(સ્થળ : બેલુર મઠ, સને ૧૯૦૧)

સ્વામીજી હમણાં મઠમાં રહે છે. તેમની તબિયત બહુ સારી નથી, પણ સવાર સાંજ તેઓ ફરવા જાય છે. શિષ્યે સ્વામીજીનાં ચરણોમાં પ્રણામ કરીને તેમની તબિયતના ખબર પૂછ્યા.

સ્વામીજી : જો, આ શરીર આવી દયાજનક સ્થિતિમાં છે છતાં પણ તમે કોઈ મારા કાર્યમાં મદદ કરવા આગળ આવતા નથી ! હું એકલો કેટલુંક કરું ? આ જન્મે આ શરીર બંગાળની માટીમાંથી બન્યું છે, તેથી તે કામનો અત્યંત ભાર ક્યાંથી સહન કરી શકે ? તમે જે લોકો અહીં આવો છો તે પવિત્ર આત્માઓ છો; જો તમે જ મારા કામમાં મદદગાર નહિ થાઓ તો હું એકલો શું કરીશ ?

શિષ્ય : સ્વામીજી ! આ આત્મસમર્પણ કરનારા બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓ આપની પાછળ ઊભા છે અને તેમાંનો દરેક આપના કામ માટે પોતાનું જીવન સમર્પી શકે છે તેમ હું માનું છું; છતાં આપ આવું કેમ બોલો છો ?

સ્વામીજી : મારે તો દેશની આશાસમા યુવકોની એક ટુકડી જોઈએ છીએ. મારી ભવિષ્યની આશા બુદ્ધિમાન, બીજાઓની સેવા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા, આજ્ઞાપાલક, ચારિત્ર્યવાન યુવકો ઉપર નિર્ભર છે. મારે એવા યુવકો જોઈએ છીએ જેઓ મારા વિચારોને મૂર્તિમંત બનાવવા માટે પોતાનું જીવન સમર્પણ કરે અને તેમ કરીને તેઓ પોતાનું તથા દેશનું ભલું કરે ! નહિ તો, સાધારણ યુવાનો તો ટુકડીબંધ આવે છે અને આવશે. તેમના ચહેરા ઉપર નિસ્તેજતા આલેખાયેલી જ દેખાય છે; તેમનાં હૃદય શક્તિહીન છે, તેમનાં શરીર માયકાંગલાં અને કાર્ય કરવા માટે અયોગ્ય છે તથા તેમનાં મન હિંમત વિનાનાં છે. આવા લોકોથી શું કામ થવાનું હતું ? નચિકેતાની શ્રદ્ધાવાળા જો દશબાર યુવકો મને મળી જાય તો આ દેશનાં વિચારો અને પ્રવૃત્તિઓને હું નવું જ વલણ આપી શકું.

શિષ્ય : સ્વામીજી ! આપની પાસે આટલા બધા યુવકો આવે છે; તેમાંથી એક પણ આપને એવી પ્રકૃતિનો દેખાતો નથી ?

સ્વામીજી : તેમાંથી જેઓ મને સારી મગજશક્તિવાળા લાગે છે, તે પૈકીના કેટલાક પરિણીત જીવનથી બંધાઈ ગયેલા છે, કેટલાકે આ દુન્યવી નામના – કીર્તિ અને સંપત્તિ – માટે પોતાની જાતને વેચી દીધી છે, જ્યારે કેટલાકનાં શરીર નિર્બળ છે; બાકી જે મોટો ભાગ રહ્યો તેઓ કોઈ ઉચ્ચ વિચાર ગ્રહણ કરવાને અશક્ત છે. તું મારા ઉચ્ચ વિચારો ગ્રહણ કરવાને માટે જરૂર લાયક છે, પણ વ્યાવહારિક ક્ષેત્રમાં તેનો અમલ કરવાને તું શક્તિમાન નથી. આ કારણે મારા મનમાં કોઈ કોઈવાર પરિતાપ પેદા થાય છે અને મનમાં થાય છે કે આવું માનવશરીર મેળવીને પણ ભાગ્યની અવકૃપાથી હું ઝાઝું કામ કરી ન શક્યો ! અલબત્ત મેં સમૂળગી આશા છોડી નથી, કારણ કે ઈશ્વરેચ્છાથી આ યુવાનોમાંથી વખત જતાં કાર્યશક્તિ અને આધ્યાત્મિક તાકાતવાળા મહાન વીરો પાકશે કે જેઓ ભવિષ્યમાં મારા વિચારોને મૂર્ત સ્વરૂપ આપશે.

