(ગતાંકથી આગળ)

વિસ્તૃત પાયે કેળવણીની જરૂર

ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના આજના ખૂબ આગળ વધેલા યુગમાં પણ, ભારત એના બોધને ભૂલ્યું નથી. ભારત માટે આજે આગળ વધવાનો માર્ગ પોતાની પ્રાચીન સંસ્કૃતિમાં અર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોને આત્મસાત્ કરવાનો છે. પણ ભારત પોતાની સંસ્કૃતિ વિશે સભાન હોય, પોતાના એ વારસાથી પ્રેરિત અને સમર્થ બનેલ હોત તો જ, ભારત એમ કરી શકે. સાહિત્ય પૂરતો આ વારસાનો સ્રોત ઉપનિષદો છે અને, પૂર્વ અને પશ્ચિમ બંનેમાં, મનુષ્યને ઉપનિષદોનું અધ્યયન અત્યંત પરિતોષક છે.

ભારતને લાગેવળગે છે ત્યાં સુધી, પાયાનાં જે મૂલ્યોએ પ્રજાનો ઈતિહાસ ઘડ્યો છે અને જે મૂલ્યો આજે પણ તેમને ધારણ કરી રહ્યાં છે તેમનો પરિચય તેમને આ અધ્યયન કરાવશે. શ્વાસમાં લઈએ છીએ તે હવાની માફક, એ મૂલ્યોને આપણે ગૃહીત માનવાનું વલણ ધરાવીએ છીએ. પણ સંસ્કૃતિ એના જેવી નથી. એ કેળવણી માગે છે, આત્મસાત્ થવા માગે છે, પોતાનાં સાંસ્કૃતિક મૂલ્યોની કેળવણી અને તેમનું આત્મસાતીકરણ આ યુગનાં ભારતીય નરનારીઓને આજના જગતનાં પરિબળો સાથે કામ પાડવાની શક્તિ આપશે અને, ભારતમાં તેમજ બીજે, માનવસુખ અને કલ્યાણ માટે તેમને વશ કરી ઉપયોગમાં લેતા કરશે. એટલે, આ દેશના દરેક નાગરિકે ઉપનિષદો અને ભગવદ્‌ગીતાનું અધ્યયન કરી તેમને આત્મસાત્ કરવાં આવશ્યક છે; એમનું અધ્યયન કેવળ સાહિત્ય કે ફિલસૂફી તરીકે જ કરવાનું નથી પણ, એમના આત્મામાં પ્રવેશ કરવાનો છે અને, એમને શ્વાસે શ્વાસ લેવાનો છે.

આપણો વારસો ઝીલી આપણે શક્તિશાળી બનીએ તે પછી, પશ્ચિમનો વારસો પચાવવાની શક્તિ આપણે પ્રાપ્ત કરીશું; એ વારસો ગ્રીક લોકોના સમયથી આજના યુગ સુધીનો છે. કારણ આજે વારસાઓ સંકુચિત નથી રહ્યા. આજે, દરેક સાંસ્કૃતિક વારસો સમગ્ર જગત માટેનો વારસો છે. આજે દુનિયા એટલી નાની થઈ ગઈ છે કે બધી પ્રાંતીય ભીંતો, ખંડીય ભીંતો કાલવ્યુત્ક્રમ લાગે છે. જગતના કોઈ પણ ખૂણાની કોઈ પણ સિદ્ધિ આખા જગતની ભેટ બની જાય છે, તેથી, દરેક વ્યક્તિ માટે માનવજાતનો સમગ્ર વારસો કેળવણીનો વિષય બને છે. ભારતની શાળા કે કૉલૅજમાં આજે ભણવા જનાર છોકરો કે છોકરી વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને બીજા વિવિધ વિષયો દ્વારા પાશ્ચાત્ય વિષયોનો અભ્યાસ કરે છે; આમ આપણાં છોકરા છોકરીઓ પશ્ચિમના જગતના ઉત્તમોત્તમ વિચાર ગ્રહણ કરનારાં બને છે. એ જ રીતે, પાશ્ચાત્ય છોકરા કે છોકરીનો અભ્યાસ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો સમાવેશ કરવા જેટલો વિસ્તૃત કરવો જોઈએ. આજના જગતના પ્રશ્નો આ પ્રકારનું વિસ્તૃત પાયાનું શિક્ષણ જ ઉકેલી શકશે. સંકુચિતતાએ ભૂતકાળમાં ખૂબ નુકસાન પહોંચાડ્યું છે; એનો હવે પૂરેપૂરો દેશનિકાલ કરી શકશે અને જગત જાગતિક એકતાની દિશામાં આગળ વધશે.

