બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો – ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power & Its Development’, ‘How to Build Character વગેરે વિશેષ પ્રસિદ્ધિ પામ્યા છે. -સં
શાંતિ બે પ્રકારની છે : એક સાપેક્ષ શાંતિ અને બીજી સંપૂર્ણ શાંતિ.
સામાન્ય વાતચીતમાં આપણે સાપેક્ષ શાંતિની વાત કરીએ છીએ. લાખોમાં એક જણ પણ સંપૂર્ણ શાંતિની વાત કરતો હોતો નથી, કારણ કે સંપૂર્ણ શાંતિની આપણી તાત્કાલિક જરૂરિયાત જણાતી નથી. ખરેખર તો સંપૂર્ણ શાંતિ ઘણા માણસોને સમજાતી નથી એટલે સાપેક્ષ શાંતિ રોજિંદા વ્યવહારમાં કામની હોઈ તે તાત્કાલિક જરૂરિયાત બને છે, એટલે સાપેક્ષ શાંતિ કેવી રીતે મેળવવી તેની અહીં ચર્ચા કરીએ : સાપેક્ષ શાંતિ મેળવવાની ગુપ્ત ચાવી, તે મનનું નિયમન છે (Control of mind). મન આપણો ઘોડો છે, આપણે મનના ઘોડા નથી. હિંદુ માનસશાસ્ત્ર મુજબ મનની વૃત્તિઓ કાબૂમાં આવે અને તેની વચમાં આવતાં વિઘ્નો દૂર થાય, ત્યારે જ સાપેક્ષ શાંતિ પ્રાપ્ત થાય છે. આ કેવી રીતે બને? ભગવદ્ ગીતામાં અર્જુન કહે છે : ‘હે કૃષ્ણ, મન હઠીલું, બળવાન અને અશાંત છે અને તેને કાબૂમાં રાખવું એ પવનને બાંધવા જેવું છે.’ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જવાબ આપે છે : ‘હે અર્જુન, નિઃશંક મન અશાંત અને બહુ મુશ્કેલીથી કાબૂમાં આવે તેમ છે; પરંતુ અભ્યાસ અને અનાસક્તિથી એને કાબૂમાં લાવી શકાય.’
અભ્યાસ અને વૈરાગ્ય સિવાય મનને કાબૂમાં લાવવાનો બીજો રસ્તો નથી. અને તેથી આ બે રસ્તા આપણે સ્પષ્ટતાથી સમજી લેવાની જરૂર છે. ગીતાના આ શ્લોક ઉપર શ્રી શંકરાચાર્ય ટીકા લખે છેઃ ‘અભ્યાસ એટલે ચેતનાની અમુક ભૂમિકાએ અમુક ચોક્કસ વિચારને વારંવાર વાગોળવો અને અનાસક્તિ એટલે દૃશ્ય અગર અદૃશ્ય સુખની તૃષ્ણામાં રહેલ દૂષણોને જોયા બાદ તેમાંથી મુક્તિ. આ અભ્યાસ અને અનાસક્તિ દ્વારા બહારની વસ્તુઓ તરફ જતા વિચારો રોકી શકાય છે.’
જેઓ આ બે શરતો સ્વીકારતા ન હોય તેઓ માનસિક શાંતિની આશા રાખી શકે નહિ. સંપૂર્ણ શાંતિની વાત તો બાજુએ રહી, તેઓ સાપેક્ષ શાંતિ પણ મેળવી શકે નહિ.
એમ પણ કહી શકાય કે મનની અશાંતિનું કારણ મનની અશુદ્ધિઓ છે, જે મનની શાંતિને હણી લે છે. તો માનસિક શાંતિ મેળવવી હોય તો તે અશુદ્ધિઓ દૂર કરવી જ રહી. પણ આ અશુદ્ધિઓ દૂર કરવી એ સહેલું નથી.
શ્રીકૃષ્ણ સતત પ્રયાસની જરૂર ઉપર ભાર મૂકે છે, તદુપરાંત, જીવનમાં સુખની ભૂખ સામાન્ય હોઈ, તે ભૂખને સંતોષવાને અશુદ્ધિઓ મનને વળગી રહે છે અને તેથી અશુદ્ધિઓથી અલગ થવું જરૂરી છે. આ અશુદ્ધિઓ કેવી છે? હિન્દુ માનસશાસ્ત્ર મુજબ આ અશુદ્ધિઓની સરખામણી આયના ઉપર પડેલી ધૂળ સાથે થાય છે અથવા વધારે સારી રીતે કહીએ તો તેઓને રંગીન વસ્ત્ર ઉપરના રંગો સાથે સરખાવવામાં આવે છે.
