(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે કલકત્તામાં તાજેતરમાં યોજાયેલ વિશ્વધર્મસભામાં ૧૯મી સપ્ટેમ્બરના રોજ સમાપન સત્રમાં આપેલ સ્વાગત પ્રવચન અહીં વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.)
મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા….
વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે લીધેલા ભાગનો અને ચાર દિવસ ચાલેલો શતાબ્દી-મહોત્સવ હવે પૂર્ણ થવા આવ્યો છે. આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વૈશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો થયો છું. જગતના સૌથી મોટા શેકશાહી દેશના સર્વોચ્ચ વહીવટી વડા હોવા ઉપરાંત ડો. શંકર દયાલ શર્મા એક ઉદાર મનવાળા તથા માયાળુ હૃદયવાળા સમર્થ વિદ્વાન પણ છે. રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન વતી, નાબ્દી ઉત્સવ સમિતિ વતી, પ્રતિનિધિઓ અને અત્રે પસ્થિત સર્વે મહેમાનો વતી આપણા લાડીલા રાષ્ટ્રપતિ ડૉ. કરદ યાલ શર્માને આ ધર્મ સંસદમાં આવકારતાં હું આનંદ અનુભવું છું.
ઉદ્ઘાટનને દિવસે તેમની હાજરી ન હતી તે આપણને રુચ્યું ન હતું એ સાવ સાચું છે પરંતુ તેઓશ્રી આ સમાપન-સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે તેથી આપણને પૂરતો બદલો મળી ગયો છે. આ સમાપન સમારોહ પણ ઉદ્ઘાટન સમારોહ કરતાં ભલે વધુ નહીં તો પણ તેના જેટલો જ શુકનવંતો અને મહત્ત્વનો છે જ. પુરાતનકાળમાં હોમ હવન વખતે બધા જ યજ્ઞ વિધિઓના શિરમોર સમો વિધિ એ સમાપનવિવિધ ગણાતો હતો જે ‘પૂર્ણાહુતિ’ રૂપે ઓળખાતો હતો. આપણી ચાર દિવસ ચાલેલી આ ધર્મ સંસદને આપણે જ્ઞાનયજ્ઞ તરીકે ઓળખીએ કે જેમાં દરેક વક્તાએ પોતાના જ્ઞાનની એક-એક આહુતિ અર્પી છે અને આ સમાપન સમારોહમાં રાષ્ટ્રપતિજીની ઉપસ્થિતિને પૂર્ણાહુતિ તરીકે ગણી શકીએ.
૧૮૯૩માં શિકાગો ખાતે યોજાયેલી વિશ્વધર્મમહાસભામાં સ્વામી વિવેકાનંદે લીધેલા ભાગના શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે જ આપણી આ ધર્મસંસદ છે. માનવ જાતિના સાંસ્કૃતિક ઇતિહાસમાં પેલી વિશ્વધર્મમહાસભા એક નવું સીમાચિહ્ન બની હતી. માનવજીવનની બાબતોમાં ધર્મ શો ભાગ ભજવે તે માટેનો એક નવો જ અભિગમ પેલી મહાસભામાં જોવા મળ્યો હતો. તેણે પૂર્વ તથા પશ્ચિમને પરસ્પર નજીક આણ્યાં અને પશ્ચિમની પ્રજા સમક્ષ ભારતની આધ્યાત્મિક સમૃદ્ધિનો ખજાનો ધરી દીધો હતો. અને તેની સાથે જ બાકીના વિશ્વથી અળગું રહેલું ભારત અન્ય સૌની નિકટ આવી ગયું તેમ જ ભારતે પણ વિશ્વનાં સેવા કાર્ય મિશનમાં ભાગ ભજવવાનો છે, તે નિશ્ચિત બન્યું. આ બધું શક્ય બનાવવામાં માત્ર એક જ વ્યક્તિ હતી અને તે હતા સ્વામી વિવેકાનંદ.