ભારતની વાત કરીએ તો, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને વિચારકો પ્રાપ્ત થયા હતા અને, આ અર્વાચીન યુગમાં એમાંના કેટલાક મહાન વિચારકો આવ્યા હતા; આ વિશાળ હેતુ એમણે આપણી સમક્ષ મૂક્યો છે. રાજા રામમોહન રાય (ઈ.સ.૧૭૭૪-૧૮૩૩) થી સ્વામી વિવેકાનન્દ સુધીના દરેક અર્વાચીન ચિંતકે ભારતના વારસાનું ગૌરવ અનુભવ્યું છે અને તે છતાં, પૂરી નમ્રતા સાથે આપણને કહ્યું છે કે, આજના જગતનાં બીજાં રાષ્ટ્રોને ચરણે બેસી એમને જે વારસો આપવાનો છે તે ગ્રહણ કરવો.

અર્વાચીન ભારતના આ મહાન નેતાઓ આપણને સંકુચિત રાખવા માગતા નથી. માત્ર આપણી સંસ્કૃતિનું જ ગૌરવ કરવાનું તેમણે આપણને નથી કહ્યું; જગત પાસે જે ઉત્તમ આપવાનું છે તે સ્વીકારવા આપણો દિમાગ ખુલ્લો રાખવાનું તેમણે કહ્યું છે. તેમણે કહ્યું છે કે આપણી પોતાની સંસ્કૃતિ જેટલી આપણે આત્મસાત્ કરી હશે તેટલા પ્રમાણમાં જ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ આત્મસાત્ કરી શકશું. આપણી નિજી સંસ્કૃતિની પૂરી સમજણ વિના, બીજી સંસ્કૃતિના આત્મામાં આપણે પ્રવેશ નહીં કરી શકીએ કે, એનો કશો લાભ ઉઠાવી નહીં શકીએ. દુર્ભાગ્યે આપણે આજે આ જ બનતું જોઈ રહ્યાં છીએ. પશ્ચિમની સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોને આત્મસાત્ કરવાની આપણી શક્તિ ખૂબ મર્યાદિત છે કારણ કે, ખોટી શિક્ષણ પ્રથાને લઈને આપણી સંસ્કૃતિને સમજવાની પૂરતી તક આપણને પ્રાપ્ત થઈ નથી તેમજ, આપણી સંસ્કૃતિના પીઠબળ સમા મહાન વિચારોને આપણે ઓળખી શક્યા નથી. આપણું શિક્ષણ આપણા સાંસ્કૃતિક વારસાથી વિખૂટું પડી ગયું છે. રાષ્ટ્ર આ ક્ષતિ નિવારવા પ્રયત્ન કરી રહેલ છે; પણ એ હકીકત છે કે, આજે ભારતનો શિક્ષિત નાગરિક પોતાની સંસ્કૃતિથી, પોતાની પરંપરાઓથી મહદ અંશે અજાણ છે. પરદેશમાં જે ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં હું આવ્યો તેમાંના ઘણાની બાબતમાં મને આ સાચું જણાયું છે અને, ઘણા પાશ્ચાત્ય મિત્રો પાસેથી મેં સાંભળ્યું છે અને, પશ્ચિમના ભારતના હિતેચ્છુઓએ વર્તમાનપત્રોમાં લખ્યું પણ છે કે, પરદેશોમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ અને દૂતાવાસના અમલદારો ભારત તથા તેની સંસ્કૃતિના જ્ઞાનની બાબતમાં ખૂબ કાચા છે. પોતાનો સાંસ્કૃતિક વારસો આત્મસાત્ કરવાથી પ્રાપ્ત થતા બળ વગર, આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે, આપણે જે ગ્રહણ કરીએ છીએ, તે સંસ્કૃતિની સસ્તી બાજુ જ નીકળે છે, એ સંસ્કૃતિ પાછળનું પ્રેરક બળ નહીં. આપણી પોતાની શક્તિને આધારે જ આપણે એ શક્તિને સ્પર્શી શકીએ.