અદેખાઈ, તિરસ્કાર, ગુસ્સો, ભય, ઇર્ષ્યા, વાસના, લોભ, મિથ્યાભિમાન વગેરે અશુદ્ધિઓ આપણા મન ઉપર સવાર થઈને શાંતિને હણી નાખે છે. આ અશાંતિને દૂર કરવા આપણે શું કરવું જોઈએ? યોગસૂત્રમાં ભગવાન પતંજલિ તેનો ઉપાય બતાવે છે કે, નીચેના ગુણોનો વિકાસ થાય તો મનની શાંતિ મેળવી શકાય છે :
૧. સુખીની સાથે મિત્રતા
૨. દુ:ખી તરફ કરુણા
૩. સારપમાં આનંદ
૪. દુષ્ટતા તરફ બેપરવાઈ
બીજાના સુખે સુખી થનાર માણસના મનને નિર્મળતાની હવા મળે છે અને તેમાં ઇર્ષ્યા વગેરેનાં આંદોલનો આવતાં નથી.
બધા સાથે આવી મિત્રતાની લાગણી ઉપર ભાર મૂકતાં બુદ્ધશાસ્ત્ર ‘સુત્તનિપાત’ જણાવે છે કે બધા તરફ સંપૂર્ણ ભલી લાગણી એ માનસિક શાંતિનો ઉમદા ઉપાય છે, આપણે આપણા હૃદયપૂર્વકના ભાવથી ફરી એક વાર કહીએ કે, ‘જીવ માત્ર સુખી અને સલામત હો; તેઓ સર્વ માનસિક સુખ ભોગવો.’
આ મુદ્દા ઉપર ‘સુત્તનિપાત’ સ્મરણીય સૂત્રો રજૂ કરે છે જે બીજા કોઈ શાસ્ત્રમાં જોવામાં આવતાં નથી. આપણે આ શબ્દોનું રોજ સવારે મનન કરીશું તો આપણી પોતાની જાતની એક સારી સેવા થઈ ગણાશે – તે આ મુજબ છે :
એક માતા પોતાની જિંદગીના ભોગે પણ પોતાના બાળકની કાળજી રાખે છે, તેવી જ રીતે આપણે પણ દરેક તરફ સંપૂર્ણ મિત્રતા કેળવવી જોઈએ. આખા વિશ્વ તરફ ભલી લાગણી અને મિત્રતા, ઉપર નીચે, આગળ પાછળ (ચારે તરફ) કોઈ અડચણ, તિરસ્કાર કે વેરવૃત્તિ વગર કેળવવી જોઈએ. ઊભા રહેતાં, ચાલતાં, બેસતાં અને જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ મુજબ મનની સ્થિતિ હો.’
આપણે સૌ જાણીએ છીએ કે અત્તરની શીશી સંપૂર્ણ ખાલી કર્યા બાદ પણ કેટલોક વખત તેમાં સુગંધ રહે છે તેવી જ રીતે જો આપણે આવા વિચારનું દરરોજ સવારમાં મનન કરીએ તો તેની અસર આપણા આખા દિવસના વિચાર અને કામ ઉપર જરૂર થશે.
આપણે બહુ સહેલાઈથી આમ બોલીએ છીએ ખરા, પરંતુ વિશ્વબંધુત્વની લાગણી એકાએક પેદા થવી મુશ્કેલ છે. પ્રયાસ જરૂરી છે. સર્વ રીતે આપણે ક્ષુલ્લક પ્રાણી જ છીએ તેથી આપણને થોડામાં સંતોષ થાય છે, હૃદય આપણાં છીછરાં છે તેને વિશાળ કરવાં મુશ્કેલ છે. આપણને લાભકર્તા હોય તેમનું આપણે ભલું ઈચ્છીએ પરંતુ જે કોઈ લાભકર્તા નથી તેના તરફ આપણે ઘણું ખરું બેદરકાર હોઈએ છીએ. જેને શત્રુ માન્યા તેમને માટે આપણે નરક ઈચ્છીએ છીએ, પરંતુ એ ભૂલવું ન જોઈએ કે આપણે પોતાને માટે નરકનું જોખમ લીધા સિવાય બીજા માટે નરકની ઇચ્છા થાય જ નહિ, તેથી વિશ્વબંધુત્વની ભાવના કેળવવી જ જોઈએ અને તે આપણા પોતાના હિતમાં છે. આવો વિશ્વબંધુત્વનો સદ્ભાવ ખીલવવામાં આપણે પગથીએ પગથીએ આગળ વધવું પડશે.
(૧) મહર્ષિ પતંજલિએ સૂચવ્યા મુજબ બીજાને સુખી જોઈને આપણે સુખી થવું જોઈએ.
