતાં કે,..પણ તેથી શું ? ઠાકુર કહેતા કે, ‘ મને ચિંતા થાય છે કે જે ઊંઘમાં તેજ શ્વાસ લે તેનું આયુષ્ય અલ્પ હોય છે.’ આ વાત કરીને તેમણે ગુરુ શિષ્યની ચિંતા કરે અને શિષ્યએ ગુરુનું ચિંતન કરવું એ વાતને પુષ્ટિ આપી. બાપુએ પોતાની લાક્ષણિકતા મુજબ ત્રણ શબ્દો ફરીવાર કોઈન કર્યા એમણે કહ્યું કે, સિદ્ધિ ખુદ પોતે પ્રાપ્ત કરવી રહે છે. પ્રસિદ્ધિ માટે ઉપકરણો અને માધ્યમોની જરૂર પડે છે, જયારે શુદ્ધિ સદ્‌ગુરુની કૃપાથી જ શક્ય બને છે. સ્વામી વિવેકાનંદની પૂર્ણ શુદ્ધિનો શ્રેય તેમના સદ્‌ગુરુ શ્રીરામકૃષ્ણદેવને જાય છે. કોઈએ ઠાકુરને પૂછ્યું કે, સત્યની વ્યાખ્યા કઈ? તો ઠાકુરે સુંદર જવાબ આપ્યો: સત્યની ઉત્કૃષ્ટ વ્યાખ્યા એટલે પ્રેમ. બાપુએ ઉમેર્યું કે, ‘પૂણ્ય એટલે શું?’… ‘પરમ પ્રેમ એ પુણ્ય છે.’ અને ‘પાપ એટલે શું?’ તો કહે ‘સખત નફરત અથવા ઘૃણા એ પાપ છે.’  બાપુએ પંચદેવની પૂજાની વાત કરી કહ્યું : ગણેશ,સૂર્ય, વિષ્ણુ, મહાદેવ અને ગૌરી આ પંચદેવને પૂજીએ ત્યારે આપણે વિવેક, પ્રકાશ, તેજ, વ્યાપકતા, કરુણાનું પૂજન કરીએ છીએ. આપણામાં તે ઉતરે એવું આહ્‌વાન કરીએ છીએ. હકીકતમાં આ પંચદેવનાં લક્ષણો એ આપણા ગુરુનાં લક્ષણો છે.

બીજા દિવસની કથાના આરંભમાં એક સુંદર મજાનું સૂત્ર બાપુએ આપ્યું કે, સામર્થ્ય હો ફિર ભી સબસે સમભાવ રખે વો પરમહંસ હૈ. સામર્થ્ય ઘણા લોકો પાસે હોય છે, પણ સામર્થ્ય આવ્યા પછી એ બધા સાથે સમભાવ રાખી શકતા નથી. પરિણામે સામર્થ્ય હોવું અને છતાં સમભાવ રાખવો એ પરમહંસનું લક્ષણ છે. બાપુએ કહ્યું કે, પરમતત્ત્વ કૌતુકી હોતા હૈ. સૂર્ય જેવા મૂલ્યવાને છુપાઈ જવું પડે છે. રજોગુણથી સૂર્યને કોઈ ઢાંકે, વાદળ છવાઈ જાય, આકાશ ધૂળથી ઢંકાઈ જાય ત્યારે અંધકાર થાય છે. બાપુએ પોતાની ત્રિભુવનીય શબ્દ ત્રિપુટી સત્ય, પ્રેમ અને કરુણાને બેલુરમાં સ્થિત ત્રિપુટી સાથે સુંદર રીતે જોડી આપી, એમણે કહ્યું કે, સત્ય એ શ્રીઠાકુર છે. પ્રેમ એ સ્વામી શ્રી છે અને કરુણા એ શ્રીમાતાજી છે. ઠાકુર દિનમેં સંસારી રહેતે થે, વો રાતકો સંન્યાસી હો જાતે થે. પ્રેમમાર્ગ જ્ઞાનકો ખીચ લાતા હૈ. તમે પ્રેમથી ભરચક ત્યારે જ બની શકો જયારે તમે જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન સાથે સમજ આવે અને સમજણ માર્ગથી જ તમે પ્રેમ સુધી વળી શકો. શ્રદ્ધાના ત્રણ પ્રકારો બાપુએ ગણાવ્યા: શાસ્ત્ર નિહિત શ્રદ્ધા, સ્વયંની શ્રદ્ધા અને ગુરુદત્ત શ્રદ્ધા. કેટલાક શાસ્ત્રોને વાંચ્યા પછી આપણામાં શ્રદ્ધાનું આરોપણ થાય છે. કેટલુંક પોતાની સાધના પછી પોતાને જે સત્ય પ્રાપ્ત થાય એને આધારે શ્રદ્ધા પ્રાપ્ત થાય છે. પણ કેટલીક શ્રદ્ધા માત્ર ગુરુદેવ દ્વારા આપણને આરોપિત કરવામાં આવે અને એ આરોપિત કરવાનું નામ આપણી શ્રદ્ધા છે. ઠાકુર કહેતા કે, શ્રીકૃષ્ણ કે દર્શન મુઝે મેરા પુરુષ હોના બાધા કરતા હૈ. આ વાક્યને કહ્યા પછી ભાવવિભોર અવસ્થામાં બાપુએ મોરપિચ્છ શું છે તેની એક સુંદર સમજ આપણી સમક્ષ મૂકી અને બાપુએ કહ્યું કે મોરપિચ્છની અંદર વચ્ચેના ભાગમાં એની મેળે થતો આકાર એક સ્ત્રૈણ મુદ્રાનો આકાર છે. અને પરિણામે ઠાકુરે કોઈ જાતના છોછ વગર કહ્યું કે, શ્રીકૃષ્ણ કે દર્શનમેં  મુઝે મેરા પુરુષ હોના બાધા કરતા હૈ.