આપણા શિક્ષણની ખામી દૂર કરવી જ ઘટે. આપણી શાળા કૉલૅજોની વાત કરીએ તો, ત્યાં એ દૂર કરતાં થોડો સમય લાગશે. પણ સામાન્ય નાગરિક, પોતાના સાહિત્યિક અને કલાત્મક વારસા માટે પોતાના દિલ અને દિમાગ ખોલીને, પોતાના પૂરતું આ ખામી દૂર કરી શકશે. ઉપનિષદો લખાયાં ન હોત અને ઋષિઓ એ વિશે માત્ર ચિંતન કરીને ચાલી ગયા હોત તો, સંભવ છે કે, ભારતના વાતાવરણમાં એ વિચારો ગુંજતા રહ્યા હોત પણ આપણામાંના ઘણા એમનો સંપર્ક પામી શકત નહીં. શ્રી રામકૃષ્ણ સમો દૈવી આત્મા ઋષિઓએ તરતા મૂકેલા વિચારોના અદ્‌ભુત તરંગોને ઝીલવા શક્તિમાન છે પણ, સામાન્ય જનો એ કરી શકે નહીં. આપણા સદ્‌ભાગ્યે, અને સમસ્ત મનુષ્યજાતિના સદ્‌ભાગ્યે આ ઋષિઓના ગહન વિચારો લખી લેવામાં આવ્યા હતા જેથી, તેમની પાસેથી તમારે અને મારે માટે એનું સમસંવેદન સરળ પડે છે. સંસ્કૃતિનો વારસો સમસંવેદન દ્વારા મેળવાય છે, સાહિત્યનાં અને કલાનાં પ્રતીકોની પરિભાષા દ્વારા પ્રાપ્ત થાય છે. પોતાની અનુભૂતિ માણસ આવતી પેઢીને આપી શકે છે અને, સંસ્કૃતિ આમ પ્રાપ્ત કરાય છે; એ વારસાગત પરંપરાઓનો સરવાળો છે. સંવાદથી, કંઠપરંપરાથી, આપલેથી, સંસ્કૃતિ વૃદ્ધિગત થાય છે, વિકાસ પામે છે અને આ પ્રક્રિયા દ્વારા વધારે સમૃદ્ધ બને છે. એ ઋષિઓએ સર્જેલા સાહિત્યના વારસાના અધ્યયનથી, તેઓ રહેતા હતા તે જ વાતાવરણમાં જીવવાની તક આપણને સાંપડે છે. આજે એ ઉપનિષદો વાંચીએ ત્યારે, આપણને ‘એ ગુરુઓની નિકટ બેસવાનો.’ અનુભવ થાય છે; ઉપનિષદનો શાબ્દિક અર્થ એ છે.

અભયનો સંદેશ

ઉપનિષદો અનોખાં જ છે. એ અમર સાહિત્ય છે અને તેથી, આપણે શ્રુતિ કહીએ છીએ; ઈન્દ્રિયોની અને ઈન્દ્રિયબદ્ધ મનની પહોંચની બહારની, ઈન્દ્રિયાતીત અનુભૂતિમાં પમાયેલાં સત્યો એ છે; વિશુદ્ધ મનથી જ એ પ્રાપ્ત કરી શકાય છે. આ સત્યો સનાતન અને સાર્વત્રિક છે અને, માનવજાતને સદા પ્રેરણા આપશે. પ્રેરણાના આ મહાનિધિને ચોમેર વેરવા માટેની તક આજનાં સંદેશ-વ્યવહારનાં સાધનો દ્વારા, વિચારો મોકલવાની અદ્યતન પદ્ધતિઓ દ્વારા આજે સાંપડી છે. સ્વામી વિવેકાનંદના સમય પહેલાં વેદાન્ત વિશે, ઉપનિષદોના તત્ત્વજ્ઞાન વિશે બહુ થોડા લોકો જાણતા હતા. આ સત્યો છાપરે ચડીને પોકારવાનું કાર્ય પૂર્વમાં અને પશ્ચિમમાં તેમણે પોતાનું ગણ્યું (કમ્પ્લીટ વકર્સ, વૉ.૩, પૃ.૨૩૮):

‘મારે કહેવું જોઈએ કે આપણને શક્તિ, શક્તિ અને દરેક સમયે માત્ર શક્તિ જોઈએ છે. અને ઉપનિષદો શક્તિની મોટી ખાણ છે. આખા જગતને બળથી ભરે એટલી શક્તિ તેમનામાં ભરી છે; એમના દ્વારા આખું જગત ચેતનવંતુ, બળવાન, ઊર્જામય કરી શકાય. બધી જાતિઓના, બધા ધર્મોના અને બધા સંપ્રદાયોના નિર્બળ, દરિદ્ર અને દલિત લોકોને રણશિંગું ફૂંકી તે પોતાના પગ પર ઊભા રહેવાનું અને મુક્ત થવાનું કહે છે. મુક્તિ, દૈહિક મુક્તિ, માનસિક મુક્તિ અને આધ્યાત્મિક મુક્તિ ઉપનિષદોના ધ્યાનમંત્રો છે.’