સ્વામી વિવેકાનંદના વ્યક્તિત્વ અને સંદેશનાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પરિમાણો છે. ભારત માટે સ્વામીજીએ જે કંઈ કર્યું છે તેનો પૂરેપૂરો અંદાજ હજી કોઈને આવ્યો નથી. અત્યાર સુધી માત્ર ગણ્યાગાંઠ્યા એવા ખાસ માનીતા ગણાતા એક વર્ગ માટે સદીઓથી અનામત ગણાતાં અમૃતસંજીવની સમાન ધાર્મિક સત્યો તેમણે આમજનતાને અપાવ્યાં. પોતાના ભવ્ય ભૂતકાળ અને ગૌરવની જાગૃતિનો તેમણે ભારત વાસીઓનાં હૃદયમાં સંચાર કરી દીધો. તેમની હાકલથી રાષ્ટ્ર એકી સાથે ખડું થઈ ગયું. વિદેશી દમનકારી શાસન દ્વારા જામેલી જડતાને ફગાવી દીધી અને આઝાદીની દિશામાં કૂચકદમ આરંભી દીધી. સ્વામીજી એવા સર્વપ્રથમ ધાર્મિક નેતા હતા કે જેઓ ભારતની ગરીબ જનતા માટે કંઈક બોલ્યા હોય. ખેડૂતોની તથા માછીમારોની ઝૂંપડીઓ, મોચી અને ભંગીઓની ગંદી ઝૂંપડપટ્ટીમાંથી જ નવીન ભારતનું નિર્માણ થશે એનું ક્લ્પનાચિત્ર તેઓ અગાઉથી આંકી શક્યા હતા. તેમની આગ વરસાવતી વાણીએ હજારો શિક્ષિત હિન્દીઓનાં હૃદયને ચેતનવંતા બનાવ્યાં અને પોતાનું જીવનસર્વસ્વ રાષ્ટ્રની અને ખાસ કરીને દેશની કંગાળ જનતાની સેવામાં સમર્પિત કરવાની તેમને પ્રેરણા પૂરી પાડી.
શિકાગોની મહાસભામાં અને ત્યાર બાદ પશ્ચિમના દરેક સ્થળે ભારતની એવી પ્રતિમા તેમણે રજૂ કરી કે ભારત એટલે ધાર્મિક સ્વાતંત્ર્ય, સંવાદિતા અને શાંતિની ભૂમિ. આજે સમગ્ર વિશ્વમાં એવા હજારો લોકો છે કે જેઓનાં મનમાં ભારતની આ પ્રતિમા મોજૂદ છે. આથી દરેક ભારતવાસીની એ ફરજ થઈ પડે છે કે માતૃભૂમિની આ પ્રતિમા ખરડાય નહીં તે તેણે જોવું જોઈએ. તેવું કહેવાની પણ જરૂર નથી.
સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ તો એટલું અસાધારણ રીતે મહાન હતું કે તેને કોઈ એક દેશના સીમાડાઓમાં બાંધી ન શકાય. વિશ્વસંસ્કૃતિ અને માનવકલ્યાણના ક્ષેત્રે તેમનું પ્રદાન એટલું તો વિશાળ રહ્યું છે કે જગતના સમર્થ ચિંતકોએ તેમને “આધુનિક વિશ્વના એક ઘડવૈયા” તરીકે ગણાવ્યા છે.
સમસ્ત માનવજાતિના કલ્યાણ માટેની સર્વગ્રાહી દૃષ્ટિ તેમણે આપી, એ સ્વામીજીનું વિશ્વસંસ્કૃતિને મળેલું મુખ્ય પ્રદાન છે. આ દર્શન ત્રણ સિદ્ધાંતો ઉપર નિર્ભર છે: માનવજાતિની એકતા, ધર્મની એકતા અને વિશ્વની એકતા.