ત્રીજા દિવસે ફરી એકવાર શ્રીઠાકુર, સ્વામી અને શ્રીમાને તેઓએ વિવેક સાથે જોડીને કથાનો આરંભ કર્યો. તેમણે પરમહંસ, હંસ અને રસ હંસીની  એવા ત્રણ સૂત્રો પણ સાથે જોડ્યા. પૂજ્ય બાપુના કહેવા પ્રમાણે: શ્રીઠાકુર વચન વિવેક છે અને વચન વિવેક હોય તે પરમહંસ છે. સ્વામી વિવેકાનંદ વિચાર વિવેક છે. વિચાર વિવેક હોય તે હંસ છે. અને શ્રીમા વર્તન વિવેક છે અને એમનું આ વર્તન વિવેકીપણું એ રસ હંસીનીનું લક્ષણ છે. એક વાક્ય તેઓએ ટાંક્યું કે, ગુરુ પ્રતીક્ષા કરતા હૈ. ગુરુનો સ્વભાવ છે પ્રતીક્ષા કરવાનો. બાપુએ ભગવાન શિવ અને મહાકાલ પ્રત્યેની પોતાની અપાર શ્રદ્ધાને પ્રસ્તુત કરીને એવું પણ કહ્યું કે, મહાકાલ આદિ પરમહંસ હૈ. પરમહંસની દુનિયાના શિરમોર એ મહાકાલ છે. વિચાર નિરાકાર હૈ, વિચાર ઉચ્ચાર મેં આતા હે તો વહ સાકાર હો જાતા હૈ..

બુદ્ધ પુરુષને ત્રણ આંખો નિર્મિત કરે છે. એટલે કે બુદ્ધ પુરુષનું નિર્માણ ત્રણ આંખો દ્વારા થાય છે.(૧) મા ની આંખ (૨) બાપની આંખ અને (૩) ગુરુની આંખ. વિચાર નિરાકાર થાય ત્યારે રામનામ ઉપકરણ બને છે. એ નિરાકારમાંથી સાકાર થવા માટે વચ્ચે રામનામનું ઉચ્ચારણ જરૂરી બને છે. મોરારીબાપુએ કહ્યું કે, મારી સાવિત્રીમાની દૃઢીભૂત દૃષ્ટિ અને મારા પ્રભુદાસ બાપુની દિવ્ય દૃષ્ટિથી મને મારા સંસ્કારો પ્રાપ્ત થયા છે. બાપુએ પોતાના આહ્‌લાદક સ્વભાવમાં સુંદર મજાનો શેર ટાંક્યા કે,

સમંદર કે જેસે એ નયન તુમ્હારે, મેં ચલા આ રહા હું કિનારે કિનારે
ઈતના અનુભવ તો અવશ્ય હો ગયા હૈ, વો હૈ  હમારે ઓર હમ હે તુમ્હારે.