ઐતિહાસિક સમયમાં, આ દેશમાં ઉપનિષદોને લોકપ્રિય કરનાર શંકરાચાર્ય (ઈ.સ. ૭૮૮-૮૨૦) પ્રથમ આચાર્ય હતા. એની પહેલાં, બહુ જ થોડા લોકો, મુખ્યત્વે સંન્યાસીઓ, ઉપનિષદોનું મહત્ત્વ જાણતા હતા. પણ શંકરાચાર્યે આ ખજાનો ગૃહસ્થોને અને બધા નાગરિકોને માટે ખુલ્લો કરી આપ્યો. તેમને એથી લાભ થશે, શંકરાચાર્યે કહ્યું, તે છતાંય ઉપનિષદો અલ્પ લઘુમતી સુધી જ પહોંચ્યાં. પરંતુ, આજે, એ સૌ કોઈની મિલકત બની શક્યાં છે તેનો યશ સ્વામી વિવેકાનન્દને જાય છે. એ દરેક ભારતીય ભાષામાં છે અને, અંગ્રેજીમાં તેમજ બીજી પરભાષાઓમાં પણ તે ઉપલબ્ધ છે, એમનો લાભ લઈ પુષ્ટ થનાર જોઈએ. સ્વામી વિવેકાનન્દ ઉચ્ચારે છે (એજન, પૃ. ૨૨૫):

‘ઉપનિષદોનાં સત્યો તમારી સામે આ રહ્યાં. એમને ગ્રહણ કરો, એમને અપનાવો અને હિન્દુસ્તાનનો ઉદ્ધાર હાથવેંતમાં છે.’

પણ, ઉપનિષદો ઊંડું અધ્યયન માગે છે. વર્તમાનપત્ર પણ એક પ્રકારનું સાહિત્ય છે; પણ સવારે વાંચીને સાંજે એ ફેંકી દેવાય છે. આમ સાહિત્યના રંગપટની એ તદ્ન નીચલી સપાટીએ છે. ઉપનિષદોનું તેવું નથી; એ તો રંગપટનો મુકુટ છે. એમને ફરી ફરી વાંચવાં જોઈએ. માનસિક પક્વતા અને નિર્મળતાના વિકાસનું દરેક સોપાન એ મહાન સાહિત્યના હૃદયની વધારે અને વધારે નિકટ આપણને લઈ જાય છે. જેમ એમને વધારે વાંચીએ છીએ તેમ, આપણને એમાંથી વધારે પ્રાપ્ત થાય છે કારણ, એમના શબ્દો હૃદયના ઊંડાણમાંથી આવે છે; ‘શબ્દો જ્યાં સત્યના ઊંડાણમાંથી આવે છે,’ એમ ટાગોર ગીતાંજલિમાં કહે છે. ઉપનિષદોના શબ્દો સત્યના ઊંડાણમાંથી આવે છે. ઋષિઓએ સત્ય અનુભવ્યું; મનુષ્યમાં અને પ્રકૃતિમાં તેમણે કશુંક ગહન નિરખ્યું અને, તેમના આ દર્શનને ઝીલીને કવિતાની કણિકાઓમાં મૂકવા યત્ન કર્યો. ઉપનિષદોના ભવ્ય કાવ્યે પ્રાચીન કાળથી માંડી આજના કાળના ચિંતકો અને કવિઓનાં હૃદયોને ડોલાવ્યાં છે. મુણ્ડક ઉપનિષદનો આ શ્લોક (૨.૨.૭) લો:

ય: સર્વજ્ઞ: સર્વવિદ્ યસ્યૈષ મહિમા ભુવિ —

‘જે સર્વજ્ઞ છે, સર્વવિદ્ છે જેનો મહિમા આ વિશ્વ છે તે.’