(૨) જેઓ દુઃખી છે તેના તરફ કરણા રાખવી જોઈએ. પીડાઈ રહેલાની સેવા એ જ સક્રિય કરુણા અગર દયા છે. મનુષ્ય બધાં જ પ્રભુનાં સંતાન છે એવી સમજપૂર્વક સેવા કરવી એ જ સાચું શુદ્ધીકરણ છે. આ સમજમાં જરા પણ ખામી હશે તો તે આપણા મનને અશાંત બનાવશે. આપણે અવશ્ય મહાન છીએ. ખરી રીતે તો આપણે પરમ ચૈતન્ય સાથે એક છીએ અને તેથી આપણે મનથી જેટલા સંકુચિત થઈશું તેટલા આપણે આપણા અસલ-સાચા સ્વભાવને જાણી શકીશું નહિ અને આપણાં દુ:ખમાં અવશ્ય વધારો થશે. સંકુચિતપણાનો ભાવ કાઢી નાખો અને જોશો કે તમારી અંદર દરેક બાજુથી આનંદ આવશે. સેવા આપણા હૃદયને વિશાળ બનાવશે અને સંકુચિતતાના વિષાદથી મુક્તિ આપશે અને તેનાથી આપણે ભીતરમાં આનંદ અને શાંતિ અનુભવીશું.
(૩) સારપમાં આપણી ખુશી હોય, આપણે જ્યારે તેમાં ખુશ હોઈએ છીએ ત્યારે તે સારાપણાનો ગુણ આપણામાં આવે, એવો ઉદ્યોગ કરવા પ્રેરાતા હોઈએ છીએ, એને પામવા મથીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે પ્રભુ ભલો છે તો સ્વાભાવિક રીતે જ ભલાઈ હંમેશાં ભલાઇ તરફ જ જશે; એટલે કે પ્રભુને પામશે અને પ્રભુને પામવું એટલે પરમ શાંતિ મેળવવી.
(૪) આપી દુષ્ટતા તરફ બેદરકાર રહેવું. અલબત્ત, દુષ્ટતાને ભલાઈમાં ફેરવવાનું કામ ભવ્ય અને ઉમદા છે, પરંતુ તે કામ તો જેઓ પોતે સામાન્ય માણસમાં જણાતા દોષોથી મુક્ત થયા છે, જેમણે પોતાનો વિકાસ સદાચારના ગુણો ખીલવી આગળ ધપાવ્યો છે, તેમને માટે છે. આપણા જેવા સામાન્ય માણસો, કે જેઓ પોતાનું મન કેમ પવિત્ર બનાવવું તે પણ જાણતા નથી, અથવા જેઓના મનમાં અનેક ખોટી ધારણાઓ ભરેલી છે, તેમને માટે એ કામ નથી. તેથી જેઓ પોતાની મનની શાંતિ મેળવવા ઈચ્છતા હોય, તેવાઓએ દુષ્ટ અને અનિષ્ટથી દૂર રહેવું જોઈએ અને આ એક જ રસ્તે આપણા મનની શાંતિની આડે આવતી વિપત્તિને આપણે દૂર કરી શકીશું.
જેઓ અનૈતિક જીવન જીવે છે તેમને પાપી ગણવા જોઈએ. આપણે એમની સોબતમાં ન રહીએ, તે બરાબર છે. પરંતુ તેમને ધિક્કારવા ન જોઈએ. પરંતુ તેઓ સુધરી જાય તે માટે નીચેની પ્રાર્થનાનું રોજ રટણ કરવું જોઈએ :
‘પાપી સદાચારી બનો. સદાચારી શાંતિ મેળવો. તેમની શાંતિ બંધનરહિત હો. મુક્ત બીજાને મુક્ત કરો.’
આપણે માટે આપણે પ્રાર્થના કરીએ છીએ તેમ તેમને માટે પ્રાર્થના કરતાં આપણાં હૃદય શુદ્ધ થશે. આ રીતે આપણે મહર્ષિ પતંજલિએ બતાવેલી માનસિક શાંતિ મેળવવાની ચાર રીતો જોઈ.
પરંતુ આપણે હમણાં જ આ રીતો અજમાવવા જઈએ તો આપણે નહિ ધારેલા વિચિત્ર વિચારો અને વૃત્તિઓ ઉત્પન્ન થશે અને આપણા પ્રયત્નો નિરાશામય બની જશે. આવા વિચારો આવે, તેની સામે કેમ કામ લેવું, તે આપણે જાણવું પડશે. આપણે જો ખોટા વિચારને નહિ રોકીએ, તો ખોટાં કર્મને પણ નહિ રોકી શકીએ. કારણ કે, વિચાર, એ કર્મનું બીજ છે.