શિષ્ય : મારી તો દૃઢ માન્યતા છે કે આપના વિશાળ અને ઉદાત્ત વિચારો આજ નહિ તો કાલે વિશ્વભરમાં સ્વીકાર્ય થશે જ, કારણ કે હું જોઉં છું કે એ અનેકદેશી છે અને વિચાર તેમજ પ્રવૃત્તિના પ્રત્યેક અંગમાં જોમ પ્રેરે તેવા છે. વળી આ દેશના લોકો જાણ્યેઅજાણ્યે પણ આપના વિચારો સ્વીકારી રહ્યા છે અને આમ લોકોને તે સમજાવી રહ્યા છે.

સ્વામીજી : મારું નામ તેઓ સ્વીકારે કે નહિ તેનો કાંઈ વાંધો નથી; તેઓ મારા વિચારો સ્વીકારે એટલે બસ. પરંતુ નેવું ટકા સાધુઓ કામ અને કાંચનનો ત્યાગ કરવા છતાં પણ નામ અને કીર્તિની તૃષ્ણામાં અટવાઈ જાય છે. ‘કીર્તિ… ઉદારચરિતોની પેલી અંતિમ નિર્બળતા’ : તે એ નથી વાંચ્યું ? આપણે તો પરિણામની સઘળી આશા છોડી દઈને કામ કરવું પડશે. લોકો આપણને સારા કે ખરાબ ગમે તેવા કહે, ‘ડાહ્યા માણસો આપણી પ્રશંસા કરે કે નિંદા’ તેની પરવા કર્યા સિવાય આદર્શને આપણી સમક્ષ રાખીને આપણે સિંહની સમાન કાર્ય કરવું પડશે.

શિષ્ય : અત્યારે અમારે કયો આદર્શ અનુસરવો ?