તૃષ્ણાની નિતાંત આવશ્યકતાને ભાર દઈને સમજાવતાં બાપુએ કહ્યું કે, તૃષ્ણા કી નિતાંત સમાપ્તિ મુક્તિ કા માર્ગ હૈ. મનુષ્ય દેહ મળ્યો એ આપણા માટે આપણને મળેલો સૌથી મોટો એવોર્ડ છે, પછી કોઈ એવોર્ડની જરૂર નથી. બાપુએ ચાર સૂત્રો જોડ્યા : ન આધિ, ન વ્યાધિ, ન ઉપાધિ તો સમાધિ. ન આધિ એટલે શરીરપ્રધાન નહીં, ન વ્યાધિ એટલે મનપ્રધાન નહીં, ન ઉપાધિ એટલે ચૈતસિકપ્રધાન નહીં તો સમાધિ એટલે કે ચૈતસિક વિક્ષેપ વગરની અવસ્થા. આવો સુંદર ઘાટ ઘડીને તેઓએ પરમહંસ રામકૃષ્ણદેવને આ સમાધિના પુરુષ કહ્યા. જો અદ્‌ભુત હો, જો અનુભૂત હો ઓર જો અવધૂત હો વો પરમહંસ હૈ. શ્રીરામકૃષ્ણદેવ સાથે કથાનો સતત નાતો જોડી રાખીને કેન્દ્રવર્તી વિચારની વાત કરતાં કરતાં બાપુએ આવા વાક્યો કહ્યા. બાપુએ રામચરિત માનસના રાજા જનકને અષ્ટાવક્ર અને શુકદેવની સાથે કેવી રીતે નાતો રહ્યો એ પોતાની વાતમાં જોડીને કહ્યું. એમના કહેવા પ્રમાણે અષ્ટાવક્ર અને શુકદેવ એ પરમહંસ છે અને બંને પરમહંસની વચ્ચે જનક રાજા બરાબર પીસાઈને બેઠા છે. તેમણે સેન્ડવીચમાં રહેલા બટેટાનું ઉદાહરણ આપીને કહ્યું કે બે પડની વચ્ચે દબાઈને રહે છે ત્યારે એ સેન્ડવીચનો સ્વાદ આપણને મળે છે. તો ઉપરનું એક પડ એ અષ્ટાવક્ર છે, નીચેનું એક પડ એ શુકદેવજી છે અને વચ્ચે જનક રાજા છે. બાપુએ કહ્યું કે, બે પરમહંસની વચ્ચે ઘડાયા તે જનક પરમહંસ છે. બંને બાજુ પરમહંસ છે એની વચ્ચે દબાઈને એમાંથી પ્રાપ્તિ કરીને જેનું ઘડતર થયું તે પરમહંસ છે. પ્રેમમાર્ગ ઉપર ચાલવું, એમ સૌ કહે છે પણ પ્રેમમાર્ગ ઉપર ચાલવું અઘરું છે. પ્રેમમાર્ગ કી દો બાધાએ હૈ :  (૧) અન્યત્ર મોહ (૨) કેવલ દુષિત સંદેહ. હમ પ્રેમ માર્ગ પે ચલતે ચલતે હી અન્યત્ર હમારી નજર ફૈલાતે રહેતે હૈં  ઓર પ્રેમમાર્ગ મેં ચલતે ચલતે ભી હમે કભી એસા લગતા હૈ કિ યહ સબ ક્યા હો રહા હે?

પ્રેમમાર્ગની વાત કરતા એક સુંદર સૂત્રપાત બાપુએ કર્યો કે, શ્રીરામકથા પ્રસન્નતા કી નવ દિવસીય શિબિર હૈ. શ્રીરામકથા એ શિબિર છે, જેમાં તમારે સઘળું આત્મસાત્‌ કરવા માટે બેસવાનું છે અને ગ્રહણ કરવાનું છે અને તો તમને પ્રસન્નતાની પાક્કી ખાતરી આપવામાં આવે છે. એક અંગુલિનિર્દેશ પણ થયો કે, મોહ અને સંદેહનો નાશ કરવા માટે વિશ્વાસ અને શ્રદ્ધાની શાદી કરવી જરૂરી છે.