આ બાબતમાં પણ મહર્ષિ પતંજલિ આપણને ઘણા ઉપયોગી અને સહેલા ઉપાય સૂચવે છે. તેઓ ‘પ્રતિપક્ષ- ભાવનમ્’માં કહે છે : શત્રુતા ભરેલા વિચાર આવે તો તેની વિરુદ્ધ વિચાર કરવો.
દાખલા તરીકે આપણે જોઈએ કે, ક્રોધનું મોજું આવવાની તૈયારીમાં છે-અને તે આપણી શાંતિને હરી લેશે- તો તે જ વખતે ક્રોધના વિરુદ્ધનું પ્રેમનું મોજું ઊભું કરવું. જો કોઈ અયોગ્ય વાસનાનું આક્રમણ થાય, તો રામ, કૃષ્ણ, બુદ્ધ, ક્રાઇસ્ટ વગેરે પવિત્ર ચેતનાનો વિચાર કરી પવિત્રતાનું મોજું ઊભું કરવું.
આમ કરવામાં એ યાદ રાખવાની જરૂર છે કે, આવી રીતે વિરોધી વિચારોનું મોજું જો ખોટો વિચાર આવ્યો તે જ વખતે ઊભું કરવામાં આવે તો ઉપયોગી થશે. એક એવી ભૂમિકા છે, કે જ્યારે ક્રોધ એ એક પરપોટો જ હોય, પરંતુ પાછળથી મનુષ્ય એવી ભૂમિકાએ પહોંચે છે કે માણસ પોતે જ ક્રોધરૂપ બની જાય છે. જ્યારે આખું ઘર સળગી ઊઠે છે. ત્યારે બંબો બહુ કામ આવતો નથી. સતત સાવધાનીની ખાસ આવશ્યકતા છે. શહેરમાં બંબાવાળા તેમના બંબાને નિરંતર તૈયાર રાખે છે. બરાબર તે જ પ્રમાણે આપણે શુભ વિચારોને કાયમ તૈયાર રાખવા કે જેથી જ્યારે પણ ખોટો વિચાર આવે કે તુરત આપણે શુભ વિચાર ઉગામી શકીએ.
આનો અર્થ એટલો જ કે, આપણે આપણા મનને સતત તપાસતા રહેવું જોઈએ. અસાવધ માણસ એકદમ મૂર્ખ બની જાય છે. તેને મનની શાંતિ હોતી નથી. તદુપરાંત પોતાના મનને એવુ બગાડી મૂકે છે કે જેમાં અશાંતિ જ હોય અને તે અશાંતિ જલદી દૂર થતી નથી. આ બગાડ ઉપરછલ્લો નથી પરંતુ ઊંડી ગયેલી ટેવો છે. અને આ ખોટી ટેવો મજબૂતી અને આગ્રહપૂર્વક આચરેલી શુભ ટેવોથી જ દૂર કરી શકાય છે.
જોકે આપણામાં દૂષણો ઘણાં જ છે અને આપણે નિરુત્સાહી બનીએ છીએ. તો પણ નિશ્ચય કરીશું, તો નિરાશ થવાનું કોઈ કારણ નથી. ખરી રીતે તો આપણા નિમ્ન સ્વભાવ (Lower nature)નો આ પડકાર ઝીલી લેવામાં જ બહાદુરી છે. ભગવાન બુદ્ધે શાક્ય સેનાના વડાને કહેલું કે, ‘ઓ સિંહા, જે લડાઈ જીતે એ સેનાપતિ મોટો છે, પણ જે પોતાની જાતને જીતે છે, તે તેથી પણ મહાન છે.’
હું ધારું કે, આપણી અશુદ્ધિઓને એક પછી એક દૂર કરવાનું કામ શરૂઆતમાં મુશ્કેલ લાગશે. આપણે નિરાશ થઈને પૂછીએ છીએ, ‘તો પછી માનસિક શાંતિ મેળવતાં કેટલો સમય લાગશે?’
પરંતુ માનસિક શાંતિ મેળવવા માટે આપણે અશુદ્ધિઓ અને દોષો એક પછી એક દૂર કરવા જોઈએ એવી ખાસ જરૂર નથી – જો એમ કરીશું તો કદાચ આપણને સ્મશાનની શાંતિ મળશે, પણ આવી શાંતિની આશા કોણ રાખે? આપણે તો એવી શાંતિ જોઈએ કે, જે આપણે ચોવીસ કલાક અનુભવીએ, જ્યારે આપણે પૂર્ણ ઉત્સાહ અને શક્તિથી જીવતા હોઈએ ત્યારે પણ અનુભવીએ.
