શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે; બધા આદર્શો મૃત્યુ પામશે; અને એના સ્થાને વિષયલાલસા અને વિલાસના જોડારૂપ પુરુષ અને સ્ત્રી દેવતા તરીકે રાજ્ય કરશે. પુરોહિતને સ્થાને ધન બેસશે; દગાબાજી, અત્યાચાર અને સ્પર્ધાઓ તેની પૂજાવિધિઓ બનશે અને માનવ-આત્માનું બલિદાન અપાશે. આવું કદી બની શકે નહીં

ફરી એક વાર ચક્ર ઊંચે ચડી રહ્યું છે, ફરી ભારતમાંથી સ્પંદનો ગતિમાન બન્યાં છે, જેનું નજીકના ભવિષ્યમાં દુનિયાની અંતિમસીમાઓ સુધી પહોંચવા માટે નિર્માણ થયું છે. માનો, અરે માનો કે આદેશ થઈ ચૂક્યો છે. ઈશ્વરીય આજ્ઞા નીકળી ચૂકી છે કે ભારતનું ઉત્થાન અવશ્ય થશે. ભારતની જનતા અને પ્રજા સુખી થવાના છે…. આપણાં કાર્ય ઉપર ભાવિ ભારતમાતાના આગમનનો આધાર છે. તે રાહ જોતી ઊભી છે… એક મહાન ભાવિ-ભારત સર્જવાનું સઘળું રહસ્ય સંગઠનમાં, શક્તિને એકત્રિત કરવામાં, સૌની ઇચ્છાશક્તિઓના સમન્વયમાં સમાયેલું છે…. મારા ભાઈઓ, ચાલો આપણે સૌ સખત કામે લાગી જઈએ, આ સમય સૂઈ રહેવાનો નથી… ઊઠો, ઊઠો, દીર્ઘરાત્રી પૂરી થવા આવી છે. દિવસ ઊગવાની તૈયારી છે. ભરતીનું મોજું ઊંચે ચડ્યું છે, એના પ્રચંડ જુવાળને રોકી શકાશે નહીં…. યુગ યુગાન્તરથી વ્યાપી રહેલી રાત્રીનું અવસાન થતું જણાય છે. ભારે કષ્ટદાયક એવી દુદર્શાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંતો બની ઊઠતો દેખાય છે. … આપણી આ માતૃભૂમિ પોતાની દીર્ઘ ગાઢ નિદ્રામાંથી જાગૃત થઈ રહી છે. હવે એનો કોઈ પ્રતિકાર કરી શકે તેમ નથી. હવે કદી પાછી ઊંઘી જવાની નથી. કોઈ વિદેશી સત્તા તેને ફરીથી વધુ ગુલામીમાં જકડી શકે તેમ નથી. કારણ કે, એ વિરાટકાય રાક્ષસ આળસ ખંખેરીને પોતાના પગ ઉપર ખડો થઈ રહ્યો છે…. ઊઠો, જાગો અને આપણી ભારતમાતાને પુનરુત્થાન પામેલી, પૂર્વે હતી તેના કરતાં ય વધુ પ્રતાપી, પોતાના સનાતન સિંહાસન પર અહીં જ બિરાજમાન થયેલી જુઓ.

– સ્વામી વિવેકાનંદ

(‘કરીએ પુનર્નિર્માણ ભારતનું’માંથી)

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.