પણ શું એનો મહિમા બાહ્ય પ્રકૃતિ, સ્થલકાલમાં વિસ્તરેલી પ્રકૃતિ પૂરતો મર્યાદિત છે? ઉપનિષદ ના કહે છે. એનો મહિમા મનુષ્યમાં પોતાનામાં, એના અસ્તિત્વના ગહન ઊંડાણમાં પ્રતિષ્ઠા પામેલો છે.

દિવ્યે બ્રહ્મપુરે હ્યેષ વ્યોમન્યાત્મા પ્રતિષ્ઠિત: —

મનુષ્યનું હૃદય જે દિવ્ય બ્રહ્મપુરી છે તેમાં આ આત્મા પ્રતિષ્ઠિત છે.’

વાચા, મન અને ચિન્તનમાં એની ઉપસ્થિતિ અનુભવાય છે:

મનોમય: પ્રાણશરીરનેતા પ્રતિષ્ઠિતોષ્ન્ને હૃદયં સન્નિધાય—

‘ મનમાં અને ચિંતનમાં એ પ્રતિષ્ઠિત છે; મનુષ્યની મનની અને પ્રાણની શક્તિ એનામાં એના દ્વારા કાર્ય કરે છે; અને, હૃદયમાં રહીને એ મનુષ્યના દેહને પ્રાણિત કરે છે પછી એ શ્લોકની પૂર્ણાહુતિ સુંદર આનંદને સૂરે થાય છે:

તદ્ વિજ્ઞાનેન પરિપશ્યન્તિ ધીરા

આનન્દરૂપમ્ અમૃતં યદ્વિભાતિ —

‘ધીર પુરુષો એને અંદર તેમજ બહાર, સર્વત્ર પેખે છે; એ આનંદરૂપ છે, અમૃતરૂપ છે અને, એનો મહિમા દૃશ્યમાન વિશ્વરૂપે વહે છે.’

શ્લોકમાંના ધીર શબ્દોનો અર્થ ‘શાણો પુરુષ’ થાય છે અને, બુદ્ધિ અને હિમ્મતના મેળનું સૂચન કરે છે. ઉપનિષદો મનુષ્યની મહત્તાની વાત કરે છે. ઉપનિષદો મનુષ્યની મહત્તાની વાત બે સ્વરૂપમાં કહે છે: પ્રથમ એની બુદ્ધિ છે જેના વડે એ બહારનાં અને અંદરનાં જગતોની ઘટનાઓ સમજે છે; બીજું, એની હિમ્મત, એની વીરતા છે, જેના વડે એ માત્ર જાણતો જ નથી પણ, સત્યને અને ઉત્કૃષ્ટતાને પણ પ્રાપ્ત કરે છે. માત્ર બુદ્ધિ પૂરતી નથી; વીરતા પણ આવશ્યક છે. એમનું મિશ્રણ ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ કરે છે જ્યાં, જ્ઞાનની શક્તિનું પરિવર્તન દર્શનની શક્તિમાં થાય છે.

બુદ્ધિ વીરતાને રૂપે પ્રકાશે છે ત્યારે જ તે અનુભૂતિના ઍવરેસ્ટને, સત્યના ઊંચા શિખરને, આંબવા પામે છે. એ ધીર છે, આત્માનો સાક્ષાત્કારનો એ જ અધિકારી છે. એ સાક્ષાત્કારનું સ્વરૂપ ક્યું છે? પરિપશ્યન્તિ ‘એ તેનો સાક્ષાત્કાર સર્વત્ર કરે છે.’ ભીતર તેમજ અંદર, મનુષ્યમાં તેમજ પ્રકૃતિમાં એના દર્શને દિવ્યતા અર્થની સમસ્ત પ્રકૃતિ ઝળાંઝળાં થઈ ઊઠે છે. એ તેનો સાક્ષાત્કાર કરે છે આનન્દરૂપમ્ અમૃતં યદ્વિભાતિ, ‘દૃશ્યમાન વિશ્વરૂપે જેનો મહિમા વહે છે તે આનન્દના રૂપનું, અમૃતના રૂપનું.’ આનંદના તરંગોમાં ને તરંગોમાં વિશ્વનું પરિવર્તન થાય છે, એ આનંદલહરી છે અને, શંકરાચાર્યે કહ્યા પ્રમાણે, સૌન્દર્યના તરંગોમાં, સૌન્દર્યલહરીમાં પરિવર્તન પામે છે. મનુષ્યમાં અને પ્રકૃતિમાં, સૂર્યમાં, ચંદ્રમાં અને તારાઓમાં, પ્રત્યેક રજકણમાં એ આત્મા પ્રકાશે છે. કાવ્યકણિકામાં ઝિલાયેલું આ દર્શન છે. આ તો એક નમૂનો માત્ર છે; ઉપનિષદોમાં આવાં અનેક છે.