આત્મા સહજ રીતે જ દિવ્ય છે અને બધા જ આત્માઓ એક પરમ આત્માના અંશરૂપે હોઈ સમગ્ર માનવજાત એક જ છે, તેવો એકાત્મભાવ આ રીતે જાગે છે. સમસ્ત માનવજાતિની પ્રગતિ એટલે આપણામાં રહેલી દિવ્ય શક્તિનું આપમેળે ખીલવું એમ સ્વામીજી માનતા હતા. બધા જ ધર્મોમાં પણ એકતા રહેલી છે એ સત્યનું પ્રતિપાદન કરવા માટે તેઓ, શ્રીરામકૃષ્ણના અનુભવનો આધાર લેતા હતા. શ્રીરામકૃષ્ણનો અનુભવ એ છે કે બધા જ ધર્મો આખરે તો એક જ ધ્યેયની પ્રાપ્તિ તરફ આપણને દોરી જાય છે.
વિશ્વની એકતા માટેની સ્વામીજીનો કલ્પનાનો આધાર એ છે કે ધર્મ અને વિજ્ઞાન પણ ભિન્ન નથી અને આધ્યાત્મિક્તા અને પરમાર્થને અળગા પાડતાં અવરોધોને પણ તે દૂર કરે છે.
હાલની ધર્મસંસદમાં વિચારણા માટે આપણે પસંદ કરેલો વિષય છે: “સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ સંવાદિતા: તેની સંભાવિત સફળતા તથા સમસ્યાઓ.” આમ કરવા પાછળનો આપણો હેતુ એ છે કે વિસંવાદિતા અને સંધર્ષનાં બળોથી ઘેરાયેલા સમાજને ઉગારવા માટે સંવાદિતાની આવશ્યક્ત પ્રત્યે માણસોનું આપણે ધ્યાન દોરીએ.
જીવનનાં વિવિધ ક્ષેત્રોમાંથી પધારેલા દુનિયાના લગભગ એકસો વિદ્વાનોએ પોતાના અનેક વર્ષોના અભ્યાસ, ચિંતન અને અનુભવના નીચોડ રૂપે સંવાદિતા પરત્વેના સ્વામી વિવેકાનંદના દૃષ્ટિબિંદુને આપણી સમક્ષ રજૂ કર્યું છે. એ જ રીતે સ્વામી વિવેકાનંદ અને તેમના જીવનસંદેશ પ્રત્યેના પોતાના પ્રેમને કારણે વિશ્વના વિવિધ ભાગોમાંથી અત્રે આવેલ ૧૨૦૦૦ (બાર હજાર)થી પણ વધુ ભક્તોએ રોજ કેવળ હાજરી આપીને જ નહીં, પરંતુ તેમના આત્માની શાંત તેમ જ અપ્રગટ શક્તિ દ્વારા આપણને ટેકો આપ્યા કર્યો છે.
ઝડપથી પલટાતું જતું જગત આજે જ્યારે ધાર્મિક મતાંધતા અને ઝનૂની પરિબળોની ચીરફાડથી અલગ પડી ગયું છે ત્યારે સદ્ગુણ, સંવાદિતા અને આધ્યાત્મિકતાનાં પરિબળોની આવી એકવાક્યતા અવશ્ય લાખો લોકો માટે આશા અને પ્રેરણા પૂરી પાડશે.
આપણા સૌના સામુહિક પુરુષાર્થના આ ફળને શતાબ્દીની આહુતિ, તરીકે ચાલો આપણે સ્વામી વિવેકાનંદની શાશ્વત હાજરીને સમર્પિત કરીએ.
આ સંસદે આપણા સૌના હૃદયમાં સ્નેહ, સમજણ અને સંવાદિતાની જે નાનકડી જ્યોત ચેતાવી છે તે આગામી અનેક વર્ષો સુધી આપણા જીવનપથને અજવાળતી રહે તેવી ઉત્કટ આશા સાથે મારું પ્રવચન પૂરું કરું છું.
આપ સૌને મારી શુભકામનાઓ. આભાર.
ભાષાંતર: શ્રી ઈન્દુભાઈ જે. જોષી
Your Content Goes Here




