ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ સુદ આઠમ. ભક્તો શ્રીરામકૃષ્ણનો જન્મ-મહોત્સવ ઊજવી રહ્યા છે. ગયે સોમવારે ફાગણ સુદ બીજને દિવસે તેમની જન્મ-તિથિ ગઈ છે. નરેન્દ્ર, રાખાલ, બાબુરામ, ભવનાથ, સુરેન્દ્ર, ગિરીન્દ્ર, વિનોદ, હાજરા, રામલાલ, રામ, નિત્યગોપાલ, મણિ મલ્લિક, ગિરીશ, સિંથિના મહેન્દ્ર વૈદ્યરાજ વગેરે અનેક ભક્તોનો સમાગમ થયો છે. સવારથી જ કીર્તન ચાલે છે. અત્યારે સમય આઠેક વાગ્યાનો હશે. માસ્ટરે આવીને પ્રણામ કર્યા. ઠાકુરે ઈશારત કરીને પોતાની પાસે બેસવાનું કહ્યું.

કીર્તન સાંભળતાં સાંભળતાં ઠાકુર ભાવપૂર્ણ થયા છે. ગાયો ચારવા માટે આવવામાં શ્રીકૃષ્ણને વાર થાય છે. કોઈ ગોવાળ કહે છે કે મા યશોદા આવવા દેતાં નથી. બલરામ ગુસ્સો કરીને કહે છે કે હું શિંગી બજાવીને કનાઈને લઈ આવું. બલરામનો કૃષ્ણ ઉપર અગાધ પ્રેમ. કીર્તનકાર વળી પાછો ગાય છે. શ્રીકૃષ્ણ બંસીધ્વનિ કરે છે. ગોપીઓ, ગોવાળિયાઓ બંસીનાદ સાંભળે છે. તેમનામાં વિવિધ ભાવોનો ઉદય થાય છે. ઠાકુર બેઠા બેઠા ભક્તો સાથે કીર્તન સાંભળી રહ્યા છે. અચાનક નરેન્દ્ર તરફ નજર પડી. નરેન્દ્ર પાસે જ બેઠા હતા. ઊભા થઈ જઈને સમાધિ-મગ્ન. નરેન્દ્રના ઘૂંટણને એક પગ વડે સ્પર્શ કરીને ઊભા છે.

ઠાકુર સ્વસ્થ થઈને પાછા બેઠા. નરેન્દ્ર સભામાંથી ઊઠી ગયા. કીર્તન ચાલે છે.

શ્રીરામકૃષ્ણે બાબુરામને આસ્તે આસ્તે કહ્યું, ‘ઓરડામાં ખીર છે, નરેન્દ્રને દે, જા.’

ઠાકુર શું નરેન્દ્રની અંદર સાક્ષાત્‌ નારાયણનાં દર્શન કરતા હતા?

કીર્તન પૂરું થયા પછી શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડામાં આવ્યા છે અને પ્રેમ દર્શાવીને નરેન્દ્રને મીઠાઈ ખવરાવી રહ્યા છે.

ગિરીશની દૃઢ શ્રદ્ધા છે કે શ્રીરામકૃષ્ણ રૂપે ઈશ્વર અવતર્યા છે.

ગિરીશ (શ્રીરામકૃષ્ણને) – આપનાં બધાં કાર્યો શ્રીકૃષ્ણની જેમ. શ્રીકૃષ્ણ જેમ યશોદાની પાસે ઢોંગ કરતા.

શ્રીરામકૃષ્ણ – હાં. શ્રીકૃષ્ણ તો અવતાર. નરલીલામાં એમ થાય. આ બાજુ ગોવર્ધન ગિરિ ધારણ કર્યો હતો અને નંદરાયની પાસે દેખાડે છે કે પાટલો ઉપાડીને લઈ જતાં મહેનત પડે છે!

ઠાકુર નાની પાટ ઉપર બેઠા છે. સમય અગિયારેકનો હશે. રામ વગેરે ભક્તો ઠાકુરને નવાં વસ્ત્રો પહેરાવવાના છે. ઠાકુર કહે છે ‘ના’, ‘ના’. એક અંગ્રજી ભણેલા માણસને બતાવીને કહે છે કે એ શું કહેશે? ભક્તોએ ખૂબ હઠ કરી એટલે ઠાકુર બોલ્યા, ‘તમે કહો છો એટલે પહેરું છું.’

ભક્તો એ ઓરડામાં જ ઠાકુરના ભોજન વગેરેની તૈયારી કરે છે. ઠાકુર નરેન્દ્રને ગીત ગાવાનું કહે છે.

નરેન્દ્ર ગાય છે : ‘ગાઢ અંધકારે મા, તવ ચમકે અરૂપ -રાશિ, તેથી યોગી ધ્યાન ધરે, થઈ ગિરિગુહા-વાસી….’

નરેન્દ્રે જેવું ગાયું કે ‘સમાધિ-મંદિરે કોણ, રહી તું એકલી બેસી!’ કે તરત જ ઠાકુર બાહ્યભાન રહિત, સમાધિ-મગ્ન. ઘણીયે વાર પછી સમાધિ ઊતરી. એટલે ભક્તોએ ઠાકુરને જમવા માટે આસન પર બેસાડ્યા. હજીયે ભાવનો આવેશ રહ્યો છે. ભાત ખાય છે, પરંતુ બેય હાથે. ભવનાથને કહે છે કે ‘તું ખવડાવી દે.’ ભાવનો આવેશ રહ્યો છે, એટલે પોતે પોતાની મેળે ખાઈ શકતા નથી. ભવનાથ તેમને ખવડાવે છે.

કોન્નગરના ભક્તજનો હોડી ભાડે કરીને આવ્યા છે. તેમણે કીર્તન કરતાં કરતાં ઠાકુરના ઓરડામાં પ્રવેશ કર્યો. કીર્તન થઈ રહ્યા પછી તેઓ નાસ્તો કરવા માટેટ બહાર ગયા. નરોત્તમ કીર્તનિયો ઠાકુરના ઓરડામાં બેઠો છે. ઠાકુર નરોત્તમ વગેરેને કહે કે ‘આ લોકોનું આ તે કેવું કીર્તન? કીર્તન એવું થવું જોઈએ કે સૌ કોઈ નાચી ઊઠે!’

(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૨, પૃ. ૩૪૬-૩૪૭)

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.