‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ – કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા, એટલું જ; એથી ભગવાન ન મળે. એટલે રૂપિયા જીવનનું ધ્યેય થઈ શકે નહિ. આનું નામ વિચાર. સમજો છો?’
માસ્ટર – જી હા. મેં હમણાં ‘પ્રબોધચંદ્રોદય’’ નાટક વાંચ્યું છે. તેમાં છે ‘વસ્તુ વિચાર.’
શ્રીરામકૃષ્ણ – હા, વસ્તુ વિચાર. જુઓ, રૂપિયામાં ય શું છે અને સુંદર શરીર માંયે શું છે? વિચાર કરો કે સુંદર સ્ત્રીના શરીરમાં ય માત્ર હાડકાં, માંસ, ચરબી, મળમૂત્ર એ બધું છે. ઈશ્વરને છોડીને માણસ એ બધી વસ્તુઓમાં કેમ મન પરોવે છે? કેમ ઈશ્વરને ભૂલી જાય છે?
માસ્ટર – શું ઈશ્વરનાં દર્શન થઈ શકે?
શ્રીરામકૃષ્ણ – હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ.
માસ્ટર – કેવી અવસ્થામાં એમનાં દર્શન થાય?
શ્રીરામકૃષ્ણ – ખૂબ વ્યાકુળ થઈને રુદન કરીએ તો ઈશ્વરનાં દર્શન થાય. સ્ત્રી પુત્રાદિ માટે માણસો ઘડો ભરીને આંસુ પાડે, પૈસા માટે માણસો આંસુની નદીઓ વહાવે; પણ ઈશ્વર સારું કોણ રડે છે? જેમ તેમ નહિ પણ બોલાવવાની રીતે ઈશ્વરને બોલાવવો જોઈએ. એમ કહીને ઠાકુરે ગીત ઉપાડ્યું :
‘‘બોલાવ ને મન પૂરા પ્રયાસે, કેમ મા શ્યામા આવે ના!
કેમ મા શ્યામા આવે ના, કેમ મા કાલી આવે ના!
મન ખરેખર આતુર હો, તો જાસુદ – બિલ્વપત્ર લો!
ભક્તિ – ચંદન લગાવીને, (માને) પગે પુષ્પાંજલિ દો!’
‘‘ઈશ્વરને માટે વ્યાકુળતા આવી એટલે અરુણોદય થયો સમજો; ત્યાર પછી સૂર્ય દેખાશે. વ્યાકુળતાની પછી જ ઈશ્વર દર્શન. ત્રણ પ્રકારનું આકર્ષણ થાય તો ઈશ્વર દર્શન દે. વિષયીનું વિષય તરફનું ખેંચાણ, માનું સંતાન ઉપરનું અને સતી સ્ત્રીનું પતિ પ્રત્યેનું ખેંચાણ. આ ત્રેવડું આકર્ષણ એકી સાથે કોઈનામાં ઈશ્વર માટે જાગે, તો તેના જોરથી તે ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.
‘‘વાત એટલી કે ઈશ્વરને ચાહવો જોઈએ. મા જેમ છોકરાંને ચાહે, સતી જેમ પતિને ચાહે, વિષયી જેમ વિષયને ચાહે, તેમ એ ત્રણેનો પ્રેમ, એ ત્રણ આકર્ષણ એકઠાં કરવાથી જેટલું થાય તેટલું ઈશ્વરને માટે થાય તો તેનાં દર્શન અવશ્ય મળે.
‘‘આતુર બનીને ઈશ્વરને બોલાવવો જોઈએ. બિલાડીનું બચ્ચું માત્ર ‘‘મ્યાઉં મ્યાઉં’’ કરીને તેની માને બોલાવી જાણે. મા તેને જ્યાં રાખે ત્યાં રહે, ક્યારેક રસોડામાં, તો ક્યારેક જમીન ઉપર, તો ક્યારેક પથારી ઉપર રાખે. બચ્ચાંને દુ:ખ થાય તો તે કેવળ ‘મ્યાઉં મ્યાઉં’ કરી માને બોલાવે, બીજું કંઈ જાણે નહીં. મા ગમે ત્યાં હોય, પણ તે ‘મ્યાઉં મ્યાઉં’ શબ્દ સાંભળીને આવી પહોંચે.
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’, ખંડ-૧, અધ્યાય-૫મો)
Your Content Goes Here