તેથી જો આપણે આપણા દોષો, નિર્બળતાઓ અને અશુદ્ધિઓનાં મૂળ શોધી કાઢીએ, અને તે મૂળ ઉપર જ હુમલો કરીએ, તો આપણું કામ વધારે સહેલું થાય.
એવું કોઈ મૂળ છે કે જે આપણને જડે? હા, છે. મહર્ષિ પતંજલિ કહે છે કે, અસ્મિતા (Egoism) અહં એ બધી અશુદ્ધિઓ અને દોષોનું મૂળ છે, ‘અસ્મિતા’ શું છે? તે પતંજલિ જણાવે છે : ‘જોવા માટેની ઇન્દ્રિય સાથે જોનાર જ્યારે એકતા અનુભવે, ત્યારે તેને અસ્મિતા કહેવાય છે.’ (યોગસૂત્ર ૨-૬)
તો જોનાર કોણ અને જોવા માટેની ઇન્દ્રિય કઈ? આપણે વેદાન્તના અભ્યાસથી જાણીએ છીએ કે, મનુષ્ય એ શુદ્ધ ચૈતન્ય છે અને તે અનંત અને શાશ્વત છે, તે આત્મા એ નામથી ઓળખાય છે, અને તે આત્મા તે જ જોનાર છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો એ જોવા માટેનાં સાધનો છે. હવે જ્યારે જોવા માટેનાં સાધનો તે જ જોનાર છે એવી સમજ ઊભી થાય તે જ ‘અસ્મિતા’ કહેવાય. આપણે બરાબર સમજી લેવાની જરૂર છે કે, જ્યાં સુધી આપણે અને આપણી જોવાની ઇન્દ્રિયો એ એક જ છીએ, એમ સમજીશું ત્યાં સુધી આપણે માનસિક શાંતિ મેળવી શકીશું નહિ. ‘મારું મન તે જ હું છું’ એમ જો વિચારીશું તો માનસિક શાંતિ મળશે નહિ.
તેથી જોનાર અને જોવાનું સાધન એ બે વચ્ચેનો તફાવત સતત પારખવો જોઈએ; અને જોનારને સાધન સાથે કોઈ રીતે સંડોવવો જોઈએ નહિ, અને આ આપણી અશાંતિના મૂળને છેદવાની ચાવી છે. આપણે આપણી જાતને સાવવું જોઈએ કે મન અને ઇન્દ્રિયો મારાથી જુદાં છે, જેવી રીતે સિનેમાના પડદા ઉપરનું ચિત્ર પડદાથી જુદું છે. અને જો એમ ન હોય તો પડદાના ચિત્રમાં રહેલ ઘરમાં આગ લાગે ત્યારે ખરા પડદા અને સિનેમાના મકાનમાં પણ આગ લાગવી જોઈએ. પરંતુ આપણે મન સાથે એટલા બધા એકરૂપ થઈ ગયા છીએ કે જ્યારે મનમાં આગ લાગે ત્યારે આપણને જ આગ લાગી હોય એમ સમજીએ છીએ.
પરંતુ ખરી રીતે આમ હોવું ન જોઈએ. વિશ્વની કોઈ વસ્તુ શુદ્ધ ચૈતન્યને હલાવી શકે તેમ નથી. અસ્મિતાને લીધે જ્યારે આપણે જોનાર અને જોવાનું સાધન એ બન્નેને એક માનીને વારંવાર ચાલીએ છીએ, ત્યારે આપણને સુખ કે દુઃખનો અનુભવ થાય છે અને તે માનસિક શાંતિને અટકાવે છે.
પતંજલિના કહેવા મુજબ આપણને સંપૂર્ણ ખાતરી થાય કે જોનાર અને જોવાનાં સાધન, મન વગેરે આત્માથી જુદાં છે ત્યારે જ ખરી અનાસક્તિ વિકસે છે. વળી, આત્મા અને મન જુદાં છે એ જાણવું પૂરતું નથી. મનને અંકુશમાં લેવું પડશે અને એના તરંગોને દૃઢતાપૂર્વક કાબૂમાં રાખવા પડશે.
કેવી રીતે મનને અંકુશિત કરાય અને તેના તરંગોને કાબૂમાં રાખી શકાય? શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી બ્રહ્માનંદ કહે છે કે, ‘તમે ધ્યાન ન કરો ત્યાં સુધી મન કાબૂમાં ન આવે અને મન કાબુમાં ન હોય, તો ધ્યાન થાય નહિ. પરંતુ તમે એમ સમજો કે પહેલાં મન કાબુમાં લઈશ, અને પછી ધ્યાન કરીશ તો તમે કદાપિ અધ્યાત્મ માર્ગ ઉપર આગળ વધી શકશો નહિ, બન્ને કાર્યો એકસાથે કરવાં પડશે, મનને સ્થિર કરો અને ધ્યાન ધરો.’