ચોથા દિવસના આરંભમાં ફરી એકવાર ત્રણ મુખ્ય પાત્રોને લઈને બાપુએ જ્ઞાન, કર્મ અને ભક્તિને સમજાવ્યા. તેઓના મતાનુસાર, જનકરાજા એ જ્ઞાન છે, અનસૂયા એ કર્મ છે અને જાનકી એ ભક્તિ છે. પતંજલિ યોગસૂત્ર એવું કહે છે કે, ‘યોગશ્ચિત વૃત્તિ નિરોધઃ’ એટલે કે યોગ નિશ્ચિત વૃત્તિનો અનુરોધ. બાપુએ સુધારો કર્યો એ સૂત્રમાં. પતંજલિએ નિરોધની વાત કરી એમના ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરે છે, જયારે હું એવું કહેવા માંગુ છું કે, ‘યોગશ્ચિત વૃત્તિ અનુરોધઃ’, એમનો અનુરોધ થવો જોઈએ. વેશધારી નહીં પણ વૃત્તિધારી માણસ હોય એને ભજનીય ગણવો જોઈએ. વિનોબાજી બાપુને બહુ જ પ્રિય પાત્ર છે. વિનોબાજીનું સ્મરણ કરીને તેઓએ કહ્યું કે, ૧% વાંચો, ૨% વિચારો, ૪% આચરણમાં મૂકો, ૮% ભાવમાં ઉતારો અને ૧૬% પ્રસન્નતામાં ફેરવો. જો આટલું થશે તો તમે જે પ્રસન્નતાની શિબિરમાં બેઠા છો ત્યાં તમને ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે. આ જ રીતે બીજા ચાર સૂત્રો શોભા, શીલ, રૂપ અને ગુણની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. જે તપસ્યાથી આવે છે તેને શોભા અથવા આભા કહે છે, જે મનને આકર્ષે છે તેને શીલ કહે છે, જે નેત્રને આકર્ષે તે રૂપ છે અને જે બુદ્ધિને આકર્ષે છે તે ગુણ છે. બાપુએ ભગવાન રામને પોતાના દ્વાર લાવી શકનાર બે આપણી શાસ્ત્રીય નારીઓનો ખાસ ઉલ્લેખ કરી ભાવાંજલિ અર્પણ કરી. તેઓના મતે એક જગ્યાએ ધૈર્ય જીત્યું છે, બીજી જગ્યાએ પ્રતીક્ષા જીતી છે. અહલ્યાનું ધૈર્ય એટલું હતું કે પાષાણ બનીને પડી રહી, પણ એણે ભગવાન રામને પોતાના દ્વારે નોતર્યા. જયારે શબરીની પ્રતીક્ષા એટલી અપાર હતી, વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી કે આવશે, રામ આવશે અને ખરેખર ભગવાન રામે તેમના ઘરે દ્વાર ઉપર પધરામણી કરવી પડી. સમગ્ર સમાજને એક સંકેત કરતાં તેઓએ કહ્યું કે, પ્રત્યેક સંતાનમાં આંખ છે એ મા પાસેથી આવે છે, અવાજ છે એ બાપ પાસેથી આવે છે અને બુદ્ધિતત્ત્વ એટલે કે સમજ એ ગુરુદેવ પાસેથી આવે છે. આપણે આજે ગુરુદેવનાં ચરણમાં બેઠા છીએ ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે, હે ઠાકુર, અમને આંખ અને અવાજ તો મળ્યા છે, પણ હવે સાચી દ્રષ્ટિ જોઈએ, હવે સાચી વાણી જોઈએ અને હવે સાચી સમજ જોઈએ એ તમે અમને આપો. એક વાત યાદ રાખવા જેવી છે કે, ભૂતકાળનો શોક હોઈ શકે, વર્તમાનમાં સંશય હોઈ શકે અને ભવિષ્ય માટે ચિંતા હોઈ શકે.

