સારું હોય કે નરસું, પરંતુ ધર્મના આ આધ્યાત્મિક આદર્શનો પ્રવાહ ભારતમાં હજારો વર્ષથી વહી રહ્યો છે; સારું હોય કે નરસું પણ દેદીપ્યમાન સૈકાઓથી ભારતનું વાતાવરણ આ જ ધર્મના આદર્શોથી ભરેલું રહ્યું છે; સારું હોય કે નરસું, પણ આપણે આ ધાર્મિક આદર્શો વચ્ચે જન્મ્યા છીએ અને ઉછર્યા છીએ, તે એટલે સુધી કે ભારતમાં ધર્મ હજારો વર્ષથી આપણા લોહીમાં વહી રહ્યો છે. આપણી નસોમાં લોહીના કણેકણમાં એ ઝંકૃત થઈ રહ્યો છે, આપણા અસ્તિત્વમાં તદ્રૂપ બની ગયો છે, આપણા જીવનનું સત્ત્વ બની ગયો છે. આપણા જીવનમાં પ્રત્યાધાતની એટલી જ શક્તિને ઉત્તેજ્યા વિના, હજારો વર્ષના ગાળા દરમ્યાન એ મહાન નદીના પ્રવાહે કોતરેલી નહેરને પૂરી દીધા વિના, તમે આવા ધર્મને છોડી દઈ શકો ખરા? ગંગાએ પોતાના હિમમય મૂળ-ગંગોત્રીમાં પાછા જઈને શું નવા માર્ગ કોરી કાઢવા, એમ તમે ઇચ્છો છો? અરે, એ કદાચ સંભવિત હોય, તો પણ આ દેશ માટે ધર્મનો પોતાનો લાક્ષણિક માર્ગ છોડી દઇને રાજકારણનો કે બીજા કશાનો નવો માર્ગ લેવાનું તો અશક્ય છે, તમે “ઓછામાં ઓછા પ્રતિકારના સિદ્ધાંત” અનુસાર જ વર્તી શકો; અને ભારતમાં આ ધાર્મિક પ્રણાલી જ ઓછામાં ઓછા પ્રતિકારની પ્રણાલી છે. આ ધર્મમાર્ગે ચાલવું એ ભારતનો જીવનપથ છે, ભારતનો વિકાસપથ છે અને એ જ ભારતનો કલ્યાણ-૫થ છે.
મારો કહેવાનો ભાવાર્થ એવો નથી કે બીજી બાબતો આવશ્યક નથી. હું એમ પણ કહેવા માગતો નથી કે રાજકીય અને સામાજિક સુધારણા જરૂરી નથી. હું જે કહેવા માગું છું તે આ છે અને તમે મનમાં બરોબર સમજો કે તે ગૌણ છે અને ધર્મ પ્રધાન છે. ભારતીય માનસ પ્રથમ ધાર્મિક છે, તે પછી બીજું બધું છે. આપણું જીવન-રક્ત આધ્યાત્મિક્તા છે. તે જો નિર્મળ હશે; જો તે સશક્ત, શુદ્ધ અને જોમવાન વહેતું હશે, તો બધું યથાસ્થાન રહેશે; રાજકીય, સામાજિક કે અન્ય કોઈ ભૌતિક ક્ષતિઓ, દેશની ગરીબાઈ સુધ્ધાં, જો લોહી શુદ્ધ હશે, તો તે બધાનું શમન થશે. નવી પદ્ધતિ કેટલો વધુ આધ્યાત્મિક વિકાસ સાધી શકશે એ બતાવીને જ ભારતમાં સામાજિક સુધારાનો ઉપદેશ આપવો ઘટે; રાષ્ટ્રને જોઈએ છે એ તેની આધ્યાત્મિક્તાને કેટલી વધુ ઉન્નત કરશે તે સિદ્ધ કરીને જ રાજનીતિનો ઉપદેશ આપવો ઘટે.
– સ્વામી વિવેકાનંદ
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’ (દ્વિતીય સંસ્કરણ)માંથી, પૃ. સં. ૨૧-૨૨)
Your Content Goes Here