મનની સ્થિરતામાં જ ધ્યાન શક્ય છે. ધ્યાનના અભ્યાસ વિના મનની સ્થિરતા શક્ય નથી અને તેથી માનસિક શાંતિની ઇચ્છા રાખનારે ધ્યાનનો મહાવરો રાખવો જરૂરી છે.
મનના તરંગોને શાંત કરવાનો એક રસ્તો એ છે કે જેને ઘણા માણસો ધ્યાનની શરૂઆતમાં અજમાવે છે. તે એ છે કે, થોડો સમય શાંત બેસવું અને મનની હિલચાલ તપાસતા રહેવું અને જાણવું કે, વિચારના તરંગોથી આપણે જુદા છીએ. પરંતુ જ્યારે કોઈ ખોટો વિચાર આવે કે તરત જ તેને કહેવું અને તેને ઠસાવવું કે, આપણે તે વિચાર સાથે જોડાવા નવરા નથી. સ્પષ્ટ રીતે આપણી નાપસંદગી તેને જણાવવી. વળી, જો કોઈ સારો વિચાર આવે તો વધાવી લેવો.
આ રીતે ઘણી ધીરજ અને તકેદારીથી આપણે મનની અશુદ્ધિઓ દૂર કરી શકીએ. જેટલે દરજ્જે આપણે આ અશુદ્ધિઓ દૂર કરી શકીશું. તેટલે દરજ્જે આપણે મનને કાબૂમાં રાખી શકીશું અને ધીમે ધીમે આપણે શાંતિ મેળવી શકીશું.
સો વાતની એક મુખ્ય વાત એ છે કે, મનની શાંતિ મનને કાબૂમાં લાવ્યા સિવાય આવશે નહિ. પરંતુ એટલું બરાબર ધ્યાનમાં રાખવું કે, મનને શાંત કરવાની આ રીત સહેલી નથી. એ લાંબી તકેદારી અને આચરણ તથા બુદ્ધિ અને સાવધાની માગી લે છે. પણ નક્કર અને નિશ્ચિત રીત છે. જે માણસ લાંબા સમય સુધી તેને અનુસરે છે તેને મનની શાંતિ જરૂર મળે છે.
મનની શાંતિ માટે મનોવૈજ્ઞાનિક રીતની આવશ્યકતા છે અને તે માટે આપણે લાયક નથી, એમ આપણે માની બેઠા છીએ, ‘આવી રીતે, મારે મનની શાંતિ મેળવવી છે.’ એ વિચાર જ આપણા મનની શાંતિ હરી લે છે. તો પછી શું? આપણામાંના સામાન્ય માણસો માટે માનસિક શાંતિ શક્ય નથી? બીજી કોઈ સરળ રીત નથી? આપણને માત્ર આમ કરો અને તેમ કરો, એમ જ કહી દેવામાં આવે, તો મનની શાંતિ મળશે એમ આપણે ઈચ્છીએ છીએ. પેલી મનની ગૂંચવણોના ઊંડાણમાં આપણે જવા માગતા નથી. એવા વિચાર માત્રથી પણ આપણું તો માથું ભમી જાય છે. અને આપણે ગોટાળામાં પડી જઈએ છીએ.
ખરેખર સહેલી રીતો છે, પરંતુ તેનું ય મનોવિજ્ઞાન તો તેનું તે જ છે. પરંતુ આપણે જે કરવાનું છે, તે સંબંધી વિચાર આપણા માથામાં ભલે ઘૂસવા ન દઈએ, પણ તેની સાથે આપણા મનમાં એવી ભ્રમણા ન હોવી જોઈએ કે, સહેલી રીતોમાં આપણે જાતે કંઈ જ કરવાનું નથી.
મનની શાંતિ તો ધન, વિદ્યા, કીર્તિ, ભૌતિક સુખો અને જીવનમાં મળતા અનેક ભોગો કરતાંય કીમતી છે. અને તેથી તે શાંતિ મેળવવા જે કિંમત ચૂકવવી પડે, તે ચૂકવ્યા સિવાય તે મળે તેમ નથી. એટલે એમ પણ માનવાનું નથી કે, ‘આ કરો અને આ ન કરો’ એવી રીત બિલકુલ બિનજરૂરી છે.