પાંચમા દિવસના આરંભે શ્રી બાપુએ શ્રોતાનાં લક્ષણોની વાત કરી અને શ્રોતાનાં લક્ષણો વર્ણવતાં તેમણે સુશીલ, સુમતિ, કથારસિક, હરિતા, તૃષ્ણા એવા લક્ષણો આપણી સમક્ષ વર્ણવ્યા. એમાં પણ તૃષ્ણાને ત્રણ પ્રકારે વર્ણવી. (૧) ધનેશણા અથવા વિત્તેષ્ણા (૨) લોકેશણા અને (૩) વંશેષણા અથવા સુત્તેષ્ણા આ આપણી એષણાઓ, આપણી આકાંક્ષાઓ, તરસ હોય છે કે, મને ધન પ્રાપ્ત થાય, મને લોકોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય અને મને વંશની સંતાનની પ્રાપ્તિ થાય. પરમહંસનાં બાર શાસ્ત્રોક્ત લક્ષણો બાપુએ વર્ણવીને શ્રીઠાકુરને પરમ ચૈતસિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એમણે કહ્યું પરમહંસ હંમેશાં સમીપ છે. આપણી નજીક છે. આપણી સાથે છે. એનાં લક્ષણો જો આપણે શોધવા હોય તો શાસ્ત્ર એમ કહે છે કે, (૧) આત્મસાક્ષી (૨) વિભુહુ એટલે વિભૂતિ નહીં વિભુ (૩) પૂર્ણ (૪) એકો (૫) મુક્તચિત્ત  (૬) ક્રિયા (૭) અરુંગો (૮) વિસ્પૃહ (૯) શાંતો (૧૦) બ્રમાત (૧૧) સંસારવાનિવ (૧૨) કુટસ્થ. હકીકતમાં “બોધમ અદ્વૈતમ આત્માનમ પરિભાવય આભાસો.” શ્રોતાઓ જયારે કોઈ પણ સ્થાને શ્રવણ કરવા જાય ત્યારે એણે પૂર્ણ શ્રોતા બનીને જવું જોઈએ. ટીકાકાર બનીને કે વિવેચક બનીને શ્રવણ કરવું યોગ્ય નથી. શુક કી પ્રતીક્ષા પરિણામ લાયી હે. શ્રોતા પરીક્ષિત મિલ ગયા થા ઇસલિયે શુક કી પરીક્ષા કો એક લક્ષ્ય મિલા થા. પ્રસાદ મતલબ મનની પ્રસન્નતા. નૃત્ય એ વૈશ્વિક મુખરતા છે. ઠાકુરને અનેક વખત ભાવસમાધિમાં નૃત્ય કરતા આપણા શાસ્ત્રોએ જોયા છે અને આજે પણ આપણને એક વિશિષ્ટ મુદ્રામાં બેલુર મઠમાં ઠાકુરનું જે પૂરા કદનું ચિત્ર દેખાય છે એમાં તેમની નૃત્ય મુદ્રા દેખાય છે તેમાં આપણને ખ્યાલ આવે કે તેઓ વૈશ્વિક મુખરતા પ્રાપ્ત કરી રહ્યા છે. ઘણા આવી રીતે ભાવસમાધિમાં નૃત્ય કરનાર કે પોતાની મસ્તીમાં ઘૂમનારને પાગલ કહેતા હોય છે, પણ નાનકદેવે પાગલની સરસ વ્યાખ્યા આપી. જો ગલ કો પા લે વહ પાગલ હૈ. શ્રીઠાકુરે ખરેખર એની પ્રાપ્તિ કરી હતી. શીલવાન હટ જાતા હે, બલવાન હટાકર આગે જાતા હૈ.. શીલવાન અને બળવાન વચ્ચનો આ તાત્વિક ભેદ છે. અષ્ટાવક્ર ગીતાનો આ શ્લોક છે, બ્રહ્મમ મુકતા ભાવમ બાહ્ય મધ્યાન્તરમ,, શૂન્ય હી પૂર્ણ હૈ. અનેક વખત શ્રાવકો બેઠા હોય કે પોતાના શિષ્યો બેઠા હોય અને ઠાકુર ભાવસમાધિમાં ગરકાવ થઈ જાય અને મૌન થઈ જાય. કેટલીયે ક્ષણો સુધી કલાકો સુધી ઠાકુર મૌન બેઠા હોય. આપણને એમ લાગે કે અહીં શૂન્યની હાજરી છે પણ એ ભૂલવા જેવું નથી કે શૂન્ય હી પૂર્ણ હૈ. કોઈ ભી સબંધ બંધનમુક્ત નહીં હોતા હૈ. યાદ એ રાખના ચાહિયે કે કુટસ્થ હોને સે અચ્છા હૈ આપ સત્યસ્થ હો જાએ. ઘણી વખત આપણે બહુ ડિપ્લોમેટિક બનીને, ન આ બાજુ કે ન પેલી બાજુ જઈએ છીએ પણ એ સત્ય નથી, એ સાચું નથી, કારણ કે આપણને અષ્ટાવક્ર ગીતાનો શ્લોક એમ કહે છે કે, કર્મ છે તેથી વિચાર છે, તેથી ભાવ છે, તેથી સાક્ષી છે. સાક્ષી સામે સત્યસ્થ થયા વગર છૂટકો નથી.