સ્વામીજી : અત્યારે હનુમાનના ચરિત્રને તમારે આદર્શ બનાવવાનો છે. જુઓ, રામચંદ્રની આજ્ઞાથી તેમણે સાગરને ઓળંગ્યો હતો; તેમને જીવન કે મરણની પરવા ન હતી ! તેઓ પૂરેપૂરા ઇંદ્રિયનિગ્રહી અને અદ્‌ભુત બુદ્ધિ ધરાવતા હતા. અંગત સેવાના આ મહાન આદર્શ અનુસાર તમારે તમારું જીવન ઘડવું જોઈશે. તે દ્વારા બીજા બધા આદર્શાે ધીરે ધીરે જીવનમાં ઊતરી આવશે. સામો પ્રશ્ન કર્યા સિવાય ગુરુની આજ્ઞાનું પાલન અને સંપૂર્ણ બ્રહ્મચર્યસેવન, એ સફળતાનું રહસ્ય છે. હનુમાન એક બાજુએ જેમ સેવાના આદર્શના પ્રતિનિધિ છે, તેમ બીજી બાજુએ આખી દુનિયા પર ધાક બેસાડી દે તેવી સિંહ સમાન હિંમતના પણ પ્રતિનિધિ છે. રામચંદ્રના હિત અર્થે પોતાની જિંદગીનો ભોગ આપી દેતાં તેમના મનમાં જરાય આંચકો લાગ્યો ન હતો. સેવા સિવાય બીજી બધી બાબતો તરફ – વિશ્વના મહાન દેવો બ્રહ્મા અને શિવના પદની પ્રાપ્તિ પ્રત્યે પણ – તેઓ અત્યંત બેપરવા રહ્યા છે! તેમના જીવનનું એકમાત્ર વ્રત છે રામની આજ્ઞાનું પાલન! આવી ખરા હૃદયની ભક્તિ જોઈએ. કેવળ મૃંદગ અને કરતાલ બજાવીને અને કીર્તનોની ધૂનમાં નાચી નાચીને સમસ્ત પ્રજા અધોગતિએ પહોંચી ગઈ છે. એક તો (બંગાળીઓ) તેઓ અજીર્ણથી પીડાતા લોકો છે જ; એમાં વળી આ રીતે નાચેકૂદે, પછી તેઓ શ્રમ શી રીતે સહન કરી શકે? જેનું પ્રથમ લક્ષણ પવિત્રતા છે તે શ્રેષ્ઠ સાધનાનું અનુકરણ કરવાના પ્રયાસમાં તેઓ નર્યા તમોગુણથી ભરપૂર થઈ ગયા છે. ગમે તે જિલ્લામાં કે ગામમાં તમે જાઓ, કેવળ મૃદંગ અને કરતાલના જ અવાજ સાંભળશો! આ દેશમાં ઢોલ નથી બનતાં ? શું રણશિંગાં અને નગારાં ભારતમાં નથી મળતાં? યુવાનોને અને કિશોરોને આ વાજિંત્રોના ઘોર અવાજો સંભળાવો. બચપણથી આવા કોમળ સંગીતના નિર્માલ્ય અવાજો અને કીર્તનો સાંભળી આ દેશ લગભગ સ્ત્રીઓના દેશ જેવો થઈ ગયો છે; આનાથી વિશેષ વળી કઈ અધોગતિની તમે આશા રાખો છો ? કવિની કલ્પના પણ આ ચિત્ર આલેખવામાં નિષ્ફળ જાય છે ! ડમરુ અને રણશિંગાં બજાવવાં જોઈએ; ઘોર વીરતાભર્યા સ્વરો માટે નગારાં વગાડવાં જોઈએ અને મોં વાટે ‘મહાવીર, મહાવીર !’ એ શબ્દો તથા ‘હર હર ! બોમ, બોમ!’ એવા પોકારોથી દિશાઓ ગજવી મૂકવી જોઈએ. જે સંગીત મનુષ્યની કુમળી લાગણીઓને જ જગાડે છે, તેને હમણાં થોડા સમય માટે બંધ કરી દેવું જોઈએ. ખ્યાલ અને ટપ્પા જેવા કોમળ સ્વરોનો અવાજ અટકાવીને લોકોને ધ્રુપદના સ્વરો સાંભળવાની ટેવ પડાવવી જોઈએ. ભવ્ય વૈદિક ઋચાઓની મેઘગર્જનાથી આ દેશમાં ચેતન પાછું લાવવાનું છે. દરેક બાબતમાં વીરતાભર્યા પૌરુષનો કઠોર ભાવ જગાડવાનો છે. આવા આદર્શને અનુસરવામાં જ લોકોનું અને દેશનું કલ્યાણ સમાયેલું છે. જો તમે આવા આદર્શ પ્રમાણે તમારું ચારિત્ર્ય ઘડી શકો તો હજારો લોકો તમને અનુસરશે. પણ આદર્શમાંથી એક આંગળ પણ ખસો નહિ તેની સંભાળ રાખજો. કદી નાહિંમત ન થશો. ખાનપાનમાં, પોશાકમાં, સૂવાબેસવામાં, ગાવામાં કે રમતગમતમાં, ભોગવિલાસમાં કે માંદગીમાં, સર્વદા ઊંચામાં ઊંચી નૈતિક હિંમત દાખવજો. ત્યારે તમારા પર મહાશક્તિ જગદંબાની કૃપા ઊતરશે.

Total Views: 576

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.