આ રીત અગર આ રસ્તાને મનોવૈજ્ઞાનિક નહિ, પણ ધાર્મિક એવું નામ આપી શકાય. પ્રથમ તો જીવનની કેટલીક અનિવાર્યતાઓ સ્વીકારવી પડશે. આપણામાંના ઘણા આવી અનિવાર્યતાઓ સાથે હઠપૂર્વક તકરાર કરતા હોઈ માનસિક શાંતિ ગુમાવે છે. તેઓ આ અનિવાર્યતાઓનો સ્વીકાર કરતા નથી. વહેલું કે મોડું જે સ્વીકારવાનું જ છે, તે હમણાં નહિ સ્વીકારીએ તો પછી ધક્કા ખાઈનેય સ્વીકારવું જ પડશે. પરંતુ આવા ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. મનની શાંતિનો પ્રશ્ન ઊભો થાય કે તરત જ તેને માટે જરૂરી એવી અનિવાર્યતાઓને સ્વીકારી લેવી જોઈએ.
જીવનની આ કઈ અનિવાર્યતાઓ છે? એ મુખ્ય પાંચ છે :
(૧) યુવાની એક વખત ચાલી જશે અને વૃદ્ધાવસ્થા આવશે. તે નિવારી શકાય તેમ નહિ.
(૨) કોઈ રોગ કોઈ વખત આવશે. તે નિવારી શકાશે નહિ.
(૩) મૃત્યુ કોઈ વખત આવશે. તે નિવારી શકાશે જ નહિ.
(૪) જે જે ચીજો આપણને ખૂબ ગમે છે, તે સઘળીમાં પરિવર્તન, સડો અને તેનો વિયોગ નક્કી જ છે અને તે નિવારી શકાય તેમ નથી.
(૫) આપણા સારા કે નરસા વિચાર અને કર્મનાં ફળ આપણે ભોગવવાં જ પડશે. તે નિવારી શકાય તેમ જ નથી. આપણે આ પાંચ અનિવાર્યતાઓનો અને એની અસરોનો સ્વીકાર કરીએ કે તરત જ માનસિક શાંતિ મેળવવાની ભૂમિકા મળી જશે.
અને આ ભૂમિકા ઉપર આપણે પાંચ હકારાત્મક સૂત્રોનું પાલન કરવું પડશે અને ત્યારે આપણે શાંતિના ધામમાં આગળ વધીશું.
આ હકારાત્મક સૂત્રો ક્યાં છે?
૧. આપણે નીતિમય જીવન જીવવું જોઈએ. અનીતિવાળો અને ચારિત્ર્યહીન મનુષ્ય માનસિક શાંતિ મેળવી શકે નહિ. નીતિ ઉપર ચર્ચા કે સંવાદની જરૂર નથી. દરેકે ખરા અને ખોટાનો વિચાર કરીને પોતાનું જીવન ગોઠવવું જોઈએ.
૨. શુદ્ધ જીવનને માટે ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. કારણ કે એમ કર્યા સિવાય નીતિમય જીવન જીવી શકાશે નહિ. આપણે આપણા કુટુંબ તરફ, આપણા ઉપરી તરફ, સમાજ તરફ, દેશ તરફ અને આખી માનવજાત તરફની જવાબદારી સંપૂર્ણ પ્રેમપૂર્વક બજાવવી જોઈએ. આમ કરવામાં જે ચૂકે, તેને માનસિક શાંતિ મળે નહિ અને તેનું અંતઃકરણ એને ડંખતું રહે. આપણી ફરજના ખ્યાલમાં અતિશયોક્તિ ન હોવી જોઈએ, અને સાથોસાથ, આપણા સ્વાર્થ ખાતર એને ઓછી પણ આંકવી ન જોઈએ.
૩. જીવનનો આદર્શ ઉમદા હોવો જોઈએ અને તે આદર્શને પ્રેમથી અને અંતઃકરણપૂર્વક વળગી રહેવું જોઈએ કે જેથી આપણા અંતઃકરણમાં સંતોષ રહે. જેને જીવનમાં કોઈ આદર્શ નથી, તેને નવરાશના વખતે મનને ક્યાં રોકવું તે સમજાતું નથી અને તે કાયમ માટે અશાંત રહે છે. જ્યારે આદર્શ ઉચ્ચ હશે, તો મનમાં ઉમદા વિચારોનો ઉદય થશે.
૪. આપણે આપણી જાત ઉપર, આપણા સાથીદારો તેમ જ પરમાત્મા ઉપર શ્રદ્ધા રાખી હિંમતપૂર્વક સહનશીલતા અને સબૂરીથી કાર્ય કરતાં શીખવું. બીજાના દોષો જણાય તો તે ગમે તેટલા હોય તો પણ માફ કરવા તેમ જ આપણા ઉપર – ઉપરના અનુભવો તેમ કરવા ના પાડે તો પણ મનુષ્યમાત્રમાં જે સ્વાભાવિક સારાપણાનો ભાવ રહેલો છે, તેના ઉપર વિશ્વાસ રાખવો.