છઠ્ઠા દિવસની કથાના આરંભે સૂત્રપાત થયો, વક્તા શ્રોતા જ્ઞાનનિધિ. વક્તા અને શ્રોતા બંને યોગ્યતમ ભેગા થાય ત્યારે બંનેની વચ્ચે જ્ઞાનનિધિનું સર્જન થાય છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા અને આત્મજા શ્રદ્ધા. આ સમયે તેઓએ આ ત્રણેય શાસ્ત્રોને વાંચીને પ્રાપ્ત થતી શ્રદ્ધા, સત્સંગમાંથી પ્રાપ્ત થતી શ્રદ્ધા અને આત્મજ્ઞાન સાધવાથી થતી શ્રદ્ધાને વિગતવાર સમજાવી આપી. રાજાબાબુનું એક સુંદર ઉદાહરણ બાપુએ ટાંક્યું. એક બહુ જ અમીર કક્ષાનો વ્યક્તિ જેને સૌ પ્રેમથી રાજા બાબુ કહેતા હતા. અને રાજા બાબુ સવારના પહોરમાં ઊભા રસ્તા ઉપર હાથમાં છડી લઈને પુરા ઠસ્સાથી ચાલી રહ્યા હતા. અને એ દરમિયાન રાજાબાબુએ પોતે સુંદર મજાના કંઠે ગવાતું એક ગીત સાંભળ્યું. અને એમાં કહેવામાં આવ્યું હતું, “જાગો જાગો મેરે પ્યારે જાગો.” આ શબ્દો કાને પડ્યા અને એને થયું કે આ કંઠ રેલાઈ રહ્યો છે, સૂર પહોંચે છે ક્યાં છે એ? અને એ તરફ તેઓ વળી ગયા. અને વળી જઈને જયારે તેમણે એ સ્થાન પાસે જઈને જોયું તો એને એમ લાગ્યું કે, એ સરસ શબ્દો એવું કહેતા હતા કે, રાજાબાબુ તુમ જાગો, જાગો, જાગો અને એમને એ જ ક્ષણે વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવું જ્ઞાન લાધ્યું  કે, “આ બધું જ નિરર્થક છે અને તમે એને ભેગું લઈને ફરી રહ્યા છો. તમે એ ઠસ્સાને ઠસ્સામાં તમારું આત્મજ્ઞાન ભૂલી ગયા છો. આ બધામાંથી જાગો, રાજાબાબુ જાગો.” કહેવામાં આવ્યું હતું એ તો શાશ્વત હતું પણ જયારે શાશ્વત કહેવાયેલું, મને કહેવાયું એમ ગણીને આપણને અંદર ચોટ પડી જાય છે, એવી ચોટ રાજાબાબુને લાગી અને રાજા બાબુએ એ જ ક્ષણે પોતાની જગ્યા છોડી દીધી, પોતાનું ઘર છોડી દીધું. પોતાનો ભર્યોભાદર્યો સંસાર છોડી દીધો અને મનમાં એક જ રટણ કે, જાગો રાજાબાબુ જાગો.. યાદ રાખવા જેવું છે કે, સંત હંમેશાં સદેહે હોય એવું જરૂરી નથી. શાંતિ પમાડે તેને સંત કહેવાય. એ પછી કોઈ ભજનની નાનકડી પંક્તિ હોય અને ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ નહીં તો અંધારા થાશેજી’ આ શબ્દો કાને પડે અને તમારો માર્ગ અંતઃ પ્રક્રિયાનો બની જાય તો એ શબ્દો પણ સંત છે. બાપુએ એક ચોથી શ્રદ્ધા ઉમેરી એનું નામ અનુગ્રહજા શ્રદ્ધા.. બુદ્ધ પુરુષોનો કેવળ અનુગ્રહ થયો હોય. બુદ્ધ પુરુષોએ કેટલીક વખત તમારી ઉપર વરસી જવાનું પસંદ કર્યું હોય તો એ અનુગ્રહમાંથી ઉત્પન્ન થતી શ્રદ્ધા એ ચોથી શ્રદ્ધા છે. શાસ્ત્રજા શ્રદ્ધા, સંગજા શ્રદ્ધા, આત્મજા શ્રદ્ધા અને અનુગ્રહજા શ્રદ્ધા. આત્મજા શ્રદ્ધા એટલે ‘રાજાબાબુ જાગો’. બાપુએ કહ્યું કે, વક્તા એ કે, જે શ્રોતાઓને મૂઢ ન સમજે, વક્તા એ કે, જે શ્રોતાઓને અજ્ઞાની ન સમજે, વક્તા એ કે, જે વક્તવ્ય માટે જ જીવે છે, વક્તા એ કે જે જાણે છે કે હું નથી બોલતો, કોઈ બોલાવે છે, વક્તા એ કે જેનું મૌન બોલતું હોય અને વક્તા એ કે જે શ્રોતાને પરમ પ્રેમ કરનારો હોય. પરમ પ્રેમ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ઓગળી જાય અને જે પાછળ રહે એ પરમ પ્રેમ છે. શિષ્યને ગુરુ પ્રિય છે, પરંતુ ગુરુને શિષ્ય પરમ પ્રિય હોય છે.

સાતમા દિવસની કથામાં બે સુંદર મજાના સૂત્રોથી કથા આરંભ થયો અને કહેવાયું કે, “મિલન મેં પરિતૃપ્તિ હૈ, વિરહમેં પરિશુદ્ધિ હૈ. શરીર પંચમહાભૂત કા વિકાર હૈ. વિકાર સ્વાસ્થ્યપ્રદ હોતો નથી, ‘સમજકર ક્યા કરોગે? સમજ ગયે તો અહંકાર પીછા કરેગા, આનંદ આતા હૈ વહી કાફી હૈ.’ ‘યદિ આંખમેં એક આંસુ હૈ તો વહી તુમ્હારી ઉપલબ્ધિ હૈ.’ ‘રામકથા ન્યાયાલય નહીં હૈ, ઔષધાલય હૈ.’ ‘શબ્દ સે સાત્ત્વિકતા આ રહી હૈ, પ્રમાદ મૃત્યુ કા પર્યાય હૈ, હમારા સ્વભાવ એસા હૈ કિ હમ દેહ, પ્રાણ ઓર મનસે વિચલિત હોતે રહતે હૈં. દેહ માટે જન્મ અને મૃત્યુ, પ્રાણ માટે ભૂખ અને પ્યાસ, મન માટે શોક અને મોહ આપણને રુંધી દેનારા પરિબળો છે. ‘હમ કુછ ભી કરેં, હમારે પ્રત્યક્ષ કાર્ય કા કોઈ તો સાક્ષી હૈ હી.’ આપણે અત્યારે બેલુરમઠની નિશ્રામાં બેઠા છીએ તો ઠાકુર આપણા સાક્ષી છે. કદાચ આ કથામંડપના કોઈ એકાદ ખૂણામાં આપણને જોવા નથી મળતા, દેખાતા નથી પણ ઠાકુર બેઠા હોય.!! સ્વામી વિવેકાનંદ ક્યાંક બેઠા હોય અને મા તો હરહંમેશ અહીં હાજર હોય, કારણ કે હમારે પ્રત્યક્ષ કાર્ય કા કોઈ તો સાક્ષી હે હી વો સમજ લીજીયે. પ્રત્યેક ક્રિયા કા જો સાક્ષી હૈ  વહ પરમહંસ હૈ. જે પ્રત્યેક ક્રિયાનો સાક્ષી બને છે અને એમની હાજરી ચૈતસિક રીતે છે એ પરમહંસ છે.”