ઉપનિષદોનું આ સુંદર કાવ્ય ગહન ચિંતનનું વાહક છે. એ ચિંતન સરળતાથી ભેદી શકાતું નથી. ઉપરછલા વાચનથી કશું સરતું નથી; નિત્ય અધ્યયન અને નિત્યની ખોજ આવશ્યક છે. ભૌતિકશાસ્ત્ર કે રસાયણશાસ્ત્રના અભ્યાસમાં કરીએ છીએ તેમ, આપણી બહારની પ્રકૃતિનો લેશ પણ અભ્યાસ આપણે કરતા નથી. આપણા વ્યક્તિત્વમાં અભિવ્યક્ત થતી પ્રકૃતિનું આપણે અધ્યયન કરીએ છીએ અને, એ વ્યક્તિત્વના હાર્દની ખોજ કરીએ છીએ. આપણું અધ્યયન આપણી જાત સાથે, આપણા વિકાસ સાથે, આપણી પરિતૃપ્તિ સાથે, આપણા સાક્ષાત્કાર સાથે સંકળાયેલું છે. આપણી અંદરની ઊંડી પ્રેરણાઓ સાથે ઉપનિષદોના દરેક વાક્યને લાગે વળગે છે. પોતાના બ્રહ્મસૂત્રભાષ્યમાં આચાર્ય શંકર કહે છે કે, ઉપનિષદોનું વિષયવસ્તુ અને બ્રહ્મસૂત્રોનું આરંભબિન્દુ છે તે બ્રહ્મ આપણાથી અને આપણા દૈનિક જીવનથી દૂરનું કોઈ અમૂર્ત સત્ય નથી પણ, સૌની અંદર રહેલા આત્મા તરીકે અપાયેલ અનુભૂતિનો પૂર્વપક્ષ છે.

આમ, આ વારસાના અધ્યયનની આપણને ઘણી જરૂર છે. ઉપનિષદોનું થોડુંક જ્ઞાન આપણા જીવનમાં પ્રવેશે તો, આખો દેશ નવી શક્તિથી, નવી નિર્ણાયકતાથી, નવા નિયમનથી ઝણઝણી ઊઠશે. આપણે ભગવદ્‌ગીતા (૨.૪૦)માં વાંચીએ છીએ: સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્-‘આ ધર્મનો એક નાનો અંશ પણ આપણને મોટા ભયથી બચાવશે.’ નિર્ભયતાનો, બલનો, વિકાસનો, પ્રગતિનો, પ્રાપ્તિનો આ સંદેશ છે. સર્વને આવરી લેતા પ્રેમ અને જ્ઞાનની એકતાને અર્થાત્, પૂર્ણતાને પામવા માટે મનુષ્યે આગળ ને આગળ વધવું રહ્યું. ઉપનિષદોનો આ સંદેશ છે, આ શંખનાદ છે-સત્ય અને સંપૂર્ણ ઉત્કૃષ્ટતાની ખોજનો આ પોકાર છે. આધ્યાત્મિક પ્રાપ્તિ દ્વારા જીવનની પરિપૂર્ણતાની કક્ષાએ ઉત્ક્રાંતિને આગળ ધપાવવાનું આ આહ્‌વાન છે.