૫. મનનો બગાડ સમૂળો બંધ કરવો. એક જાણીતી વાત છે કે, એક માણસ પોતાની માંદી પત્નીને મનોવૈજ્ઞાનિક ચિકિત્સક પાસે લઈ ગયો, તેણે તપાસીને જણાવ્યું કે, ‘તેનું મન તદ્દન ખલાસ થઈ ગયું છે.’ તેના પતિએ જવાબ આપ્યો કે, ‘તેથી નવાઈ લાગતી નથી. કારણ કે છેલ્લાં વીસ વરસથી તે દરરોજ મનની થોડી થોડી શાંતિ ખોતી રહી હતી.’ આપણે બધા પણ દરરોજ કંઈક આવું જ કરી રહ્યા હોઈએ છીએ. આપણે આપણા મનની શક્તિ તદ્દન નિરુપયોગી કલ્પનાઓમાં, નકામી ચર્ચાઓમાં, ઉપયોગી ન હોય એવી બાબતોનો વિચાર કરવામાં, હવાઈ કિલ્લા બાંધવામાં અને જાગતાં સ્વપ્ન જોવામાં વાપરી નાખીએ છીએ. આવી રીતે મનની શક્તિ વેડફાતી હોય, તો મન મજબૂત બની શકે નહિ. નબળું મન એ માંદુ મન છે અને માંદા મનમાં શાંતિ સંભવી શકે નહિ. તેથી આપણે મનનો બધો બગાડ થતો અટકાવવો જોઈએ. છેવટે તો મજબૂત મન એ જ મનની શાંતિ છે.
આ છે પાંચ હકારાત્મક સૂત્રો.
તો પાંચ નકારાત્મક સૂત્રો ક્યાં છે?
(૧) જો આપણને મનની શાંતિ જોઈતી હોય, તો આપણને કોઈ દુઃખ પડે છે, તે અન્યાય છે એમ ન સમજવું જોઈએ. આપણી ઇચ્છા મુજબ બધું થાય, ત્યારે તે સંપૂર્ણ જ છે, એમ ધારવું ન જોઈએ.
(૨) આપણા જીવનમાં લાલચો, કસોટીઓ, દિલગીરીઓ, વગેરે કોઈ સેતાન તરફથી આવે છે, એમ સમજવું ન જોઈએ. રહસ્યવાદીઓ (Mystics) જણાવે છે કે, આ થાય છે તે પરમાત્માની કરુણાની નિશાની છે.
(૩) બીજાઓના વ્યવહાર (Behaviour) ઉપર કોઈ અવિચારી અભિપ્રાય આપશો નહિ. તેમ જ કોઈના કામમાં તમને પૂછવામાં ન આવે ત્યાં સુધી માથું મારશો નહિ.
(૪) આપણા ઉપર પરમાત્માની વિશિષ્ટ કૃપા છે, એમ ધારશો નહિ. તેમ જ આપણી નબળાઈઓ અને દુરાચરણો માટે પણ અતિશયોક્તિભર્યા વિચાર કરશો નહિ. આપણા સર્વેમાં અંતર્ગત શક્તિઓ રહેલી છે જ, પરંતુ તે શક્તિઓ ખુલ્લી થવામાં દરેક વ્યક્તિ માટે સરખો સમય નથી હોતો, અને તેથી કોઈ પણ બે વ્યક્તિઓમાં તફાવત માલૂમ પડે છે અને તેથી આપણી શક્તિ ગમે તેટલી વ્યક્ત (Manifest) થઈ હોય, તો પણ વધારે પડતી આકાંક્ષા ન રાખવી જોઈએ. સાથોસાથ, આપણે આપણી શક્તિઓમાં અશ્રદ્ધાવાળા અને શંકાવાળા પણ ન રહેવું જોઈએ.
(૫) બીજાના દોષ નહિ જોતાં આપણે આપણા પોતાના દોષ જોવા જોઈએ. તેમ જ કોઈને પણ અપરિચિત નહિ સમજવો જોઈએ. આવું આપણને શ્રીશ્રી શારદાદેવીએ શીખવ્યું છે.
ઉપર બતાવેલી પાંચ અનિવાર્યતાઓ સ્વીકારીએ, અને પાંચ હકારાત્મક અને પાંચ નકારાત્મક સૂત્રોનું પાલન કરીએ, તો જરૂર મનની શાંતિ મળે.
ભાષાંતર : શ્રી ગણપતરામ હ. વ્યાસ
(‘પ્રબુદ્ધ ભારત’ સપ્ટેમ્બર ૧૯૭૬માંથી સાભાર)
Your Content Goes Here