આઠમા દિવસની કથાનો આરંભ કૃપાના વિશ્લેષણથી થયો. કૃપા ક્યારે વરસે છે? એવું કોઈ શ્રાવકે પૂછ્યું. જિજ્ઞાસુ વ્યક્તિને જવાબ આપતાં બાપુએ કહ્યું કે, કૃપા ક્યારેય કંજૂસ નથી હોતી. કૃપા સતત વરસતી જ હોય છે. આપણે એને લાયક બનવાનું હોય છે. તમે દિવસ દરમિયાન કે રાત દરમિયાન સૂવો છો કે જાગો છો, ખાવો છો, પીવો છો, દૈનિક પ્રક્રિયા કરો છો એ પ્રત્યેક ક્ષણે તમારી ઉપર કૃપા વરસતી જ હોય છે. પણ એ કૃપાને તમે ઝીલી ન શકો. પરિણામે તમને એમ લાગે છે કે કૃપા નથી. કૃપા ક્યારેય કંજૂસ નથી હોતી. એવું જ સત્યનું છે કે, સત્ય કભી ભી ઉદ્ઘાટિત હોતા હૈ. આપણા કામ માટે સત્ય ક્યારે ઉદ્ઘાટિત થાય? એવો વિચાર કરવાની જરૂર નથી. આપણે જો આપણું કામ કરવું જ છે, તો આપણું સત્ય હંમેશાં ઉદ્ઘાટિત થવા માટે તત્પર હોય છે. કહના કઠિન હૈ, કહા હુઆ સમજના કઠિન હૈ ઓર સમજા હુઆ કરના ઓર કઠિન હૈ.કચ્ચા જ્ઞાન બોઝ હૈ ઓર પાક્કા જ્ઞાન મોજ હૈ.” એટલા માટે કોઈપણ જ્ઞાનમાં ઊંડા ઊતરવું જોઈએ અને ઊંડા ઊતર્યા પછી એમાંથી જ્ઞાનનો સંકેત પકડવો જોઈએ. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સંબોધી દૂર નથી. જો જ્ઞાનનો સંકેત પકડાઈ જાય તો સમાધિ પણ દૂર નથી. હમારી પ્રકૃતિ પરમહંસ મેં પરમેશ્વરી હો જાતી હૈ. આપણી પ્રકૃતિ હંમેશાં કોઈની સાથે સુંદર રીતે આત્મસાત્‌ થવા તત્પર હોય છે.

નવમા અને છેલ્લા દિવસની કથામાં શ્રીરામકથાને વિરામ આપતાં સમાપન કર્યું કે, નંદીગ્રામમાં સૌ પધારે છે અને ભરત પાદુકા સાથે સૌ અયોધ્યા પરત ફરે છે તે વાત કહીને બે પુત્રો લવ અને કુશનો જન્મ થાય છે, ત્યાં ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસને વિરામ આપ્યો છે. કોઈપણ પ્રકારના વિવાદમાં કે કોઈ પણ બાબતની એવી ઘટનાઓની ચર્ચા કરવાનું ગોસ્વામીજીએ ટાળ્યું છે, તેથી કરીને મોરારિબાપુ ગોસ્વામી શ્રીતુલસીકૃત શ્રીરામચરિત માનસને વધુમાં વધુ પ્રસન્નતાથી સૌ વચ્ચે વહેંચી રહ્યા છે. બાપુએ પરમહંસમાં જે હંસ શબ્દ આવે છે એમનો વિચાર કરીને ખાસ કહ્યું કે શ્રીરામકૃષ્ણ મિશન અને મઠનો જે લોગો છે એની અંદર સુંદર સૂત્ર છે અને એમાં હંસનો ઉલ્લેખ છે. બાપુએ કહ્યું કે, હંસ જળચર છે, પરંતુ કભી કભી તટસ્થ છે. જો કુછ સમય સ્થળ પર ભી આતા હૈ ઓર થોડી ઉડાન ભરકે નભચર ભી બન જાતા હૈ, હંસ છે જળચર પણ ક્યારેક તટસ્થ થઈ જાય છે આવીને તટ ઉપર નિરાંતે આરામ કરે છે. ક્યારેક ક્યારેક એ સ્થળ ઉપર પણ આવે છે અને ક્યારેક થોડીક થોડીક હળવી ઉડાન ભરે છે અને એ નભચર બની જાય છે. યાદ એ રાખવા જેવું છે કે, આપણા વક્તવ્યમાં પ્રતાપ હોય, પ્રભાવ હોય અને પ્રસાદ હોય તો વક્તવ્ય સ્વામી વિવેકાનંદ જેવું અવશ્ય બની રહે. પ્રતાપ સૂર્યપ્રકાશ અથવા સત્યનો, પ્રભાવ પ્રેમનો અને પ્રસાદ કરુણાનો હોય તો તમારું વક્તવ્ય સ્વામીજીના શબ્દોથી વધુ નજીક બની શકે.