વૈશ્વિક મનુષ્ય

જીવન અને અનુભૂતિમાં જે સનાતન, ચિરંજીવી, અમર જડેલું છે તેને પ્રાપ્ત કરવા, જે પરમ છે તેને પ્રાપ્ત કરવા, સતત કાર્યરત રહેવાનું આહ્‌વાન ઉપનિષદો મનુષ્યને કરે છે. બાહ્ય પ્રકૃતિ પરના અધિપતિ તરીકે, મનુષ્યના સામૂહિક જીવનના ઉપલક્ષમાં મૂલ્યોના સર્જક તરીકે, બીજી સંસ્કૃતિઓએ માણસની વાત કરી છે. દાખલા તરીકે, ગ્રીક વિચારધારામાં, પ્રોમિથીઅન તત્ત્વની પરિકલ્પના છે; એ અનુસાર બહારની આડચો પર વિજય મેળવી, પ્રકૃતિનાં બળો પર માનવીનું આધિપત્ય સ્થાપવાનો ભાવે છે અને, આવશ્યક હોય તો, બીજાં માનવીઓની શક્તિઓને પણ પરાભૂત કરવાનો ભાવ છે. આ વિચારસરણીને એમ જ અનુસરવામાં આવે તો, એનો મોટો દોષ એ છે કે, એ સમગ્ર મનુષ્યજાતિને પોતાની સાથે લઈ જતી નથી. પોતાનાથી બહાર એવી તમામ વસ્તુઓ પરના મનુષ્યના આધિપત્યના ખ્યાલ પર એ આધારિત છે; પોતાના બાહ્ય પર્યાવરણ પરના આધિપત્યથી પરિણમતા માનવીના અહંકારને સીધો કેમ વશ કરવો તેની જરૂર પર એ ભાર મૂકતી નથી. પોતાના પર્યાવરણ પર મનુષ્ય આધિપત્ય ભોગવે એ ખ્યાલ સાચો છે; મનુષ્યની ઉત્કૃષ્ટતાનું એ સ્વરૂપ છે. એની અભિવ્યક્તિની ચરમ સીમાએ પશ્ચિમ એને લઈ ગયું છે; અને ભારતમાં, આ ઉત્કૃષ્ટતાના શિક્ષણની રાષ્ટ્રવ્યાપી ધોરણે તાતી જરૂર છે. પણ મનુષ્યની પરમ સિદ્ધિ આટલી જ નથી; મનુષ્યની સિદ્ધિઓના ગજમાં ભારતીય વિચારધારા એને સર્વોચ્ચ સ્થાને નહીં બેસાડે. અહંકારની પાર જઈ, મનુષ્યમાં જે વૈશ્વિક તત્ત્વ છે તેના પ્રાગટયમાં તે બિંદુ છે. મનુષ્ય ચરમ અહંકારપારત્ત્વ પામે છે ત્યારે, તે જાણે છે કે બધાંની સાથે એકરૂપ છે કારણ, સર્વમાં એ આત્મદર્શન કરે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, પોતાનામાં એને વૈશ્વિક મનુષ્ય સાંપડે છે; એ અંદર અને બહાર એકરૂપ થયેલો છે અને, મનુષ્યના અને પ્રકૃતિના હૃદયમાં પોતાની જાતને ધબકતી ભાળે છે. આપણે જે સામાન્ય નરનારીઓ છીએ તેમનામાંથી આ વૈશ્વિક માનવની મુક્તિ ઉપનિષદોનો હેતુ છે. આજના કાળમાં ઉપનિષદોને રસનું અને અગત્યનું કેન્દ્ર બનાવનાર તત્ત્વ આ છે. આજની બધી પ્રગતિવાદી વિચારણાનું કેન્દ્ર વૈશ્વિક મનુષ્ય છે અને તેથી, આજના જગતમાં, બધી પ્રગતિવાદી વિચારધારાઓની અગ્રિમ હરોળમાં ઉપનિષદો ખડાં છે. રાષ્ટ્રવાદી, જાતિવાદી, સંપ્રદાયવાદી કે, દૃષ્ટિને મર્યાદિત કરતા બીજા કોઈ પણ પ્રકારમાં મનુષ્ય ડૂબેલો છે તેને તારવાનો છે. આજના માનવી સાથે સ્વામી વિવેકાનન્દ વેદાન્તના આ ભવ્ય સંદેશમાં સહભાગી બન્યા અને, અર્વાચીન સમાજ પર એ શા આશીર્વાદો વરસાવી શકે તે તેમણે દર્શાવ્યું. નિત્ય વ્યવહારમાં આ ચિંતનનો અમલ શી રીતે થઈ શકે તે તેમણે શીખવ્યું. એટલે, ઉપનિષદો અને ભગવદ્‌ગીતાના આ ગહન સાહિત્યનું, એમાં જડેલા વેદાન્તના દર્શનનું, આજની વિચારણા અને જરૂરિયાતોના ઉપલક્ષમાં બુદ્ધિપૂર્વકનું અધ્યયન સર્વત્ર નરનારીઓ માટે પરિતોષક અધ્યયન થશે.

(ભાષાંતર : શ્રી દુષ્યંતભાઈ પંડ્યા)

Total Views: 536

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.