આ નવ દિવસીય યજ્ઞ દરમિયાન વારંવાર અનેક ઉદાહરણો શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી ટાંકીને શ્રી મોરારીબાપુએ સાદ્યન્ત ઠાકુરના ચરિત્રને પરમહંસ શા માટે એ સ્પષ્ટ સ્ફટિક રીતે સમજાવ્યું. આનંદ એ વાતનો હતો કે કથાના શ્રોતાઓમાં ભાવકોમાં કેટલાય બંગાળી પરિવારો પણ ઉમટી પડ્યા હતા. કથાની વ્યવસ્થા એવી હતી કે સૌ માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા બેલુર મઠના આ પ્રાંગણમાં જ કરવામાં આવી હતી. કથાના નિમિત્તમાત્ર યજમાન દ્વારા આ વ્યવસ્થા થઇ. બંગાળના દૂર દૂરના છેવાડેથી લોકો સામાનના પોટલાંઓ માથે ઉપાડીને આ પ્રાંગણમાં રહેવા જ આવી ચૂક્યા હતા. તેઓ કથા સાંભળવા મંડપમાં જતા પછી કથા નજીક શૌચાલયની અંદર દૈનંદીય પ્રક્રિયા કરતા અને સવાર-સાંજ અહીં પ્રસાદ લેતા હતા. આ કથા દરમ્યાન બે જાહેર કાર્યક્રમો સંધ્યાટાણે યોજાય જેમાં શ્રી ઓસમાણ મીર દ્વારા સુગમગાન અને બંગાળના પ્રસિદ્ધ બાઉલ્સ ગાન સાંજને સુરમયી બનાવાય. બંને કાર્યક્રમોમાં સમયસર બાપુ ઉપસ્થિત રહ્યા અને તેઓની લાક્ષણિકતા મુજબ કલાકારોને સતત દાદ આપતા રહ્યા હતા. સમાપન સમયે ફરી એકવાર શ્રીરામકૃષ્ણ મિશન અને મઠના વરિષ્ઠ સન્યાસીઓ મંચ પર પધાર્યા અને તેઓએ કથાના સમાપનમાં આશીર્વચન પાઠવ્યા. પોતાનો ખૂબ મોટો રાજીપો વ્યક્ત કર્યો અને ફરી એકવાર તરત જ બેલુર મઠમાં કથાગાન કરવા માટે આવજો એવું દિલનું નિમંત્રણ પાઠવી દીધું. શ્રી મોરારીબાપુની આ પશ્ચિમ બંગાળમાં પંદરમી કથા છે. અને તેઓએ કોલકતામાં ઘણી કથાઓ ગાયેલી છે. બેલુર મઠના એક સભાખંડની અંદર એક પ્રવચન આપવા માટે પોતે પધાર્યા હતા, તેમનું સ્મરણ  કરીને એ પ્રસંગને તેઓએ વર્ણવ્યો હતો, પણ પૂર્ણ સમયની કથાગાન કરવાનો લહાવો અત્યારે મળ્યો એ આનંદ વ્યક્ત કરીને પૂજ્ય બાપુએ સમગ્ર પ્રકૃતિનો અહોભાવ વ્યક્ત કર્યો હતો અને આવી રહેલા અધિક માસ અને શ્રાવણ માસને આ કથા સમર્પિત કરી.

શ્રીરામચરિત માનસનું પરમ સત્ય બેલુર મઠની ધરતી પર ગવાય અને એમાં પણ ચોતરફ પ્રકૃતિની હાજરીમાં તમને શ્રીઠાકુરની ઉપસ્થિતિનો આવિર્ભાવ થયો એ લાગણી સાથે આ કથા વિરામ પામી ત્યારે મને રાજકોટ આવતા એવું લાગ્યું કે, જાણે મારી સાથે શ્રીઠાકુર પોતે પ્રવાસ કરી રહ્યા છે અને છેક પ્રેમમંદિર સુધી સાથ આપવા અને વસવા માટે તેઓ પધારી રહ્યા છે.

જય ઠાકુર.

તસ્વીર સૌજન્ય : સંગીતમય દુનિયા, મહુવા.

Total Views: 351

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.